
Bhavnagar umrala news: ભાવનગરના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો થયા બાદ સુરતમાં પાટીદારો એકઠા થયા હતા અને એકજૂથ થઈને લડવાના નિર્ધાર સાથે સુરતથી 30 કારનો કાફલો લઈને પાટીદારો દેવળિયા ગામ આજે(21 નવેમ્બરે) સવારે પહોંચ્યો હતા.દેવળિયા ગામમા પાટીદારો એકતા બતાવશે જ્યારે બીજી તરફ ભરવાડ સમાજ પણ એકત્ર થતા મામલો ગરમાયો છે.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે સુરતથી પાટીદારોનો કાફલો પાટીદારના સમર્થનમાં આવ્યો છે તો સામા પક્ષે ભરવાડ સમાજના આગેવાનો પણ એકત્ર થયા હતા અને 10 ગામના ભરવાડ સમાજના લોકોની મિટિંગ દેવળીયા ગામે યોજવામાં આવતા તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો.
બીજી તરફ પાટીદાર સમાજ નમતું જોખવા તૈયાર નથી અને સામા પક્ષે ભરવાડ સમાજ પણ એકત્ર થતાં માહોલ ગરમાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષો તરફથી સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને જૂથોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ગામમાં શાંતિ જળવાઈ રહે અને તણાવ ન વધે તે માટે પોલીસ સ્થિતિ ઉપર નજર રાખી રહી છે.
■સમગ્ર મામલો શુ છે?
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.15 નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના પરિવાર સાથે ઘરે હતા તે દરમિયાન તેના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી ગમારા કુટુંબના મઢ માટે અડધા પ્લોટની માંગણી કરી હતી જોકે તેમના કહેવા મુજબ મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપી હોય બીજી અડધા પ્લોટની માગણી ન સ્વીકારતાં ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી હતી.
આ ઉપરાંત તેમની સાથે આવેલા કુલદીપ ગભાભાઈ ગમારા, ઇન્દુ ભગુભાઈ ગમારા, રતા ઇન્દુભાઇ ગમારા, માતર રામાભાઇ ગમારા, સુરેશ ખેંગારભાઈ ગમારા, રતાભાઈ ઇન્દુભાઇ ગમારાનો મોટો દીકરો, વિરમભાઈ ખેંગાભાઇ ગમારાનો નાનો દીકરો, બધાએ એક સંપ થઈ તો ધનજીભાઈ વશરામભાઈ ધોરાજિયાના પ્લોટમાં જઈ ઘણ વડે દીવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હવે આ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા હતા અને કોઈ આ રીતે પાટીદારને મારે તે ચલાવી લેવાય નહિ તેવો એકસુર વ્યક્ત કરી સુરતના મોટા વરાછા વિસ્તારમાં પાટીદારોની તા.17 નવેમ્બર 2025ને સોમવારે સાંજે 8:30 કલાકે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ (સારથી એવન્યુ, L.P. સવાણી સ્કૂલ પાસે) બેઠક મળી હતી જેમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂથ થવાની હાકલ કરી હતી એ સમયે પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, વિજય માંગુકિયા સહિત
વરાછા, કામરેજ, કાપોદ્રા, વરાછા, અમરોલી, પુણા, સરથાણા, અડાજણ, વેસુ, કતારગામ વિસ્તારના પાટીદાર
આગેવાનો હાજર રહ્યા હતા.
તેઓએ સૌએ એક અવાજે નક્કી કર્યું કે આ ઘટના ફક્ત એક પરિવારની નથી, આપણા આખા સમાજની આબરૂ અને સુરક્ષાનો સવાલ છે.તેઓના મતે પાટીદારોની જમીન હડપવા, ઘરમાં ઘૂસીને માર મારવો, વૃદ્ધ માતાને મારી નાખવાની ધમકી આપનાર આવા અસામાજિક તત્ત્વો સામે ચૂપ રહેવું એ આપણા સમાજ માટે અને ગામડાંમાં રહેતા દરેક સમાજના લોકો માટે ખતરો હોવાનું જણાવી બધા એક સંપ થઈ લડી લેવાના મુડમાં સુરતથી ઉમરાળા પહોંચ્યા છે જ્યાં બે પક્ષો વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે જરૂરી બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા









