
■પાકિસ્તાને કાબુલમાં હોસ્પિટલને નિશાન બનાવી હોવાનો તાલિબાનનો આરોપ: ઈસ્લામિક દેશોમાં અંદરોઅંદર મોટાપાયે હિંસા
Pakistan Airstrike: મુસલમાનનો પવિત્ર રમઝાન માસમાં ઈસ્લામિક દેશોમાં યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં અંદરો અંદર હિંસા ફાટી નીકળતા નિર્દોષ નાગરિકો અને બાળકોના મોત થઈ રહયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યુ છે, એક તરફ ઈરાન યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં મોટી જાનહાની થઈ રહી છે તો બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલુ રહેલા સંઘર્ષમાં અનેક લોકો ભોગ બની રહયા છે ત્યારે પાકિસ્તાન દ્વારા સોમવાર રાત્રે અફઘાનિસ્તાન પર ફરી વધુ એક એરસ્ટ્રાઈક કરતા અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા હોવાના આરોપ લાગ્યા છે.
રાત્રે 9:30 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાએ તેના JF-17 અને F-16 વિમાનોથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના અનેક વિસ્તારોને નિશાન બનાવી કરેલા હવાઈ હુમલામાં લગભગ 400 નિર્દોષ નાગરિકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 250 થી વધુ લોકો ઘાયલ થયા છે,આખી હોસ્પિટલની બિલ્ડીંગ નષ્ટ થઈ જતા મૃત્યુઆંક વધી શકે છે.
અહેવાલો મુજબ,પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હુમલામાં દારુલઅમાન, અર્જાન કીમત, ખૈરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અનેક સ્થળોએ ધડાકા અને ગોળીબારના અવાજો સંભળાયા હતા, તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક વ્યસન મુક્તિ હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા હતા અફઘાન આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા શરાફત ઝમાને જણાવ્યું હતું કે આખી હોસ્પિટલની ઈમારત નષ્ટ થઈ ગઈ હતી અને મૃત્યુઆંક વધી શકે છે.
તાલિબાને આ હુમલાની કડક નિંદા કરી છે અને તેને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવી પાકિસ્તાને અફઘાનિસ્તાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું હોવાનું પણ જણાવ્યું છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ કહ્યું કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી. પાકિસ્તાનના માહિતી મંત્રાલયે જણાવ્યું કે હુમલા કાબુલ અને નંગરહારમાં સ્થિત સૈન્ય ઠેકાણાઓ, ટેકનિકલ ઉપકરણોના ભંડાર અને હથિયારોના સંગ્રહ સ્થાનો પર કરવામાં આવ્યા હતા કેમકે આ હથિયારોનો ઉપયોગ પાકિસ્તાનના નાગરિકો વિરુદ્ધ કરવામાં આવી રહ્યો હતો.
પાકિસ્તાને રવિવારે પણ રાતભર કંધાર પ્રાંતમાં આતંકી ઠેકાણાઓને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાને આ કાર્યવાહી ઓપરેશન ગજબ-લિલ-હક હેઠળ કરી હતી તેના જવાબમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો.
પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરાર મુજબ, હુમલામાં તે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા સંગઠનો સરહદ પાર હુમલાઓની તૈયારી માટે કરતા હતા પાકિસ્તાને એવો પણ આરોપ લગાવ્યો છે કે શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાન તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેનો કાટમાળ પડવાથી ક્વેટામાં બે બાળકો સહિત કેટલાક નાગરિકો ઘાયલ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષની શરૂઆત 22 ફેબ્રુઆરીએ થઈ હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કર્યા બાદ બન્ને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.
પાકિસ્તાનના ઉપ ગૃહ મંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો હતો કે સરહદી વિસ્તારોમાં TTPના ઠેકાણાઓ પર કાર્યવાહીમાં ઓછામાં ઓછા 70 લડવૈયાઓના મોત થઈ ગયા છે. પાકિસ્તાની અખબાર ડોને આ સંખ્યા 80 સુધી પહોંચી હોવાનો દાવો કર્યો હતો પાકિસ્તાનના આ હુમલાના જવાબમાં અફઘાનિસ્તાને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન પર હુમલો કર્યો હતો આમ ત્યારથી સંઘર્ષ ચાલુ રહ્યો છે.
અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાનને ‘યોગ્ય સમયે જવાબ’ આપવામાં આવશે. મંત્રાલયે આ હુમલાઓને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું આમ,પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલુ રહી છે અને મોટાપાયે જાનહાની ચાલુ રહી છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






