
અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ મોતકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે શનિવારે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સમયે દર્દીઓના મોત અને એન્જિયોગ્રાફી કરવાના કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડી હતી. ત્યારે આજે (રવિવારે) રાજશ્રી કોઠારીને અમદાવાદની કોર્ટમાં રજૂ કરાઈ હતી. જેમાં કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જણાવી દઈએ કે, આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે, જે વિદેશમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી રાજશ્રી કોઠારી હોસ્પિટલના ડિરેક્ટર અને ભાગીદાર છે.
ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારી સમગ્ર કાંડ સામે આવ્યા બાદથી ફરાર હતી. ત્યારે 32 દિવસ બાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરાઈ હતી. આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે રાજશ્રી કોઠારીના 10 દિવસ એટલે કે 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્ત્વનું છે કે, અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા.
સરકારી વકીલ દ્વારા સમગ્ર કેસની માહિતી આપતા કહ્યું કે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરરોજના 10 ઓપરેશનનો ટાર્ગેટ હતો. ડો. પ્રશાંત વઝીરાણી PMJAY ઉપર રજિસ્ટર્ડ નથી. સીડીના રિપોર્ટ કરતા વિપરિત રિપોર્ટ તૈયાર કરાતા હતા. આ વ્હિસલ બ્લોઅર કિસ્સો છે. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 112 લોકોના મોત નિપજ્યા છે તેની તપાસ ચાલી રહી છે. એન્જિયોપ્લાસ્ટીમાં કુલ 6ના મોત થયા છે. જેમાં 4ની જાણવાજોગ અરજી પર તપાસ ચાલુ છે.
સરકારી વકીલની દલીલ ઉપર કોર્ટે રાજશ્રીના 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
સરકારી વકીલેે રાજશ્રીની રિમાન્ડ મેળવવા માટે માહિતી સાથે દલીલ આપતા કહ્યું હતુ કે, હોસ્પિટલમા ચેરમેન કાર્તિક પટેલ હજી પકડાયા નથી. તે વિદેશમાં છે. રાજશ્રી કોઠારીની લીંક કાર્તિક પટેલ સાથે છે. આ સાથે બોર્ડ મીટિંગમાં ડાયરેક્ટર તરીકે રાજશ્રી પણ સામેલ થતાં હતા. તે ઉપરાંત સરકારી વકીલે વધુ ચોંકાવનારી માહિતી આપતા કહ્યું કે, નફો ન દેખાડવા માટે ખોટા રિપોર્ટ બનાવતા હતા. તેમના છેલ્લા રિપોર્ટમાં દોઢ કરોડ રૂપિયાની ખોટ દર્શાવવામાં આવી હતી.
વધુમાં સરકારી વકીલે દલીલ આપતા કહ્યું કે, હાલમાં હોસ્પિટલની મિનિટ્સ બુક મળી રહી નથી. તો બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ ચલાવનારાઓ નરોડામાં 100 બેડની હોસ્પિટલ બનાવવાના હતા તો તે પૈસા ક્યાંથી આવવાના હતા? કેમ કે એક તરફ તો હોસ્પિટલ ખોટમાં ચાલતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
તે ઉપરાંત સરકારી વકીલે દલીલ આપતા કહ્યુું કે, છેલ્લી AGMમાં 8 સભ્યો આવ્યા હતા, હાલના ચાર ડાયરેક્ટર, એક CA કમ CEO રાહુલ જૈન, તો બાકીના ત્રણ કોણ? રાજશ્રીનો હોસ્પિટલમાં હિસ્સો 3.61 ટકા. આ પહેલા તેમના પતિ ડાયરેક્ટર હતા
રાજશ્રીના વકીલે જામીન માટે શું કરી દલીલો?
રિમાન્ડ અરજીનો વિરોધ કરતા રાજશ્રી કોઠારીના વકીલે દલીલો કરતા જણાવ્યું હતું કે, આ બનાવમાં અરજદારનો રોલ શું?, ખ્યાતિ હોસ્પિટલમાં 3.61 ટકાની ભાગીદારી છે પણ તેઓ ડોકટર નથી. ગુન્હાઈત કૃત્ય કે નજર સામે થયું હોય તેવું અત્યારે તપાસમાં સામે આવ્યું નથી. રિપોર્ટ બધા પોલીસ પાસે આવી ચૂક્યા છે. આ કેસમાં અગાઉ જે આરોપીઓ પકડાયા છે તેમાં ડાયરેક્ટર પણ છે. તેમના રિમાન્ડમાં તપાસ થઈ જ છે. 24 કલાકની કસ્ટડીમાં આરોપી મહિલાએ જે જાણતા હતા તમામ જણાવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલ સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. આ ઘટના બાદ આ પ્રકારના અન્ય કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.








