
Surat: રાજ્યમાં હવે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની નાની વાતે લોકો આપઘાત જેવું પગલું ભરી રહ્યા છે. નાની ઉંમરમાં પણ યુવાઓ આવું પગલું ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારનો મુશ્કેલીમાં મુકતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે જેમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ છાત્રાલયની હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું છે.
સુરતમાં 14 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં અમર જ્યોત કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં રહેતા 14 વર્ષીય વિદ્યાર્થી કિનસુકકુમાર મનોજભાઈ ચૌધરીએ આપઘાત કરી લીધો છે. તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના કારણે માતા-પિતાને થતો ખર્ચ હવે બંધ થશે અને તે ભણી શક્યો ન હોવાનું કારણ તેના માતા-પિતાની કોઈ ભૂલ નથી.
પ્રાથમિક જાણકારી મુજબ કિનસુકકુમાર, જે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ઉમરપાડામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, તેણે 15 જૂનના રોજ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાની જાણ સવારે થતાં ઉમરપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉમરપાડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો.
સુસાઈડ નોટમાં બહેનોની સંભાળની વિનંતી
પોલીસે કિનસુકની સુસાઈડ નોટ કબજે કરી છે, જેમાં તેણે ચૌધરી ભાષામાં પોતાની બહેનોની સંભાળ રાખવા અને ખર્ચ ન કરવાની વિનંતી કરી છે. તેમજ, માતા-પિતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા લખ્યું છે કે, “મારા લીધે તમને ઘણો ખર્ચ થતો હતો, હવે તે નહીં થાય. હું ભણી શક્યો નહીં, પણ તેમાં તમારો કોઈ વાંક નથી.”
પરિવારનો એકમાત્ર દીકરો
કિનસુક તેના પરિવારનો એકમાત્ર દીકરો હતો અને તેણે 9 જૂન, 2025ના રોજ જ હોસ્ટેલમાં નવું એડમિશન લીધું હતું. માત્ર પાંચ દિવસ પહેલાં જ તે હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો. આ ઘટનાથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે, અને આસપાસના વિસ્તારમાં પણ આ ઘટનાએ ચકચાર મચાવી છે.
આ પણ વાંચો:
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ
Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે