
મુંબઈ-નાગપુર હાઈવે પર તે સમયે અફરાતફરી મચી જ્યારે રસ્તા પર પડેલા એક લોખંડના બોર્ડના કારણે 50થી વધુ કારોના ટાયર પંકચર થઈ ગયા, જેના કારણે હાઈવે પર કારોની લાઈનો લાગી ગઈ. હાઈવેના વ્યસ્ત ભાગ પર બનેલી આ ઘટનાના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઘટના મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ પર 29 ડિસેમ્બર રાત્રે 10 વાગ્યાના આસપાસ વાશિમ જિલ્લાના માલેગાંવ અને વનોજા ટોલ પ્લાઝા વચ્ચે બની. જણાવી દઇએ કે આ માર્ગ વ્યૂહાત્મક રીતે મુંબઈ અને નાગપુરને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે.
મળી રહેલી જાણકારી અનુસાર, લોખંડની શીટના કારણે એક પછી એક નાની ગાડીઓ અને ટ્રકોના ટાયર પંચર થઇ ગયા હતા. આ વચ્ચે હાઇવે પર કલાકો સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો અને એક સંખ્યાબંધ ગાડીઓનો કાફલો રસ્તા ઉપર ભેગો થઈ ગયો હતો. ભયંકર ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને રાતભર હાઇવે પર જ રહેવું પડ્યું હતું. હાલમાં પ્રશાસન તે વાતની તપાસ કરી રહ્યું છે કે, લોખંડની શીટ ત્યાં ભૂલથી પડી ગઈ હતી કે, કોઈએ જાણીજોઇને ત્યાં ફેંકી હતી.

જામને ખોલવા માટે હાઇવે અધિકારીઓએ મળીને શીટ્સને હટાવવાની કોશિશ કરી. આ સાથે જ યાત્રીઓને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ ઘટના તે સમયે થઈ છે, જ્યારે હાઈ-સ્પીડ કોરિડોરની સુરક્ષા પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં ભયંકર માર્ગ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.
માહિતી માટે જણાવી દઇએ કે, 701 કિમી લાંબો આ મુંબઈ-નાગપુર એક્સપ્રેસવે (જેને સમૃદ્ધિ મહામાર્ગના નામથી પણ ઓળખવામાં આવે છે) ભારતના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાંનો એક છે, જેના લીધે મુંબઈ અને નાગપુરના વચ્ચેના પ્રવાસનો સમય ઘણી હદે ઘટી જશે. જણાવવું છે કે, તેને બનાવવા માટે 55,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
તે આ પ્રદેશમાં પ્રવાસ અને વ્યાપાર માટે મોટા ફેરફારો લાવવા માટે કરાયેલ એક મહત્વપૂર્ણ અને વિશાળ પ્રોજેક્ટ છે.