
રાજકોટના વીંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. લોકોમાં રોષ ભભૂકયો છે. થોરિયાળીના ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સો દ્વારા હુમલો કરતાં તેમનું સારવાર દરમિયાન થયુ છે. ત્યા લોકોએ બંધ પાળી ઉગ્ર વિરોધ નોધાવ્યો છે. આજે વિંછીયામાં બંધનું એલાન અપાયું છે. પૂર્વ સરપંચ મનુભાઈ રાજપારાએ મૌન રેલી યોજી બંધનું એલાન આપ્યું હોવાનું કહેવાય છે. સાથે જ રૈલી બાદ વીંછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. પરિવારજનો દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તેવી માગ કરાઈ છે.
શું છે મામલો
ગઇકાલે સાંજે રાજકોટના વીંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સે એક સાથે કુહાડી અને ધોકાથી હુમલો કરી ગંભીર રીતે માર માર્યો હતો. યુવક આઇશરને રીપેર કરાવી આવી રહ્યો હતો ત્યારે આ શખ્સો અચાનક દોડી આવ્યા હતા અને ઘાતકી હુમલો કર્યો હતો જેમાં યુવકને પહેલાં વીંછીયા અને બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતુ.
જો કે આરોપીઓ કોણ કોણ હતા તે હજુ સુધી બહાર આવ્યું નથી. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પરિવારજનોનું કહેવું છે કે યુવકે ગેરકાયદે થયેલા દબાણોને દૂર કરવા માટે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી. જેની રીસ રાખી આ હુમલો કરાયો છે