
Abhijit Dipke CJP: છત્રપતિ સંભાજીનગરની ધરતી પરથી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રમુખ અભિજીત દીપકેએ દેશના રાજકીય માળખા પર તીખા પ્રહાર કર્યા છે. દિલ્હીના જંતર-મંતર પર યુવાનોનું જે તોફાન દેખાયું, તેના પડઘા હવે આખા દેશમાં સંભળાઈ રહ્યા છે. બોસ્ટન જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી ભણીને આવેલા અભિજીતે આરોપ લગાવ્યો છે કે, છેલ્લા ૧૨ વર્ષોથી ભારતની રાજનીતિને માત્ર ‘હિન્દુ-મુસ્લિમ’ના એજન્ડામાં કેદ કરી દેવામાં આવી છે. તેમનો સ્પષ્ટ મત છે કે આ ધ્રુવીકરણના રમખાણોમાં દેશનો યુવાન ભૂખ્યો મરી રહ્યો છે અને શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે. હવે સમય આવી ગયો છે કે, રાજનીતિનું ધ્યાન ધર્મના અખાડામાંથી હટાવીને શિક્ષણ અને રોજગારના મુદ્દાઓ પર કેન્દ્રિત કરવામાં આવે.
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ: જવાબદારી કોણ લેશે?
NEET પેપર લીક અને CBSE ની ગડબડીઓ બાદ અભિજીત દીપકેએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને બુલંદ બનાવી છે. દીપકેનો તર્ક એકદમ સાદો અને સચોટ છે: જો કોઈ ખાનગી કંપનીમાં કોઈ વ્યક્તિને કારણે નુકસાન થાય તો તે જવાબદાર ગણાય છે, તો શિક્ષણ જેવી પવિત્ર વ્યવસ્થામાં વારંવાર પેપર ફૂટે અને લાખો યુવાનોનું ભવિષ્ય રોળાય, તો તેની જવાબદારી કોની? તેમણે સવાલ કર્યો કે જ્યાં સુધી કોઈ જવાબદારી સ્વીકારીને પદ છોડતું નથી, ત્યાં સુધી સિસ્ટમ કેવી રીતે સુધરી શકે? આ માત્ર એક રાજીનામાની માંગ નથી, પણ એક એવી સિસ્ટમની માંગ છે જે ભૂલ સ્વીકારી શકે અને જવાબદારી નક્કી કરી શકે.
‘પાકિસ્તાની’નું લેબલ: શું સવાલ પૂછવો એ ગુનો છે?
જંતર-મંતર પર ઉમટેલા યુવાનોને જ્યારે સોશિયલ મીડિયા પર ‘પાકિસ્તાની’ ગણાવવામાં આવ્યા, ત્યારે દીપકેએ આક્રમક વલણ અપનાવ્યું. તેમણે પૂછ્યું કે, શું દેશમાં સરકારને કે સિસ્ટમને સવાલ પૂછનારા દરેક વ્યક્તિને પાકિસ્તાની કહી દેવાની ફેશન ચાલી રહી છે? જો પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ, વિપક્ષ અને મીડિયાને પણ દેશદ્રોહીનું લેબલ આપવામાં આવે, તો શું માત્ર સત્તાધારી પક્ષનો ‘IT સેલ’ જ ભારતીય છે? દીપકેએ કટાક્ષ કર્યો કે સત્ય તો જંતર-મંતરની તસવીરોમાં દેખાતી એ લાખો યુવાનોની ભીડમાં છે, જેઓ પોતાનો અધિકાર માંગવા નીકળ્યા છે.
આંદોલન કે ‘તખ્તાપલટ’? દીપકેએ તોડ્યો ગેરસમજનો ભ્રમ
નેપાળ અને બાંગ્લાદેશના હિંસક આંદોલનો સાથે CJP ના આંદોલનને સરખાવનારાઓને દીપકેએ કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારત એક જીવંત લોકશાહી છે અને જંતર-મંતર પરનું પ્રદર્શન અત્યંત શાંતિપૂર્ણ હતું. આ આંદોલન કોઈ પણ સત્તા પલટવા માટે નહીં, પણ સત્તામાં રહેલા લોકોને જગાડવા માટે છે. જે રીતે એક સોશિયલ મીડિયા અભિયાનમાંથી આ આંદોલન ઉભું થયું અને ઇન્સ્ટાગ્રામ પર ૨.૨ કરોડ યુવાનોને જોડ્યા, તે દર્શાવે છે કે આ દેશના ‘જેન ઝેડ’ (Gen Z) હવે ચૂપ બેસવાવાળા નથી. આ ભવિષ્યની મોટી અને શાંતિપૂર્ણ લડાઈનું માત્ર ટ્રેલર છે.
CJP: કોઈ પણ પક્ષનું મોહરું નહીં, પણ યુવાનોનો અવાજ
ઘણા રાજકીય પક્ષો અને નેતાઓ આ આંદોલનને પોતાના રંગમાં રંગવા માંગે છે, પરંતુ દીપકેએ સ્પષ્ટ કર્યું છે કે CJP કોઈ પણ રાજકીય પક્ષની ગોદમાં બેસશે નહીં. આ આંદોલન સંપૂર્ણપણે સ્વતંત્ર અને યુવાનોનું પોતાનું છે. તેમણે કહ્યું કે કોઈ પણ નેતા બહારથી સમર્થન આપી શકે છે, પણ પાર્ટી કોઈ રાજકીય જોડાણ કરશે નહીં. સીજેઆઈ (CJI) સૂર્યકાંતની એક ટિપ્પણીથી શરૂ થયેલો આ રોષ આજે દેશવ્યાપી આંદોલનનું રૂપ લઈ રહ્યો છે. જો સરકાર હવે સમય મર્યાદામાં નક્કર પગલાં નહીં ભરે, તો આ કોકરોચ જેવી નાની લાગતી પાર્ટીનું આંદોલન આખા દેશના ખૂણે-ખૂણે ફેલાઈ જશે. આ તો માત્ર શરૂઆત છે, હજુ તો લડાઈ બાકી છે!
આ પણ વાંચો:








