
- ભાર વગરનું શિક્ષણ ક્યારે? વડોદરામાં એક વીકમાં ચાર વિદ્યાર્થીઓની આત્મહત્યા
રાજ્યમાં સતત વિદ્યાર્થીઓના આપઘાતના બનાવો વધી રહ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં એક પછી એક ચાર વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે. તો પાછલા એક દિવસ પહેલા જ વડોદરા શહેરાના વાઘોડીયા વિસ્તારમાં ફાર્મસીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં માતા-પિતા ઉપર દુ:ખોનું પહાડ તૂટી પડ્યું છે. વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે. હજુ સુધી મોતનું કારણ અકબંધ છે.
તે સિવાય વડોદરામાં માત્ર એક અઠવાડિયામાં અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આમ એક વીકમાં વાલીઓએ પોતાના વ્હાલસોયા ચાર બાળકોને ગુમાવી દીધા છે. ભણતરના ભાર નીચે દબાઈને ભવિષ્ય સુનિશ્ચિત કરવાના ઈરાદાઓ વચ્ચે વિદ્યાર્થીઓના મગજ ઉપર ટેન્શન વધી રહ્યુ છે.
દેશ અને રાજ્યમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે ભણતરનો ભાર ઉપાડવા મજબૂર બનેલા છે. સાવ નીચલા ધોરણમાં ભણતાં બાળકોને પણ આપણે બેવડ વળી જાય એટલાં ભારેખમ દફતર પીઠ પર લાદીને શાળાએ જતાં જોઈએ છીએ. છ-આઠ કલાકના શાળા શિક્ષણ પછી એટલા જ કલાકનું ગૃહકાર્ય કે પ્રાઈવેટ કોચિંગ એણે કરવાનું હોય છે.
દફતરનું ભાર તો ઠિક પરંતુ પરીક્ષામાં નાપાસ થવાનો ભાર અને વાલીઓની સમાજમાં ઈજ્જત જવાનો ડર એટલો ભયંકર હોય છે કે કુમળું બાળક પોતાનું જીવ લેતા પણ અચકાતું નથી. સરકારી નોકરીની ગળાકાપ સ્પર્ધાના કારણે ક્યાંકને ક્યાંક ભણતરનું ભાર વધી રહ્યું છે. આ ભાર વાલીઓ પાસેથી તેમના સંતાનોને છીનવી રહ્યું છે. રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા જ પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે.
આ પણ વાંચો- ગુજરાત સરકારની કેનાલ બનાવવામાં કામચોરી; રાજ્યના ખેડૂતોને માત્ર દિવાસ્વપ્ન