
- રાહુલ ગાંધીએ અચાનક બે દિવસ અમદાવાદમાં કેમ નાંખ્યાં છે ધામા?
એક તરફ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે તો બીજી તરફ રાહુલ ગાંધી પણ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી સુરત છે તો રાહુલ ગાંધી અમદાવાદમાં પોતાના ધામા નાંખીને પોતાની ગાદી જમાવવાના હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રથમ વખત એવું બનશે કે રાહુલ ગાંધી ગુજરાતમાં આખો દિવસ એક જગ્યાએ બેસીને પોતાના કાર્યકર્તાઓને મળશે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અને બીજેપી સાથેના સંબંધો વિશે પણ ચર્ચા થશે.
મળી રહેલી માહિતી અનુસાર રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત કંઈક ખાસ છે. આ વખતે કોંગ્રેસના જ કેટલાક નેતાઓની વિકેટો પડી શકે છે તો અન્ય નવા કાર્યકર્તાઓને નવી મોટી જવાબદારી પણ અંદરખાને સોંપવામાં આવી શકે છે. રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસમાં વિશ્વાસું લોકોની ટીમ બનાવીને એક નવી જ શરૂઆત કરી શકે છે.
રાહુલ ગાંધી 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે.લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને અઢી વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધીએ 2027ના ચૂંટણી જંગ માટે રણશિંગુ ફૂંકવા કોંગ્રેસ કાર્યકરો માર્ગદર્શિત કરશે.
जननायक श्री राहुल गांधी जी का गुजरात की पावन भूमि पर हार्दिक स्वागत है । सत्य और न्याय की राह पर आपके संघर्ष को नमन!#welcome #RahulGandhi #gujarat #RGInGujarat pic.twitter.com/t1ePYzsjTV
— Geniben Thakor (@GenibenThakor) March 6, 2025
આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી 7 માર્ચના રોજ સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 5 મિટિંગ યોજશે. આમ 9 કલાકમાં તે એક હજારથી પણ કોંગ્રેસના નેતા-કાર્યકર્તાઓને મળશે. આ દરમિયાન તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈ હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે. આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસશે. ઉલ્લેખનીય છે કે, સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરવામાં આવશે.
કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજર રહેશે. રાહુલ ગાંધીના કાર્યક્રમનો મૂળ હેતુ કાર્યકરો સાથે સીધા સંવાદનો છે. પક્ષ માટે શું કરી શકાય અને શું બદલી શકાય તે રાહુલ ગાંધી જાણશે. તમામ સિનિયર લીડર, આગેવાન, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સાંસદ, પૂર્વ સાંસદ સહિત તમામને રાહુલ ગાંધી મળશે.
આ પ્રથમ વખત હશે જ્યારે તાલુકા અને વોર્ડના આગેવાન સાથે કોઈ રાષ્ટ્રીય નેતા મુલાકાત કરશે. લોકોના પ્રશ્નો જાણીને લોકો સુધી સાચી વાત પહોચાડવાનો પ્રયાસ કરાશે. આ મુલાકાત દરમિયાન આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે.