
કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસ અંગે કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓને કેનેડિયન કોર્ટે જ જામીન આપ્યા છે. આરોપીને જામીન મળવાથી કેનેડા સરકાર અને પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. આગામી સુનાવણી હવે 11 ફેબ્રુઆરીએ થશે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચારેય આરોપીઓને કાનૂની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી જામીન પર મુક્ત કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચારમાંથી ત્રણ પ્રતિવાદીઓ વીડિયો દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. જ્યારે ચોથાનું પ્રતિનિધિત્વ વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું.
પોલીસ કોર્ટમાં હાજર રહી ન હતી
હકીકતમાં આ કેસમાં કેનેડિયન પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે. નીચલી કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતાં પોલીસ કોર્ટમાં હાજર રહી ન હતી. પોલીસની આ નિષ્ક્રિયતા જોઈને કેનેડાની સુપ્રીમ કોર્ટે ચારેય આરોપીઓને જામીન પર મુક્ત કર્યા. જે ચાર આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં કરણ બ્રાર, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહનો સમાવેશ થાય છે. કેનેડા સરકારના દસ્તાવેજો અનુસાર, આરોપીઓ હવે પોલીસ કસ્ટડીમાં નથી.
આ સમાચાર પણ વાંચોઃ કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ: ગાંધીનગર શિક્ષણ વિભાગની તપાસ
મે મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી
આ આરોપીઓની નિજ્જર હત્યા કેસમાં 2024ના મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ(RCMP)ની ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમે હત્યા અને હત્યાના કાવતરાના આરોપસર તેમની ધરપકડ કરી. આમાંથી ત્રણ આરોપીઓ એડમોન્ટનના રહેવાસી હતા, જ્યારે ચોથા આરોપી અમરદીપ સિંહની 11 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ બધા પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને કાવતરાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.
શું હતો આખો મામલો
18 જૂન 2023ના રોજ કેનેડાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતમાં અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ અને હત્યાઓ માટે વોન્ટેડ, હરદીપ નિજ્જર 1997 માં કેનેડા ભાગી ગયો. તેમની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધુ વધી ગયો. કેનેડાએ આ હત્યા માટે ભારતને દોષી ઠેરવ્યું હતું, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
ભારત પર સંડોવણીનો આરોપ
જસ્ટિસ ટ્રુડોએ પણ ભારત પર આ હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. તેમણે 18 જૂન 2023ના રોજ સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારતીય સરકારી એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. ભારતે આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો હતો અને કેનેડા દ્વારા ક્યારેય કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. આ કેસમાં ચાર આરોપીઓની મુક્તિ જસ્ટિન ટ્રુડો માટે મુશ્કેલીઓમાં વધુ વધારો કરી શકે છે. જેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચોઃ JUNAGADH: ખેડૂતો માટે અનોખો વિરોધ, AAP પાર્ટીએ ભીખ માગી, જુઓ