
Dead bodies found in Pavagadh: પંચમહાલ જીલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડ પાસે ટેક્ષી પાર્કિંગ વિસ્તારમાં બે દિવસથી પાર્ક કરેલી એક ઇનોવા કારમાંથી એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ ઘટનાને આત્મહત્યા હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પાવાગઢની તળેટીમાં માંચી જવાના રસ્તા પાસે આવેલા પાર્કિંગ વિસ્તારમાં એક ઇનોવા કાર (GJ-27 સિરીઝ, અમદાવાદ પૂર્વ પાસિંગ) બે દિવસથી પાર્ક કરેલી હતી. સ્થાનિકોનું ધ્યાન ગયું કે આ કાર ચાલુ હતી અને તેનું AC પણ ચાલી રહ્યું હતું. કારની પાછળની સીટ પર એક યુવક અને યુવતી બેઠેલા દેખાતા હતા, પરંતુ બીજા દિવસે પણ કાર તે જ જગ્યાએ યથાવત જોવા મળતાં સ્થાનિકોની શંકા ઘેરી બની હતી. આથી લોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થયું અને પાવાગઢ પોલીસને જાણ કરી હતી.
પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કારનો દરવાજો ખોલવા માટે ટેકનિકલ નિષ્ણાતની મદદ લીધી હતી. કારની પાછળની સીટ પર બેઠેલા યુવક અને યુવતી બંનેની કોઈ હલનચલન ન જણાતાં તેમને મૃત જાહેર કરાયા હતા. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
મૃતકોની ઓળખ
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો હિંમતનગરના આકોદ્રા ગામના રહેવાસી છે. યુવકનું નામ આઝાદ મહેશસિંહ રહેવાર અને યુવતીનું નામ શ્રેયા પ્રજાપતિ છે. બંને અપરિણીત હતા અને પોલીસને પ્રાથમિક માહિતી મળી છે કે તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો. આઝાદ અને શ્રેયા બે દિવસથી ઘરેથી ભાગી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી દીધી છે.
આત્મહત્યાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે યુવક અને યુવતીએ કારના કાચ બંધ રાખી, એસી ચાલુ રાખીને કોઈ દવા લઈને આત્મહત્યા કરી હશે. આ માટે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે મોતના ચોક્કસ કારણો સ્પષ્ટ કરશે. કારના નંબરના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં બંને મૃતકોની પૃષ્ઠભૂમિ, તેમના પરિવારજનો અને સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ પાવાગઢ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક લોકો આ ઘટનાથી આઘાતમાં છે અને બંને યુવાનોના મોતના સાચા કારણો જાણવા ઉત્સુક છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને તપાસ પૂર્ણ થવાની રાહ જોવા અપીલ કરી છે.
હાલ પોલીસ આ ઘટનાને લઈને દરેક ખૂણાથી તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય તપાસના પરિણામો બાદ આ ઘટનાનું સાચું કારણ સામે આવશે.