
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્થાપેલી અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો કાર્યક્રમ યોજાશે. 22મી ડિસેમ્બરે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમને સજ્જન શક્તિ સંગમ નામ અપાયું છે. કાર્યક્રમમાં IAS, IPS, ડૉક્ટર, પ્રોફેસર, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકાર જેવા 450થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. બાપુની વિદ્યાપીઠમાં સંઘનો કાર્યક્રમ યોજાવાનો હોવાનું જાણીને ગાંધીવાદીઓ નારાજ થયા છે.
RSS 2025ના વર્ષને તેના શતાબ્દી વર્ષ તરીકે મનાવશે. આ ઉજવણીના ભાગરૂપે નારણપુરા પ્રભાગે સમાજને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં યોજાનારો સજ્જન શક્તિ સંગમ કાર્યક્રમ પણ ઓનો જ એક ભાગ છે.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે RSSના ગુજરાત પ્રાંતના કાર્યકારી સભ્ય અને સાધના મેગેઝિનના તંત્રી ભાનુભાઈ ચૌહાણ હાજર રહેશે. જ્યારે અતિથિ તરીકે ગુજરાત રાજ્ય ડિસ્પોઝેબલ મેડિકલ ડિવાઇસીઝ એસોસિયેશનના પ્રમુખ અને મહેસાણાના પીપળેશ્વર મહાદેવ સેવામંડળ ટ્રસ્ટના પ્રમુખ કીર્તિકુમાર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે.

ગાંધીજી અને સંઘથી વાકેફ કોઇપણ વ્યક્તિને નવાઇ લાગે એવા આ કાર્યક્રમ માટે RSSએ છપાવેલી આમંત્રણપત્રિકા પણ સામે આવી છે. પરંતુ આ બધા વચ્ચે આરએસએસના કાર્યક્રમ માટેનો સ્થળ વિવાદનું કારણ બન્યું છે, તો સ્વભાવિક જ છે કે, બનવું પણ જોઈએ.
આ બાબતે તો મહાત્મા ગાંધીના પપ્રૌત્ર તુષાર ગાંધીએ પણ ટ્વિટ કરીને પોતાનો આગવી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, જ્યારે બાપુએ સ્થાપેલી ગુજરાત વીદ્યાપીઠ રાસ્વસંઘને શરણે ધરી દિધી ત્યારે હવે એમાં સંઘના કાર્યક્રમ યોજાય તો વીરોધ કરવાથી શું ઊપજવાનું? જેમણે ગદ્દારી કરી એમનો વાંક. બાપુની સંસ્થા હવે સાવરકર, ગોડસેની થઈ ગઈ. સાબરમતી આશ્રમમાં પણઆવું જ થવાનું.
તો વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન તેમણે જણાવ્યું છે કે, જો આ કાર્યક્રમ સંઘના નેજા હેઠળ થતું હોય તો એ ગાંધી વિચારવાળો કાર્યક્રમ હોઈ શકે નહીં કેમ કે RSS અને ગાંધી વિચાર બંનેમાં વિરોધાભાસ છે, એટલે ગાંધીજીએ સ્થાપેલી વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ થાય એ શોભનીય નથી, એટલું કહેવું છે.