
- અમદાવાદમાં ફતેહવાડીમાં ડૂબેલા ત્રણ યુવકોમાંથી મળ્યા બેના મૃતદેહ; એકની શોધખોળ
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના બની જેનાથી બધાએ ચેતી જવાની જરૂર છે. અહીં રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા. જેમાં સૌથી પહેલા યક્ષ ભંકોડિયાનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યો હતો.
માહિતી અનુસાર યક્ષ જ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે તેણે આ કાર યશ સોલંકીને ચલાવવા આપી હતી.યક્ષનો મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો પછી યશ સોલંકીનો પણ મૃતદેહ મળી આવ્યો છે. જોકે હજુ સુધી અન્ય એક ક્રિશ દવેની અત્યાર સુધી કોઇ ભાળ મળી નથી.
આજે ગુરુવારે વહેલી સવારે વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નજીક એક સગીરની લાશ તરતી મળી હતી. જે બાદ વધુ એક યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. હજુ એક લાપતા યુવકની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.
લાપતા બનેલા ત્રણેયના પરિવારજનો પણ વહેલી સવારથી કેનાલ પાસે પહોંચી ગયા હતા અને તેમના બાળકોની ભાળ ઝડપથી મળે તેના માટે ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ મેળવી હતી. તે દરમિયાન ગત સાંજથી લાપતા બનેલા એક સગીરની 15 કલાકે લાશ મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયું હતું. થોડા સમય બાદ વધુ એક યુવકની લાશ મળી આવી છે.
કેનાલમાં લાપતા બનેલા યક્ષના પરિવારજને જણાવ્યું હતું કે, સાંજના સમયે નિયમિત સમય મુજબ તેના મિત્રોને મળવા માટે અને બહાર આંટો મારવા માટે ગયો હતો. મને ખબર નથી કે તેના મિત્રો સાથે તે અહીંયા આવ્યો હતો. મારા દીકરાને ગાડી ચલાવતા આવડતું નથી, મારો દીકરો 17 વર્ષનો છે અને ભણતો હતો.
વાસણા બેરેજ પાસે કેનાલ નજીક કેવી રીતે આવ્યા તેની અમને ખબર નથી. રીલ બનાવવા આવ્યા હતા કે કેમ એની અમને ખબર નથી. મને સાંજે 7 વાગ્યાની આસપાસ તેના મિત્રનો ફોન આવ્યો હતો કે આવી ઘટના બની છે. તેની સાથે બીજા કોણ મિત્ર હતા તેની ખબર નથી.
આ પણ વાંચો- તોફાની શરૂઆત પછી અચાનક બજાર ગબડ્યું; શેરબજારે ફરી કર્યા હેરાન