
RG Kar Case IPS Suspended: પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સરકારે કોલકાતાની આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટ, 2024ના રોજ લેડી ડૉક્ટર પર થયેલા જઘન્ય બળાત્કાર અને હત્યાના કેસમાં શુક્રવારે (15 મે, 2026) એક અત્યંત મોટો અને કડક નિર્ણય લીધો છે. રાજ્ય સચિવાલય ‘નબાન્ના’ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ ત્રણ વરિષ્ઠ આઈપીએસ (IPS) અધિકારીઓ—વિનીત ગોયલ, અભિષેક ગુપ્તા અને ઇંદિરા મુખર્જી—ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્ય સચિવ અને ગૃહ સચિવ દ્વારા આ મામલે કરવામાં આવેલી ‘ફેક્ટ-ફાઇન્ડિંગ’ તપાસ બાદ આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
તપાસમાં ગેરવહીવટ અને પીડિતાના પરિવારને લાંચ આપવાનો ગંભીર આક્ષેપ
આ ત્રણેય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ઘટનાના શરૂઆતના તબક્કે તપાસમાં ગંભીર બેદરકારી દાખવવાનો, મામલાને ખોટી રીતે હેન્ડલ કરવાનો અને પીડિતાના પરિવારને કથિત રીતે લાંચ તરીકે નાણાંની ઓફર કરવાનો સનસનીખેજ આરોપ છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ભારે હૈયે જણાવ્યું કે, “અભયા (આર. જી. કર પીડિતા) સાથે જોડાયેલી આ ઘટનાએ દેશને અંદરથી હચમચાવી દીધો હતો અને પશ્ચિમ બંગાળને વૈશ્વિક સ્તરે બદનામ કર્યું હતું.” શરૂઆતી તપાસમાં આ અધિકારીઓની ભૂમિકા અત્યંત શંકાસ્પદ જણાતા હવે તેમની સામે વિભાગીય કાર્યવાહી સાથે ગૃહ સચિવના નેતૃત્વમાં ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવશે.
સસ્પેન્ડ થયેલા અધિકારીઓનો ભૂતકાળ અને વિવાદાસ્પદ ભૂમિકા
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં વિનીત ગોયલ ઘટના સમયે કોલકાતાના પોલીસ કમિશનર હતા, જેમને તત્કાલીન તૃણમૂલ કોંગ્રેસ સરકારે વ્યાપક વિરોધ પ્રદર્શનોને કારણે હટાવવા પડ્યા હતા અને હાલ તેઓ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના ડીજી અને આઈજીપી તરીકે કાર્યરત હતા. બીજા અધિકારી અભિષેક ગુપ્તા, જેઓ તે સમયે ડેપ્યુટી કમિશનર (નોર્થ) હતા અને હાલમાં ઈસ્ટર્ન ફ્રન્ટિયર રાઇફલ્સમાં કમાન્ડિંગ ઓફિસર હતા. ત્રીજા અધિકારી ઇંદિરા મુખર્જી તે સમયે ડીસી (સેન્ટ્રલ) હતા અને હાલ સીઆઈડીમાં સ્પેશિયલ સુપરિન્ટેન્ડન્ટ હતા. સુશ્રી મુખર્જી પર સત્તાવાર પ્રવક્તા ન હોવા છતાં આંદોલન સમયે અનધિકૃત પત્રકાર પરિષદ યોજી પોલીસની ખામીઓનો બચાવ કરવાનો અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવાનો પણ આરોપ છે.
પીડિતાના માતા ભાજપની ટિકિટ પર જીત્યા, ફરી ખુલશે કેસની ફાઇલ
આર. જી. કર ઘટનાની પીડિતાના માતા (રત્ના દેવનાથ) પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થયા હતા અને પાનીહાટી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પીડિતાને ન્યાય અપાવવો એ ભાજપનું મુખ્ય ચૂંટણી વચન હતું. પીડિતાના માતા-પિતાએ નવી સરકાર સમક્ષ વિશેષ અપીલ કરી હતી કે આ કેસમાં પોલીસની ભૂમિકા અંગેની ફાઇલ ફરી ખોલવામાં આવે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની મૂળ તપાસમાં કોઈ દખલગીરી નથી કરી રહી (જેમાં જાન્યુઆરી 2025 માં કોર્ટે સિવિક વોલેન્ટિયર સંજય રોયને આજીવન કેદ ફટકારી હતી), પરંતુ પોલીસ તંત્ર દ્વારા થયેલા અન્યાયની તપાસ કડક રીતે કરવામાં આવશે.
જેલમાંથી 23 મોબાઈલ જપ્ત: અન્ય બે અધિકારીઓ પણ સસ્પેન્ડ
પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાના શુદ્ધિકરણના ભાગરૂપે અન્ય એક મોટી કાર્યવાહીમાં, પ્રેસિડેન્સી સેન્ટ્રલ કરેક્શનલ હોમ (જેલ) માં પાડેલા આકસ્મિક દરોડા દરમિયાન કેદીઓ પાસેથી 23 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ ઘટનાને ગંભીર સુરક્ષા ચૂક ગણીને સરકારે જેલના સુપરિન્ટેન્ડન્ટ એન. કુજુર અને ચીફ કંટ્રોલર દીપ્તો ગોરાઈને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. મુખ્યમંત્રીએ આ મામલાની તપાસ સીઆઈડી (CID) ને સોંપી છે અને રાજ્યભરના જેલ અધિકારીઓને કડક ચેતવણી આપી છે કે કેદીઓ સાથેની કોઈપણ પ્રકારની સાંઠગાંઠ તાત્કાલિક ખતમ કરવામાં આવે, નહીંતર આવી જ કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આર. જી. કર કેસમાં થયેલી આ કડક કાર્યવાહી બાદ અનેક પ્રશ્નો ઉભા થાય છે જે દેશની કાયદાકીય પ્રણાલી માટે અત્યંત મહત્વના છે. ૨૦૨૪ની આ ઘટનામાં જ્યારે પોલીસ અધિકારીઓ પર પુરાવા સાથે છેડછાડ અને પરિવારને લાંચ આપવાના ગંભીર આક્ષેપો ઓગસ્ટ ૨૦૨૪થી જ થઈ રહ્યા હતા, ત્યારે આ કાર્યવાહી કરતા બે વર્ષ જેટલો લાંબો સમય કેમ લાગ્યો? શું આ કાર્યવાહી માત્ર સત્તા પરિવર્તન અને રાજકીય વચનો પૂરા કરવા માટે જ થઈ રહી છે, કે પછી ભવિષ્યમાં કોઈ દીકરી સાથે આવો અન્યાય ન થાય તે માટે પોલીસ તંત્રની જવાબદારી નક્કી કરવા માટે? સૌથી મોટો સવાલ એ છે કે કાયદાના રક્ષક ગણાતા આઈપીએસ અધિકારીઓ જ જો ગુનેગારોને બચાવવા લાંચ આપતા હોય, તો સામાન્ય જનતા ન્યાય માટે કોની પાસે જશે?
આ પણ વાંચો:








