
Sabarkantha: અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ટ્રક વચ્ચે સ્કોર્પિયોનો બુકડો બોલાઇ ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતનું કારણ રોડની કામગીરી અને અંધારું છે.
પ્રાંતિજ હાઈવે પર ત્રિપલ અકસ્માત
મળતી માહિતી મુજબ ચિલોડાથી શામળાજી સુધી ચાલી રહેલી રોડ અને ઓવરબ્રિજની કામગીરીને કારણે રસ્તામાં ખાડાઓ પડ્યા છે. ત્યારે કતપુર પાસે ખોદકામને કારણે સિક્સ લેનમાંથી સિંગલ લેન થયેલા રોડ પર લાઈટના અભાવે એક ટ્રકચાલકે અચાનક બ્રેક મારી હતી. આ સમયે પાછળથી આવતી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઈ હતી. વધુમાં, સ્કોર્પિયોની પાછળથી આવતી બીજી ટ્રકે પણ ટક્કર મારતા સ્કોર્પિયો બે ટ્રક વચ્ચે ફસાઈ ગઈ હતી.
ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ
આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં સવાર એક વ્યક્તિને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યારે હવે નેશનલ હાઈવે વિભાગે રાત્રિ દરમિયાન આવા અકસ્માતો ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.
અહેવાલ: ઉમંગ રાવલ