
Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ કામગીરીના નામે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ રચેલા ‘નાસ્તા કૌભાંડ’ની ગંધ હવે ખુલ્લેઆમ બહાર આવી રહી છે. જ્યારે જંગલેશ્વરની ગલીઓમાં ૧૫૦૦ જેટલા પરિવારો પોતાના ઘર તૂટતા જોઈને રડતા હતા અને રઝળી પડ્યા હતા, ત્યારે કૉર્પોરેશનના અધિકારીઓ સરકારી તિજોરીના પૈસે ૨૭ લાખ ૨૦ હજાર રૂપિયાનો નાસ્તો ઉડાવી રહ્યા હતા તેવું સામે આવ્યું છે. આ બિલમાં કાજુ કતરી, ખજૂર રોલ, સમોસા અને ખમણ જેવી ચીજવસ્તુઓનો સમાવેશ જોઈને સામાન્ય માણસનું લોહી ઉકળી ઉઠે તેવી સ્થિતિ છે.
ગરીબના આંસુ અને અધિકારીઓની મોજ: બિલમાં કાજુ કતરીનો ઉલ્લેખ!
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન (RMC) દ્વારા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચના બિલમાં જે વિગતો સામે આવી છે, તે માનવતાને શરમમાં મૂકે તેવી છે. બિલ મુજબ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાજુ કતરી, ખજૂર રોલ અને સમોસા જેવી ૧૫૦ નંગ પ્લેટનો ખર્ચ ૩૪,૬૫૦ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, આરાધના ટી સ્ટૉલના નામે ૬,૩૦,૯૪૬ રૂપિયાનું માત્ર ચા-કૉફી અને બિસ્કિટનું જ બિલ મૂકવામાં આવ્યું છે, જેમાં ૨૧ હજાર કપ ચા અને ૪ હજાર બોટલ લીંબુ શરબતનો સમાવેશ થાય છે. વિપક્ષનો આક્ષેપ છે કે એક નંગ કાજુ કતરીની કિંમત ૨૩૧ રૂપિયા દર્શાવવી એ જ ભ્રષ્ટાચારની સ્પષ્ટ નિશાની છે.
શું આ માત્ર ‘નાસ્તો’ હતો કે પછી સરકારી તિજોરી પર તરાપ?
કૉંગ્રેસના કૉર્પોરેટરોએ આ મુદ્દે ગૃહમાં ઉગ્ર વિરોધ કર્યો છે. દિપ્તીબહેન સોલંકીએ જણાવ્યું કે, જ્યારે જંગલેશ્વરમાં લોકો બેઘર થઈ રહ્યા હતા, ત્યારે અધિકારીઓ ૨૩૧ રૂપિયાની કાજુ કતરી ખાઈ રહ્યા હતા તે અત્યંત શરમજનક છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજકોટની નિર્દોષ જનતા આ ભ્રષ્ટાચારીઓનું બિલ નહીં ભોગવે. બીજી તરફ, કૉંગ્રેસના શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ માંગ કરી છે કે આખા મામલે તપાસ કમિટી બનાવવી જોઈએ, કારણ કે આટલા મોટા પાયે ૩૨ જાતના ભોજન અને મિઠાઈઓનું બિલ મૂકવું એ કોઈ પણ રીતે ડિમોલિશન જેવી પરિસ્થિતિમાં યોગ્ય નથી.
તંત્રનો બચાવ: ‘પ્રેસ કૉન્ફરન્સ અને સ્ટાફની વ્યવસ્થા હતી’
આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, કાજુ કતરી અને મિઠાઈનો ઓર્ડર ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કમિશનરના આદેશ મુજબ આયોજિત પ્રેસ કૉન્ફરન્સ માટે હતો. તેમણે દાવો કર્યો કે ૪૮૦૦થી વધુ સ્ટાફ, જેમાં પોલીસ, ફાયર, મેડિકલ ટીમો અને મજૂરો સામેલ હતા, તેમના માટે આ રિફ્રેશમેન્ટની વ્યવસ્થા હતી. તેમણે આ બિલમાં કોઈ પણ પ્રકારની આર્થિક ગેરરીતિ થઈ હોવાનો ઇનકાર કર્યો છે. જોકે, સવાલ એ થાય છે કે શું ડિમોલિશન જેવી સંવેદનશીલ કામગીરીમાં જ્યારે હજારો લોકો બેઘર થઈ રહ્યા હોય, ત્યારે અધિકારીઓ માટે આટલી મોંઘી મિઠાઈઓની પાર્ટી કરવી કેટલા અંશે વ્યાજબી છે?
તપાસના આદેશ અને પડતર રહેલા બિલ
વિવાદ વધતા રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ આ સમગ્ર દરખાસ્તને હાલ પૂરતી ‘પેન્ડિંગ’ રાખી દીધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવશે કે આટલા સંવેદનશીલ માહોલમાં મિઠાઈ ખાવાની શું જરૂર પડી હતી. પીપળિયાએ જણાવ્યું કે પારદર્શિતા માટે હવે કોઈ પણ એજન્સીએ કામ પત્યાના બે મહિનામાં બિલ રજૂ કરવા પડશે, નહીંતર તેની તપાસ કરવામાં આવશે. હાલ તો આ બિલની ફાઈલ તપાસ હેઠળ છે, પરંતુ લોકોના મનમાં પ્રશ્ન છે કે શું ખરેખર કોઈ કાર્યવાહી થશે કે પછી આ મામલો પણ અન્ય કૌભાંડોની જેમ ઠંડા બસ્તામાં દબાઈ જશે?
રાજકોટની જનતા માટે એક મોટો બોધપાઠ
આ ઘટનાએ રાજકોટના વહીવટી તંત્રના સંવેદનશીલતાના અભાવને છતો કર્યો છે. જ્યારે સામાન્ય માણસ ટેક્સ ભરીને તંત્ર ચલાવે છે, ત્યારે અધિકારીઓ તે ટેક્સના પૈસાનો ઉપયોગ આવી રીતે ‘કાજુ કતરી’ અને ‘ખજૂર રોલ’ પાછળ કરે તે જનતા માટે દુઃખદ છે. વિપક્ષનું માનવું છે કે આ કેસમાં જવાબદાર અધિકારીઓ પાસેથી બિલના પૈસા વસૂલવા જોઈએ. જ્યારે મેયર નેહલ શુક્લે કહ્યું કે નિયમ મુજબ કાર્યવાહી થશે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું ખરેખર ખાઉધરા અધિકારીઓ પર કાયદાનો ગાળિયો કસાશે કે પછી માત્ર તપાસના નામે સમય પસાર કરવામાં આવશે?
આ પણ વાંચો:








