
તિરુપતિ મંદિર લાડુ વિવાદ: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુ વિવાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે(SIT) ચાર લોકોની ધરપકડ કરી છે. ગત વર્ષે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી હોવાનો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કર્યો હતો. આક્ષેપ બાદ દેશમાં ખળભાટ મચી ગયો હતો. દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જેથી આ મામલાની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI)ના નેતૃત્વમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરાઈ હતી. આ જ ટીમે 4 લોકોની ધરપકડ કરી છે, જેઓ અલગ અલગ ડેરીઓ સાથે સંકળાયેલા છે પરંતુ મંદિરને પશુ ચરબીવાળું ઘી વેચાણ કરતાં હોવાનું બહાર આવ્યું છે.
મુખ્યમંત્રી ચંદ્ર બાબુ નાયડુના આક્ષેપ સાચા નીકળ્યા છે. શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા તિરુપતિ લાડુમાં કથિત ભેળસેળના સંબંધમાં ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ ભોલે બાબા ડેરીના પૂર્વ ડિરેક્ટરો વિપિન જૈન અને પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ ચાવડા અને એઆર ડેરીના રાજુ રાજશેખરન તરીકે થઈ છે.
આરોપીઓ કઈ ડેરીના છે?
રવિવારે મોડી રાત્રે એક અધિકારીએ જણાવ્યું હતું કે, “4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.” બે વ્યક્તિઓ બિપિન જૈન અને પોમી જૈન ભોલે બાબા ડેરીના છે, અપૂર્વ ચાવડા ‘વૈષ્ણવી ડેરી’ સાથે સંકળાયેલા છે અને (રાજુ) રાજશેખરન ‘એ.આર. ડેરી’ સાથે સંકળાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT તપાસમાં ઘી સપ્લાયના દરેક તબક્કે અનિયમિતતા અને ગેરરિતીઓ બહાર આવી હતી. આ શખ્સો ઘીમાં પશુ ચરબીનું મિશ્રણ કરતાં હતા.
વૈષ્ણવી ડેરીના અધિકારીઓએ મંદિરમાં ઘી સપ્લાય કરવા માટે એ.આર. ડેરીના નામે ટેન્ડર મેળવ્યું હતું અને ટેન્ડર પ્રક્રિયામાં છેડછાડ કરવા માટે નકલી રેકોર્ડ બનાવવામાં પણ સામેલ હતા.
ખાસ તપાસ ટીમમાં પાંચ સભ્યો
સૂત્રોએ જણાવ્યું હતું કે SIT એ ખુલાસો કર્યો હતો કે વૈષ્ણવી ડેરીએ ખોટો દાવો કર્યો હતો કે તે ભોલે બાબા ડેરી પાસેથી ઘી મેળવે છે જ્યારે અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે ભોલે બાબા ડેરી પાસે મંદિર બોર્ડ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની માંગને પૂર્ણ કરવાની ક્ષમતા નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, સીબીઆઈએ ગયા વર્ષે નવેમ્બરમાં તિરુપતિ લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીના ઉપયોગના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની SIT ની રચના કરી હતી. તેમણે કહ્યું કે ટીમમાં કેન્દ્રીય એજન્સીના બે અધિકારીઓ, આંધ્રપ્રદેશ પોલીસના બે અધિકારીઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના એક અધિકારીનો સમાવેશ થાય છે.
ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યા હતા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં અગાઉની વાય એસ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની સરકાર દરમિયાન તિરુપતિ લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાયડુના આ નિવેદનથી મોટો રાજકીય વિવાદ સર્જાયો હતો.
આ પણ વાંચોઃ Nadiad: દારુ પીધા બાદ ત્રણ વ્યક્તિઓના મોત, શું દારુ ઝેરી હતો?