
- ભાજપા દ્વારા કોઈપણ મુદ્દા વગર સાવ નિરસ ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો.
- રાજ્યભરના શહેરોમાં ભાજપાના રાજમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો બળાપો લોકો ઠાલવતાં હતાં.
- પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં વ્યસ્ત મોદી – શાહ ગુજરાત તરફ નજર સુધ્ધા નહોતાં કરી શક્યાં.
- પ્રજામાં ભભૂકતો ભારોભાર રોષ આખરે મતદાન ટાણે ચમત્કારી રીતે ગાયબ થઈ ગયો?

Gujarat Election Results | આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયાં અને મોદી – શાહની “ખાસમખાસ” રમતથી બહુ સારી રીતે વાકેફ એવાં રાજકીય પંડિતોની આગાહી એકદમ સચોટ પડી છે. લોકતંત્રના પહેરેદાર રાજકીય જાણકારોની ધારણા અનુસાર જ રાજ્યભરમાં ભગવો લહેરાઈ ગયો છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ચૂંટણી પહેલાં પ્રજાજનોમાં ભાજપાનો ભારોભાર વિરોધ જોવા મળતો હોય છે. છતાંય આખરે ચમત્કારીક રીતે વિજય તો ભાજપના ગજવામાં જ જતો હોય છે. એટલે કહી શકાય કે વધુ એકવાર ચૂંટણી પહેલાંનો પ્રજાનો ભાજપા વિરોધ ઇવીએમ સુધી પહોંચવામાં સફળ રહ્યો નથી.
નોન-બાયોલોજીકલ સ્વઘોષિત મહામાનવ બ્રહ્માંડ પુરુષ બની બેઠેલાં દામોદરદાસ મોદીના સુપુત્ર નરેન્દ્ર હાલ પશ્ચિમ બંગાળમાં જીતવાના નિર્ધાર સાથે એમના ખાસ અમિત શાહ સાથે મચી પડેલાં છે. જેને પગલે મોદી – શાહ આ વર્ષે ગુજરાતની સ્થાનિક ચૂંટણી ટાણે સાક્ષાત્ પ્રચાર કરવા માટે આવી શક્યા નહીં. પરંતુ, તેમની ગેરહાજરી હોવા છતાં જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવીની સાથે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનો ગઢ સલામત રાખવામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યની 15 મહાનગર પાલિકામાં ભાજપે ભવ્ય જીત પ્રાપ્ત કરી છે. ખાસ વાત તો એવી છે કે, ગત વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે સમયના ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના નેતૃત્વમાં ઐતિહાસિક ઘટના બની હતી અને ભાજપા રાજ્યની લગભગ 90 ટકા બેઠક જીતવામાં સફળ રહ્યું હતું. હાલના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માટે સી. આર. પાટીલના રેકોર્ડની બરાબરી કરવી બહુ અઘરી હતી. પરંતુ, અત્યંત અઘરાં કાર્યો પાર પાડવાની ફાવટ અને વિચારધારા ધરાવતાં ભાજપાની “મહેનત” ફળી ગઈ છે.
આ વર્ષે સ્થાનિક ચૂંટણીના પ્રચારમાંથી દામોદરદાસ મોદીના સુપુત્રનું નામ બાકાત રાખવામાં આવ્યું હતું. તે ખૂબ આશ્ચર્યજનક બાબત હતી. જોકે, તંત્ર પર પૂરો કબજો ધરાવતાં ભાજપા વિજેતા બનવાનો પૂરો હરખ ધરાવતી હતી. તેથી જ તેમને જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ છે એમ કહેવામાં સ્હેજપણ ખોટું નહીં લેખાય. આમેય જે પ્રકારે મોદી – શાહની જોડી પશ્ચિમ બંગાળને જીતવા માટે યેન કેન પ્રકારના પ્રયાસો કરી રહ્યાં છે એ લોકતંત્રને લજવી રહ્યાં છે. પરંતુ, લોકતંત્રની તેઓને સ્હેજપણ પડી હોય તેવું તેમના વાણી કે વર્તન પરથી સ્હેજેય લાગતું નથી.
ભાજપા રાજમાં ભ્રષ્ટાચાર તેની ચરમ સીમાએ પહોંચ્યો છે એ સર્વ વિદીત વાત છે. આ વખતની ચૂંટણી પહેલાં જ ભાજપા પ્રજાનો વિરોધ પામી ગઈ હોય અથવા તો જૂના જોગીઓનું પેટ ભરાઈ ગયું છે તો નવા ભાજપીઓને ખિસ્સા ભરવાનો મોકો આપવો જોઈએ એમ વિચારીને રાજ્યભરમાં લગભગ 80 ટકા ઉમેદવારો નવા પસંદ કર્યા.
નવા ચહેરાઓની પસંદગી બાદ ભાજપામાં આતંરિક કચવાટ દેખાયો પરંતુ, ચૂંટણીના ફોર્મ ભરતાની સાથે જ બિનહરીફ બેઠકો જીતવાની મોડસ ઓપરેન્ડી અપનાવીને ભાજપાએ લોકતંત્ર પર પ્રહાર કર્યો. નવા ચહેરાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવા પડે તેવી સ્થિતિ આવી એના પરથી એટલું તો કહી શકાય કે ગુજરાતની જનતામાં ભાજપ સામે ભારે રોષ હતો. પરંતુ, ભાજપાને એમના મોદી – શાહ પર પુરી શ્રદ્ધા હતી.
ભાજપાએ ભલે ચૂંટણીમાં ચમત્કાર કરીને વધુ એકવાર સત્તા કબજે કરી હોય. પણ, આપણે વધુ એકવાર આશા રાખીએ કે આ વખતે મોદી – શાહના સંઘીઓ રાજ્યમાં ખરેખર વિકાસ કરે. ગરીબ અને મધ્યમ વર્ગની જનતા વિશે વિચારે. રાજ્યમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાવે અને સામાન્ય જીવન જરૂરીયાતની પાણી – રસ્તા જેવી બાબતો અંગે પુરતું ધ્યાન આપે. બાકી, જય શ્રી રામના નારા લગાવ્યાં કરો. મોદી – શાહની ભક્તિ કર્યા કરો એનાથી ગુજરાતની જનતાને કોઈ વાંધો નથી. પરંતુ, છેલ્લાં ત્રણ દાયકાના અનુભવોનું જ પુનરાવર્તન કરશો તો કદાચ આગામી દિવસોમાં અકળાયેલી પ્રજા ઇવીએમમાં મત આપવા સુધી રાહ જોવાનું પણ પસંદ ના કરે. તેવી પૂરી શક્યતા છે.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો







