
Gujarat Inflation: ગુજરાતમાં હાલ આર્થિક મોરચે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જ્યાં મોંઘવારીનું વિષચક્ર સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યું છે. તાજેતરમાં જ દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. ૨ થી રૂ. ૭ સુધીનો મોટો વધારો ઝીંકાયો છે, તો બીજી તરફ પેટ્રોલમાં રૂ. ૩ અને ડીઝલના ભાવમાં પણ ભડકો થયો છે. ક્રૂડ ઓઈલ અને ખાદ્ય તેલની વધતી અછત વચ્ચે દેશનું અર્થતંત્ર અટવાઈ રહ્યું છે. આ કપરા સમયમાં જવાબદારો મૌન સેવી રહ્યા છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતાને અનોખી સલાહો આપવામાં આવી રહી છે. વડોદરાની મુલાકાત દરમિયાન તેમણે લોકોને તેલ ઓછું ખાવા, ‘વર્ક ફ્રોમ હોમ’ (Work from Home) કરવા અને વાહનોનો વપરાશ ઘટાડી પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલો કરી છે. આ જનવિરોધી આર્થિક નિર્ણયોના કારણે સોશિયલ મીડિયા પર લોકો કટાક્ષ કરી રહ્યા છે કે હવે કામવાળા પણ કપડાં-વાસણ ઘરે મંગાવવાની મજાક કરી રહ્યા છે.
ભૂતકાળનું પ્રવચન અને વર્તમાનની કડવી વાસ્તવિકતા
આ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયના તેમના જ ભાષણો આજે યાદ કરવા પડે તેમ છે. વર્ષ ૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની યુપીએ (UPA) સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, “એક તરફ દેશનો જીડીપી (GDP) ઘટી રહ્યો છે અને બીજી તરફ મોંઘવારી આસમાને છે. દિલ્હીની સરકાર દર વખતે નવી તારીખો આપે છે કે દિવાળી પછી, બજેટ પછી કે પાક આવ્યા પછી મોંઘવારી ઘટશે, પરંતુ વડાપ્રધાને મોંઘવારી પર બોલવાનું જ બંધ કરી દીધું છે.” આજે દેશની જનતા એ જ સવાલ વર્તમાન સરકારને પૂછી રહી છે. ૨૦૧૨માં મનમોહન સિંહને અટલ બિહારી વાજપેયી સરકારના સમય જેટલી મોંઘવારી લાવી દેવાનું સૂચન કરનારા નેતાઓ આજે પોતાના જ જૂના નિવેદનો અને બાઈટ્સ સામે મૌન વ્રત ધારણ કરીને બેઠા છે.
રસોડાનું બજેટ ખોરવાયું અને હોટલ ઉદ્યોગ પર આર્થિક માર
કોમર્શિયલ અને ઘરેલું ગેસના ભાવ વધારા તેમજ બજારમાં ઊભી થયેલી અછતના કારણે રસોડાની આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. શાકભાજીમાં ટામેટા અને ફૂલકોબી જેવી વસ્તુઓના ભાવ ઉત્પાદન ઘટવાને કારણે આસમાને પહોંચ્યા છે, જ્યારે ડુંગળી અને બટાકાના યોગ્ય ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા પરંતુ ગ્રાહકો સુધી પહોંચતા તે ત્રણથી ચાર ગણા મોંઘા થઈ જાય છે. ખાદ્ય તેલ અને દાળના ભાવમાં પણ ૧૦ ટકાથી વધુનો વધારો થયો છે. કાચા માલ અને ગેસ સિલિન્ડર મોંઘા થવાના કારણે રાજ્યભરની હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ભોજન ૧૦ ટકા જેટલું મોંઘું બન્યું છે. ગુજરાતની અડધાથી વધુ (આશરે ૫૧ ટકા) વસ્તી શહેરોમાં વસે છે અને તેમના માટે આ શહેરી જીવનનો નિર્વાહ ખર્ચ અસહ્ય બની ગયો છે.
ઔદ્યોગિક કટોકટી અને મોરબી-સુરતમાંથી મજૂરોનું મોટાપાયે સ્થળાંતર
ટ્રાન્સપોર્ટેશન, પેટ્રોલિયમ પેદાશો અને પ્લાસ્ટિક જેવી પાયાની વસ્તુઓ મોંઘી થવાના કારણે ગુજરાતના ઉદ્યોગો મરણપથારીએ પડ્યા છે. આ આર્થિક સંકટની સૌથી ગંભીર અસર મોરબી અને સુરત જેવા મોટા ઔદ્યોગિક હબ પર પડી છે. મંદી અને મોંઘવારીના કારણે રાજ્યના અંદાજે ૫,૦૦૦ જેટલા કારખાનાઓ અને એકમોને તાળા લાગી ગયા છે. રોજગારી છીનવાઈ જવાથી અને આવક બંધ થવાથી મોરબીમાંથી આશરે ૬ લાખ અને સુરતમાંથી પણ લગભગ એટલી જ સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોએ પોતાના વતન તરફ હિજરત (સ્થળાંતર) કરવી પડી છે, જે રાજ્યની બેરોજગારી અને આર્થિક કટોકટીનું વરવું ચિત્ર રજૂ કરે છે.
ખેતી અને ખાતરમાં કમરતોડ વધારો: આગામી ચોમાસામાં યુરિયાની ભારે ખેંચની ભીતિ
જગતના તાત ગણાતા ખેડૂતો પર પણ મોંઘવારીનો મોટો કોરડો ઝીંકાયો છે. ખેતી માટે અનિવાર્ય એવા ડીએપી (DAP) ખાતરની ૫૦ કિલોની થેલી પર એકસાથે રૂ. ૭૦૦નો તોતિંગ વધારો થયો છે. ગુજરાતમાં વાર્ષિક અંદાજે દોઢ કરોડ બેગ DAP વપરાય છે. આ ઉપરાંત એનપીકે (NPK) ખાતરમાં પણ થેલી દીઠ રૂ. ૧૫૦ થી રૂ. ૩૦૦નો વધારો ઝીંકાયો છે. ચિંતાજનક બાબત એ છે કે રાજ્યમાં ૫ થી ૬ કરોડ બેગ યુરિયાનો વપરાશ થાય છે, પરંતુ ઉત્પાદન ઘટવાના કારણે આગામી ચોમાસાની સીઝનમાં અંદાજે ૭૦ થી ૮૦ લાખ ટન યુરિયાની ભારે તંગી સર્જાશે. ખાતરની અછત અને મોંઘવારીના કારણે આગામી સમયમાં કૃષિ ઉત્પાદનમાં ૭ ટકા જેટલો મોટો ઘટાડો થવાની આશંકા છે.
બાંધકામ ઉદ્યોગ ઠપ્પ અને સોના-ચાંદીની બજારમાં દાણચોરીનું જોખમ
ગુજરાતનો જીડીપી (GDP) અંદાજે ૨૯.૮ લાખ કરોડ રૂપિયા છે, જેમાં બાંધકામ (Construction) ઉદ્યોગનો હિસ્સો ૭ ટકા જેટલો મોટો છે. જોકે, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાના કારણે રેતી અને કપચીની માંગમાં ૪૦ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. ૪ થી ૫ લાખ કરોડના આ ધંધામાં ભારે મંદી હોવાથી બિલ્ડરોના કામ ઠપ્પ થયા છે અને ૨૫ ટકા જેટલા નવા બનેલા મકાનો ખરીદદારો વિના ખાલી પડી રહ્યા છે. બીજી તરફ, સોના-ચાંદીના ભાવમાં ૨૦૨૪ની સરખામણીએ ૪૦% થી ૧૪૪% સુધીનો અકલ્પનીય વધારો થયો છે. વાર્ષિક દોઢ લાખ કરોડથી વધુનો વેપાર ધરાવતા સોના પર ડ્યુટી વધવાના કારણે હવે અદાણી સંચાલિત એરપોર્ટ્સ પર સોનાની દાણચોરીની ઘટનાઓ વધવાની આશંકા સેવાઈ રહી છે.
રૂપિયાનું ધોવાણ અને ગરીબીનું વરવું ચિત્ર
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને હાલ ડોલર સામે રૂપિયો ૯૬ ના સ્તરે પહોંચી ગયો છે, જે જાણીતા અર્થશાસ્ત્રીઓના મતે ડિસેમ્બર સુધીમાં ૧૦૦ ના આંકડાને પાર કરી જશે. રૂપિયો નબળો પડતાં આયાત વધુ મોંઘી બનશે. રાજ્યમાં ગરીબીની સ્થિતિ એ છે કે વસ્તી ગણતરી ૨૦૧૧ પછી થઈ ન હોવાથી ચોક્કસ આંકડા નથી, પરંતુ ૨૦૨૫-૨૬ના અંદાજ મુજબ ૨૦ થી ૩૦ લાખ લોકો આજે પણ ઝૂંપડપટ્ટીમાં જીવે છે અને દોઢ લાખ જેટલા લોકો ઘરવિહોણા થઈ રસ્તા પર રાત વિતાવે છે. વર્ષ ૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રીએ ગરીબો માટે ૫૦ લાખ મકાનો બનાવવાનું વચન આપ્યું હતું, જે આજે પણ અધૂરું છે. ખાસ કરીને દાહોદ, ડાંગ, નર્મદા અને બનાસકાંઠા જેવા આદિવાસી બહુલ પાંચ જિલ્લાઓમાં ગરીબીનું પ્રમાણ સૌથી વધુ છે, જ્યાં આ મોંઘવારીનો માર પ્રજાને કચડી રહ્યો છે.
વર્ષ ૨૦૧૨માં યુપીએ સરકાર વખતે મોંઘવારી અને જીડીપીના ઘટવા પર પ્રશ્નો ઉઠાવનારા નેતાઓ આજે પોતાના શાસનમાં ડોલર સામે રૂપિયો ૯૬ પર પહોંચવા છતાં મૌન કેમ છે? સામાન્ય જનતાને ‘તેલ ઓછું ખાવા’ કે ‘વાહનો ન વાપરવાની’ સલાહ આપવી એ શું સરકારની આર્થિક નીતિઓની નિષ્ફળતા છુપાવવાનો લૂલો બચાવ નથી? મોરબી અને સુરત જેવા ઔદ્યોગિક શહેરોમાંથી લાખો મજૂરોનું પલાયન થવું અને ૫,૦૦૦ કારખાના બંધ થવા, તે કયા પ્રકારના આર્થિક વિકાસની નિશાની છે? ૨૦૧૨માં ગરીબોને આપેલું ૫૦ લાખ મકાનોનું વચન ૨૦૨૬ સુધીમાં પણ કેમ પૂરું થઈ શક્યું નથી? શા માટે આજે પણ દોઢ લાખ લોકો રસ્તા પર સૂવા મજબૂર છે?
આ પણ વાંચો:









