
બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ધનપુરા નજીક 27 ડિસેમ્બરની રાત્રે એક કાર સળગી ગઇ હતી. જેમાં એક અજાણી વ્યકિત કારમાં જ ભડથું થઈ ગઈ હતી. વહેલી સવારે જાણ થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતદેહના સેમ્પલ લઈ DNA-FSL માટે બીજે મેડિકલ કોલેજ, અમદાવાદ ખાતે માટે મોકલાયા છે.
સળગી ગયેલી કારના નંબર (GJ-01-HJ-9718)ના માલિક અંગે આરટીઓ કચેરીમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે, આ કાર પાલનપુર તાલુકાના સાસમ ગામના યુવકના નામે હતી. જે તેણે દોઢ માસ અગાઉ એક ગેરેજમાં વેચી દીધી હોવાનું કહ્યુ હતુ.
વીમો પાસ કરવા માટે સમગ્ર કારસ્તાન આચર્યું !
વીમાનો કલેઇમ પાસ કરવા માટે સમગ્ર કારસ્તાન આચર્યું હોવાની ચર્ચાઓ થઇ રહી છે. જે મુજબ કુદરતી રીતે મૃત્યુ પામેલી વ્યકિતને કારમાં લઇ આવી તેને કાર સાથે બાળી નાખવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
કાર માલિકોનો મોબાઈલ બંધ
પોલીસ તપાસમાં કાર માલિકોનો નંબર શોધી કોલ કરતાં બંધ બતાવે છે. જેથી વડગામ પોલીસે હાલ તમામ વધુ પાસાઓની ચકાસણી કરી છે. વીમા ક્લેમ માટે તર્કટ રચ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વડગામ પોલીસે બેશકમંદ ઇસમોની પણ ધરપકડ કરી છે. સાથે જ હજુ સુધી કાર માલિક ઝડપાયો નથી. તે ઝડપાઈ તો અનેક ખુલાસો થઈ શકે છે. સમગ્ર ઘટનાક્રમ DNA અને FSLના રિપોર્ટ બાદ ઉકેલાઈ શકે છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. તેમ વડગામ પોલીસ મથકના પીઆઈ એન.એમ. સોલંકીએ જણાવ્યું છે.