
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે માત્ર રાજકીય ગરમાવો જ નહીં, પણ એક મોટો આર્થિક ખેલ પણ તેના અંજામ તરફ વધી રહ્યો છે. અમેરિકાના જાણીતા પ્રેડિક્શન માર્કેટ પ્લેટફોર્મ ‘પોલીમાર્કેટ’ પર ચૂંટણીના પરિણામોને લઈને અંદાજે 26 મિલિયન ડોલર એટલે કે લગભગ 247 કરોડ રૂપિયાની તોતિંગ રકમ દાવ પર લાગી છે. ગયા વર્ષે ડિસેમ્બરથી શરૂ થયેલો આ સિલસિલો હવે પરિણામોની તારીખ નજીક આવતા અત્યંત તેજ બન્યો છે. આ રકમ એ નસીબદાર લોકો વચ્ચે વહેંચવામાં આવશે જેમણે ચૂંટણીના પરિણામોનું સચોટ અનુમાન લગાવ્યું હશે.
તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ પર સૌથી વધુ દાવ: ક્યાં કોણ છે ફેવરિટ?
ચૂંટણીના આ અજીબોગરીબ બજારમાં સૌથી વધુ પૈસા તમિલનાડુની ચૂંટણી પર લાગ્યા છે, જ્યાં 20 મિલિયન ડોલરથી વધુની રકમ દાવ પર છે. આ સિવાય પશ્ચિમ બંગાળ પર 5 મિલિયન ડોલર, કેરળ પર 4 લાખ ડોલર, આસામ પર 1.8 લાખ ડોલર અને પુડુચેરી પર અંદાજે 19 હજાર ડોલરની બાજી લાગેલી છે. જો આ માર્કેટના વલણોની વાત કરીએ તો, તમિલનાડુમાં DMK ને 88% સાથે ભારે સરસાઈ મળતી દેખાય છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 53% સાથે મામૂલી સરસાઈ ધરાવે છે. આસામમાં 98% લોકો ભાજપની જીત પર ભરોસો કરી રહ્યા છે, જ્યારે કેરળમાં કોંગ્રેસ (75%) અને પુડુચેરીમાં NDA (86%) પર દાવ ખેલાયો છે.
ભારતમાં પ્રતિબંધ હોવા છતાં કેવી રીતે ખેલાય છે આ આંતરરાષ્ટ્રીય બાજી?
ભારતીય કાયદા મુજબ આવા પ્રેડિક્શન માર્કેટ્સમાં ભાગ લેવાની સત્તાવાર મંજૂરી નથી. પરંતુ ટેકનોલોજીના જમાનામાં બંધનો તોડવા સહેલા બન્યા છે. પોલીમાર્કેટ જેવા પ્લેટફોર્મ ક્રિપ્ટોકરન્સી અને વિકેન્દ્રીકૃત (decentralized) ટેકનોલોજી પર આધારિત હોવાથી, ભારતીય યુઝર્સ VPN અને ક્રિપ્ટો વોલેટ દ્વારા આમાં સક્રિય રીતે ભાગ લે છે. રસપ્રદ વાત એ છે કે દુનિયામાં સૌથી વધુ ક્રિપ્ટો યુઝર્સ ભારતમાં જ છે. તાજેતરમાં ફોર્બ્સના અહેવાલમાં પણ ખુલાસો થયો હતો કે ‘કાલીન ભૈયા’ જેવા ભારતીય સંદર્ભ ધરાવતા અનામી વોલેટ્સ ઘણીવાર મોટી રકમ જીતી રહ્યા છે, જે આ પ્લેટફોર્મ પર ભારતીયોના વર્ચસ્વ તરફ ઈશારો કરે છે.
નિષ્ણાતોના અનુમાન કરતાં પણ વધુ સચોટ સાબિત થાય છે લોકોની સમજ?
પ્રેડિક્શન માર્કેટનું આખું મોડેલ ‘લોકોની સામૂહિક બુદ્ધિ’ (Wisdom of the crowd) પર ટકેલું છે. અમેરિકામાં કલશી, પ્રેડિક્ટઇટ અને મેનિફોલ્ડ જેવા અનેક પ્લેટફોર્મ લોકપ્રિય છે. એવી માન્યતા છે કે જ્યારે હજારો લોકો પોતાના અંગત પૈસા દાવ પર લગાવીને કોઈ વાત પર ભરોસો વ્યક્ત કરે છે, ત્યારે તે અનુમાન મોટા નિષ્ણાતો કરતા પણ વધુ સચોટ નીવડે છે. જોકે, આ બજાર હંમેશા સાચું જ હોય તેવું નથી. વર્ષ 2016 માં બ્રેક્ઝિટ અને ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સમયે આ પ્લેટફોર્મ્સના ગણિત સાવ ઊંધા પડ્યા હતા અને લોકોના અબજો રૂપિયા ડૂબી ગયા હતા.
કેવી રીતે કામ કરે છે પોલીમાર્કેટ? શેરબજાર જેવી જ છે સિસ્ટમ
પોલીમાર્કેટની કામ કરવાની રીત ઘણી અંશે શેરબજારને મળતી આવે છે. અહીં કોઈ કંપનીના શેર નહીં, પણ ઘટનાના પરિણામના શેર ખરીદાય છે. દરેક સવાલ માટે ‘Yes’ અથવા ‘No’ ના શેર હોય છે, જેની કિંમત 0 થી 1 ડોલરની વચ્ચે ફરે છે. જો કોઈ વિકલ્પની કિંમત 75 સેન્ટ હોય, તો તેનો અર્થ છે કે તે જીતવાની સંભાવના 75% છે. યુઝર્સ ગમે ત્યારે પોતાના શેર વેચીને નફો બુક કરી શકે છે. એકવાર પરિણામ જાહેર થયા પછી, જેનું અનુમાન સાચું હોય તેને દરેક શેરના બદલામાં પૂરો 1 ડોલર મળે છે, જ્યારે ખોટા અનુમાન વાળાની તમામ રકમ શૂન્ય થઈ જાય છે.
નફો અને જોખમ વચ્ચેનો ખેલ: યુઝર્સની અનોખી વ્યૂહરચના
આ બજારમાં નફો એ વાત પર નિર્ભર છે કે તમે કયા ભાવે દાવ લગાવ્યો હતો. ઉદાહરણ તરીકે, ‘orangexyz’ નામના યુઝરે તમિલનાડુમાં TVK ની જીત પર માત્ર 11 સેન્ટના ભાવે હજારો શેર ખરીદ્યા છે. જો તેનું અનુમાન સાચું પડે, તો તેને નવ ગણાથી વધુ નફો મળી શકે છે. બીજી તરફ, ‘Asphaleios’ જેવા યુઝરે DMK પર 87 સેન્ટના ઊંચા ભાવે દાવ લગાવ્યો છે, જેમાં જોખમ ઓછું છે પણ નફો પણ માત્ર 15% જેટલો જ સીમિત છે. આ પ્રેડિક્શન માર્કેટ્સ માત્ર આર્થિક નફા માટે નથી, પરંતુ તે દેશના રાજકીય માહોલની એક અનોખી ઝલક પણ પૂરી પાડે છે કે લોકો કયા પક્ષ પર કેટલો ભરોસો મૂકી રહ્યા છે.
આ પણ વાંચો:








