
- Tirupati Temple: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ દ્વારા બિન હિન્દુ કર્મચારીઓને નોટીસ આપવામાં આવી.
- બિન હિન્દુ કર્મચારીઓને ટ્રાન્સફર કે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના દ્વારા હટાવવામાં આવશે.
Tirupati Temple વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પવિત્રતા જળવાય તેવા આશય સાથે 18 બિન હિન્દુ કર્મચારીઓને છૂટા કરી દેવાની કવાયત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD) દ્વારા હાથ ધરવામાં આવી છે. નોંધનિય છે કે, આજરોજ 18 બિન હિન્દુ કર્મચારીઓને નોટીસ પાઠવવામાં આવી છે.
બુધવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD) દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, ભગવાન વેંકટેશ્વર મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખીને સંસ્થાન દ્વારા 18 બિન હિન્દુ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 18 બિન હિન્દુ કર્મચારીઓને ટ્રાન્સફર અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના હેઠળ છૂટા કરવામાં આવશે.
TTD બોર્ડ દ્વારા કહેવાયું છે કે, આપણાં મંદિરો અને ધાર્મિક કાર્યક્રમોની આધ્યાત્મિક પવિત્રતા અકબંધ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો અને અનુષ્ઠાનોમાં ભાગ લેવા સાથે બિન હિન્દુ ધાર્મિક ગતિવિધીઓમાં કથિત રૂપે સંકળાયેલા 18 કર્મચારીઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યાં છે.
તાજેતરમાં જ બોર્ડ દ્વારા આવા કર્મચારીઓને દૂર કરવા અંગેનો સંકલ્પ જાહેર કરાયો હતો. ત્યારબાદ હવે આ કાર્યવાહીને વેગ આપવામાં આવ્યો છે. ટીટીડીના ચેરમેન બી.આર. નાયડૂએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, મંદિરની પવિત્રતા જળવાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને તેથી જ 18 બિન હિન્દુ કર્મચારીઓ સામે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો પહોંચ્યો પાતાળ લોકમાં; 25 પૈસા ઘટીને 87.37 પર