
- “દંડની વસૂલાત કે ટ્રાફિકનું સમાધાન?” : અમદાવાદમાં વાહન ચાલકોને 20 દિવસમાં ₹13.21 કરોડનો દંડ
- અમદાવાદમાં છેલ્લા 20 દિવસમાં 2.01 લાખ કેસ નોંધાયા
- 13.21 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં 20 માર્ચ, 2025ના રોજ ખરાબ રસ્તાઓ, ટ્રાફિકની સમસ્યાઓ અને રખડતાં ઢોરના મુદ્દે એક મહત્વની સુનાવણી થઈ હતી. આ કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અન્ય ઓથોરિટીએ એફિડેવિટ રજૂ કર્યું, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જણાવી દઇએ કે, અમદાવાદ શહેરમાં છેલ્લા 20 દિવસ દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગના 2.01 લાખ કેસ કરી રૂ. 13.21 કરોડના દંડની વસૂલાત કરવામાં આવી છે. પરંતુ આ આંકડાઓ એક મોટો સવાલ ઉભો કરે છે. શું દંડ એ જ એકમાત્ર રસ્તો છે અકસ્માત રોકવા અને ટ્રાફિકને નિયમિત કરવા?
13 કરોડનો દંડ, પણ સમસ્યા જૂની
એફિડેવિટ મુજબ, અમદાવાદમાં છેલ્લા 20 દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગના 2.01 લાખ કેસ નોંધાયા અને 13.21 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. એટલે કે દરરોજ હજારો લોકો નિયમો તોડે છે અને સરકારની તિજોરી ભરાતી રહે છે. પણ શું આ દંડથી રસ્તાઓ પર શિસ્ત આવી? કે અકસ્માત ઘટ્યા? આંકડા કહે છે કે ના! તો પછી સવાલ એ થાય કે શું સરકાર આ ટ્રાફિકની અવ્યવસ્થા અને અકસ્માતના બહાને લોકો પાસેથી મોટા પ્રમાણમાં દંડ વસૂલવાનું જ ઈચ્છે છે?
કામગીરી થઈ પણ અપૂરતી
AMCએ જણાવ્યું કે 27 ફેબ્રુઆરીથી 19 માર્ચ, 2025 દરમિયાન ઘણું કામ થયું. 14,854 ચોરસ મીટર રોડ પર ઝિબ્રા ક્રોસિંગ અને સ્ટ્રિપ્સ બનાવાયા, 249 નવા ટ્રાફિક સાઈન લાગ્યા, અને 241 રખડતાં ઢોર પકડાયા. 3216 લારી-ગલ્લા અને 7093 હોર્ડિંગ્સ હટાયા. રસ્તાઓ રિસર્ફેસ કરવા 55,426 મેટ્રિક ટન મટીરિયલ અને ખાડા ભરવા 2127 મેટ્રિક ટનનો ઉપયોગ થયો. SG હાઈવે પર ટ્રાફિક પોલીસને વાયરલેસ અને બોડી કેમેરા પણ આપવામાં આવ્યા. પણ કોર્ટ મિત્રએ રજૂઆત કરી કે હજી પણ લોકો રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરે છે. તો શું આ કામગીરી માત્ર દેખાડો છે?
શું દંડ સિવાય બીજો રસ્તો છે ખરો?
હાઈકોર્ટે ઓથોરિટીને સ્પષ્ટ કહ્યું કે આ કામગીરી ચાલુ રાખો, ફક્ત અમદાવાદમાં જ નહીં, બીજા શહેરોમાં પણ લાગુ કરો. ટ્રાફિક અને દબાણ દૂર કરવા એક નક્કર પોલિસી લાવવાની સૂચના આપી છે. આગામી 6 મહિના સુધી અનધિકૃત બાંધકામ અને દબાણ હટાવવાનું કામ ચાલુ રાખવા કહ્યું છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર પાસે દંડ વસૂલવા સિવાય બીજો કોઈ રસ્તો નથી? શું લોકોમાં જાગૃતિ લાવવી, રસ્તાઓની ડિઝાઈન સુધારવી, કે ટ્રાફિક સિગ્નલ સિસ્ટમને હાઈટેક બનાવવી એ વધુ સારો ઉપાય નથી?
સરકારની નીતિ ક્યાં છે?
જ્યારે 20 દિવસમાં 13 કરોડનો દંડ ભેગો થઈ શકે છે, તો એ જ પૈસાનો ઉપયોગ રસ્તાઓ સુધારવા, ટ્રાફિક પોલીસની સંખ્યા વધારવા કે જાહેર જનતાને નિયમોનું પાલન કરવા શીખવવા માટે કેમ નથી થતો? શું સરકાર જાણીજોઈને ટ્રાફિકની અવ્યવસ્થા ચાલુ રાખીને દંડની રકમ વધારવા માંગે છે? આ આંકડા જોતાં એવું લાગે છે કે દંડ એ સરકાર માટે આવકનું સાધન બની ગયું છે, પણ સમસ્યાનું સમાધાન હજી દૂર છે.
શું થશે આગળ?
હાઈકોર્ટે ઓથોરિટીને ફોટા અને વીડિયોના આધારે ફરિયાદો પર પગલાં લેવા કહ્યું છે. પણ જ્યાં સુધી લોકોની માનસિકતા નહીં બદલાય અને સરકાર દંડની સાથે લાંબા ગાળાની યોજના નહીં લાવે, ત્યાં સુધી રસ્તાઓ પરની અવ્યવસ્થા અને અકસ્માતની આ સ્ટોરીઓ ચાલુ જ રહેશે. સવાલ એટલો જ છે કે, દંડ એ ઉકેલ છે, કે માત્ર એક બહાનું?