
Cough Syrup : ભારત સહિત વિદેશમાં 300થી વધુ બાળકો ભારતીય ઝેરી કફ સિરપ પીવાથી મૃત્યુ પામ્યા હોવાછતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતી નથી : દવા નિયંત્રણ પ્રણાલીની સરકારની નિષ્ફળતા કેટલાનો ભોગ લેશે?
આફ્રીકામાં બાળકોનાં જીવ લેનાર દવા કંપનીઓને ભારતમાં કોન્ટ્રાક્ટ કઈ રીતે મળી જાય છે?હોબાળો થાય એટલે પ્રતિબંધના નાટક કરવાના? IMAના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા આ માટે સરકાર અને ડ્રગ કંટ્રોલરને જવાબદાર ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે.
મધ્યપ્રદેશમાં ઝેરી કોલ્ડ્રિફ કફ સિરપથી માસૂમ બાળકોના ટપોટપ મોતનો સિલસિલો અને 16 જેટલા બાળકોના મોત થયાની ઘટનાએ દેશભરમાં ભારે ચકચાર મચાવી છે અને અરેરાટી વ્યાપી ગઈ છે ત્યારે હવે નવી ચોંકાવનારી વાત સામે આવી રહી છે જેમાં કેન્દ્ર સરકારની પોલ ખુલ્લી પડી ગઇ છે.
IMAના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. દિલીપ ભાનુશાલીએ આ માટે સરકાર અને ડ્રગ કંટ્રોલરને જવાબદાર ગણાવતા ભારે સનસનાટી મચી ગઇ છે.ડૉ. ભાનુશાલીના મતે મેસર્સ શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ અગાઉ દક્ષિણ આફ્રિકામાં પણ DEG (ડાયઇથિલીન ગ્લાયકોલ)થી દૂષિત દવાઓ વેચી હોવાની વાત કરી ઉમેર્યુ કેઆવી બદનામ કંપનીને ફરીથી આવા ઉત્પાદનો ભારતમાં વેચવાની મંજૂરી કેવી રીતે મળી? તેમણે આ માટે સરકાર અને ડ્રગ કંટ્રોલરને સીધા જવાબદાર ગણાવ્યા છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. દિલીપ ભાનુશાલીએ ઝેરી કોલ્ડ્રિફ કફ સીરપને કારણે બાળકોના મૃત્યુના મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ ડ્રગ કંટ્રોલર પર ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યુ છે કેજો ડૉક્ટર દોષી હોય તો તેને સજા થવી જોઈએ, પરંતુ કફ સીરપની ગુણવત્તાની નિષ્ફળતા માટે ડૉક્ટરને જ જવાબદાર ગણવું તે પણ વ્યાજબી નથી.આ કેસમાં ડૉ. પ્રવીણ સોનીની ધરપકડ અને સસ્પેન્શનના મુદ્દે IMAએ સરકારની નીતિઓ અને દવા નિયંત્રણ પ્રણાલી પર સવાલ ઉઠાવ્યા છે.
IMAનું સ્પષ્ટ માનવું છે કે દવા નિયંત્રણ પ્રણાલીની નિષ્ફળતા માટે સીધી સરકાર જ જવાબદાર છે તેઓએ આરોપ લગાવ્યો હતો કે, સરકારે કડક કાયદાઓ લાગુ કરવાને બદલે આ કંપનીને ક્લીન ચિટ આપી દીધી હોય તેવું લાગે છે. આ ઘટનામાં, છિંદવાડાના પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉ. પ્રવીણ સોની અને મેસર્સ શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના સંચાલકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105, 276 અને ઔષધ અને પ્રસાધન સામગ્રી અધિનિયમ 1940ની કલમ 27A હેઠળ FIR નોંધવામાં આવી છે. આ કાર્યવાહી એવા બાળકોને દવાઓ લખવા બદલ કરવામાં આવી છે, જેના સેવનથી બાળકોની કિડની પર વિપરીત અસર થઈ અને કરુણ મોત થઈ ગયું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત અને વિદેશમાં 300થી વધુ બાળકો ઝેરી કફ સિરપથી મૃત્યુ પામ્યા હોવાની ચોંકાવનારી વાત સપાટી ઉપર આવી છે મૃતક બાળકોમાં મોટા ભાગનાં બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં હતા એટલુંજ નહિ પણ બાળકોના મોત માટે જવાબદાર આ ઝેરી સિરપ બનાવતી કંપનીઓમાં મોટાભાગની કંપનીઓ ભારતીય હોવાની વાતનો ખુલાસો થયો છે.જે રીતે પાછલા વર્ષના આંકડાઓ સામે આવ્યા છે તેમાં આફ્રિકન દેશ ગામ્બિયામાં 2022માં ભારતીય કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપ પીવાથી 66 બાળકો મૃત્યુ પામ્યાં હતા,WHO અનુસાર, ‘મેડન ફાર્માસ્યુટિકલ્સ’ના ચાર કફ સિરપમાં DEG અને EG જેવા ઝેરી પદાર્થો હોવાની વાત સામે આવી છે જ્યારેઇન્ડોનેશિયાની વાત કરવામાં આવેતો ઓક્ટોબર 2022માં ઝેરી કફ સિરપ પીવાથી 200 બાળકોના કરુણ મોત થયા હતાં. આ દવાઓમાં પણ DEG મળ્યું હતું, જેના કારણે કિડની ફેલ થઈ ગઈ હોવાની વાત સામે આવતા સરકારે સાત ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે કેસ કરી સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઉપરાંત ડિસેમ્બર 2022માં, ઉઝબેકિસ્તાનમાં પણ ભારતીય દવા કંપની મેરિયન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડની સિરપ પીવાથી 18 બાળકોનાં મોત થયા હોવાની વાતનો ખુલાસો થયો છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે પણ જેતે વખતે ભારતીય કફ સિરપમાં EG હોવાની વાતની પૃસ્ટી કરી હતી.
આ સિવાય આફ્રિકન દેશ કેમરૂનમાં 2023માં ભારતીય કફ સિરપ “નેચરકોલ્ડ” પીવાથી છ બાળકોનાં મોત થયાં હતાં. WHO અનુસાર,આ સિરપમાં 28.6% DEG હતું, જે સામાન્ય કરતાં 200 ગણું વધારે હતું. બોટલ પર ઉત્પાદકનું નામ “ફ્રેન્કોન ઇન્ટરનેશનલ (ઇંગ્લેન્ડ)” તરીકે સૂચિબદ્ધ હતું, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે આ સિરપ ભારતીય કંપની, રીમન લેબ્સ દ્વારા બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.જ્યારે 2020ના વર્ષમાં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં COLDBEST-PC કફ સિરપ પીવાથી 12 બાળકોનાં મોત થતા હોબાળો મચ્યો હતો એ દવાનું ઉત્પાદન હિમાચલ પ્રદેશ સ્થિત ડિજિટલ વિઝન ફાર્મા દ્વારા કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી અને ચોંકાવનારી વાતતો એ હતી કે તેમાં 34% DEG હોવાનું ખુલ્યું હતું.
મહત્વનું છે કે WHOના ધોરણો અનુસાર, દવાઓમાં EG અથવા DEGનું પ્રમાણ 0.1%થી વધુ ન હોવું જોઈએ પણ અહીં જે વાત સામે આવી તે ચોંકાવનારી છે અને માસૂમ બાળકોના જીવ ગયા છે.ભારતનું સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (CDSCO) પણ આ ધોરણનું પાલન કરે છે. દવાઓમાં EG અથવા DEGની વધુ પડતી માત્રાને ઝેરી ગણવામાં આવે છે.WHOના અનુસાર, ગ્લિસરીન ધરાવતી દવાઓનું પરીક્ષણ કરતી વખતે, EG અથવા DEGનું પ્રમાણ 0.1 %થી વધુ ન હોવું જોઈએ.સવાલ એ થાય છે કે આખરે દવા કંપનીઓ બાળકોના સિરપમાં EG અને DEG જેવા ઝેરી પદાર્થોની ભેળસેળ કેમ કરે છે?જેના કારણમાં નફાખોરી હોવાનું માનવામાં આવે છે, ગ્લિસરીન અને પ્રોપિલિન ગ્લાયકોલ દવાઓને ઘટ્ટ બનાવવા અને બાળકો માટે સ્વાદિષ્ટ બનાવવા EG અને DEG સસ્તાં, ઔદ્યોગિક-ગ્રેડ રસાયણો છે, કારણ કે ગ્લિસરીનની જેમ આ રંગહીન અને ગંધહીન પ્રવાહી છે, નફો મેળવનારી ફાર્માસ્યુટિકલ કંપનીઓ એનો ઉપયોગ ગ્લિસરીનના વિકલ્પ તરીકે કરે છે અને તે પ્રયોગશાળા પરીક્ષણ કરવામાં ન આવે તો તેમને સિરપમાં શોધવા મુશ્કેલ બને છે.આ દવાઓ સામાન્ય રીતે પાઉડર સ્વરૂપમાં હોય છે, તેથી તેમને ઓગાળવા માટે દ્રાવક (સોલ્વન્ટ)ની જરૂર પડે છે. બાળકો કડવી દવાઓ ગળી શકતા નથી, તેથી સ્વીટનર સોર્બિટોલ અથવા ગ્લિસરીન, ગ્લિસરોલ અથવા પ્રોપિલિન ગ્લાયકોલ જેવા ઘટ્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. આ દવાને ઘટ્ટ રાખે છે, પરંતુ મોંમાં ચોંટી જતી નથી.જ્યારે સોલ્વન્ટને બદલે ઇથિલિન ગ્લાયકોલ (EG) અથવા ડાયથિલિન ગ્લાયકોલ (DEG)નો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એ બાળકો માટે ઝેરી બની જાય છે.
સૂત્રો જણાવે છે કે દર વર્ષે ઘણા બધા કફ સિરપ નવાં નામો અને બ્રાન્ડ હેઠળ લોન્ચ કરવામાં આવે છે. કંપનીઓ સસ્તાં રસાયણોનો ઉપયોગ કરીને ઓછી કિંમતે લોન્ચ કરે છે ,ડોકટરો કમિશન માટે અથવા અન્ય કારણોસર બાળકોને આ સિરપ લખી આપતા હોય છે.
આ દવાઓ સામાન્ય રીતે પાઉડર સ્વરૂપમાં હોય છે, તેથી તેમને ઓગાળવા માટે દ્રાવક (સોલ્વન્ટ)ની જરૂર પડે છે. બાળકો કડવી દવાઓ ગળી શકતા નથી, તેથી સ્વીટનર સોર્બિટોલ અથવા ગ્લિસરીન, ગ્લિસરોલ અથવા પ્રોપિલિન ગ્લાયકોલ જેવા ઘટ્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. આ દવાને ઘટ્ટ રાખે છે,પણ તે મોંમાં ચોંટી જતી નથી.
આમ,બાળકોના જીવ લેનાર આવી દવાઓ માર્કેટમાં આવતી રહે છે અને જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે સરકાર સફાળી જાગતી હોય છે પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે ખાસ કોઈ કડક પગલાં ભરતી નહિ હોવાથી ઘટનાનું પુનરાવર્તન થયા કરે છે, હાલમાં સરકાર દવા ઉપર પ્રતિબંધ અને સબંધિતો સામે પગલાં ભરી મામલો થાળે પાડશે પણ ફરી આવું નહિ થાય તેવી કોઈ ગેરંટી નથી.
જોકે, જવાબદારો સામે નબળી કાર્યવાહીના કારણે થોડાજ સમયમાં બધું ભુલાઈ જાય છે અને ફરી પાછું બધું ચાલુ થઈ જાય છે જેના કારણે આવા ગંભીર જાનલેવા બનાવો અનેક માસુમોની જિંદગી છીનવાઈ જાય છે.
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!










