
મધ્યપ્રદેશના દેવાસમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ફ્રીઝમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલાની હત્યા લગભગ 10 મહિના પહેલા થઈ હતી. કેસનો ખુલાસો થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના દેવાસ બાયપાસ પર સ્થિત વૃંદાવન ધામ કોલોનીમાં બની હતી.
મકાનનું તાળું ખોલાવતાં ભાંડો ફૂટ્યો
મળતી માહિતી મુજબ એક યુવતી અને યુવક છેલ્લા 5 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. મહિલા લગ્ન માટે દબાણ કરી રહી હતી, જેના કારણે આરોપી ગુસ્સે થઈ ગયો અને તેના મિત્ર સાથે મળીને મહિલાની હત્યા કરી દીધી. પછી તેણે લાશને ફ્રીઝમાં બંધ કરી ત્યાંથી ભાગી ગયો હતો. મહિલાની ઓળખ પિંકી ઉર્ફે પ્રતિભા પ્રજાપતિ તરીકે થઈ છે. બંન્ને જૂન 2023થી ઇન્દોરમાં ધીરેન્દ્ર શ્રીવાસ્તવના ઘરમાં ભાડા પર રહેતાં હતા. ગયા વર્ષે જૂનમાં, આરોપી સંજયે ઘર ખાલી કરી દીધું હતું, પરંતુ માસ્ટર બેડરૂમ અને સ્ટડી રૂમનું તાળું ખોલ્યું ન હતું. તેણે પોતાનો સામાન આ રૂમમાં છોડી દીધો હતો. આ પછી, મકાનમાલિકે ઘર બીજા કોઈને ભાડે આપી દીધું, પરંતુ સંજય લાંબા સમય સુધી વસ્તુઓ લેવા આવ્યો નહીં. પછી મકાનમાલિકે ભાડૂઆત બલવીર સિંહને તાળું તોડીને સામાન બહાર કાઢવા કહ્યું હતુ.
દુર્ગંધ આવતાં પોલીસને જાણ કરવામાં આવી
ગુરુવારે, જ્યારે બલવીરે રૂમનું તાળું તોડ્યું, ત્યારે તેણે ફ્રીઝ જોયું. તેની સ્વીચ ચાલુ હતી, જેને બલવીરે બંધ કરી દીધી. શુક્રવારે સવારે ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી, જેના પગલે બલવીરે પોલીસ અને મકાનમાલિકને જાણ કરી. જ્યારે પોલીસે ફ્રીઝ ખોલ્યું ત્યારે અંદરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી પોલીસને સંજય પાટીદારે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
એસપી પુનીત ગેહલોતે જણાવ્યું હતું કે હત્યા કર્યા પછી, આરોપી સંજયે મૃતદેહને ફ્રીઝમાં રાખ્યો હતો અને શરીરને દુર્ગંધ ન આવે તે માટે તાપમાન ઓછામાં ઓછું રાખ્યું હતું. આ પછી, તેણે ફ્રિજ ઉપર કપડું બાંધ્યું અને તેના પર અન્ય વસ્તુઓ રાખી હતી. શરીર થીજી ગયું હતું. જો કે લાશ એવીને એવી હતી. તે સડી ન હતી. જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી સંજયની ધરપકડ કરી છે. આરોપી ઉજ્જૈન જિલ્લાના મોલાના ગામનો રહેવાસી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં સંબંધો અને ગુનાની ગંભીરતા પર પ્રકાશ પાડ્યો છે.
આ સમાચાર પણ વાંચોઃ યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદેસરના બાંધકામો પર બૂલડોઝર ફર્યું, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત







