
Ram Mandir donation theft: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાંથી ચડાવાની કથિત ચોરી અને ગબનના સમાચારોએ સમગ્ર દેશના શ્રદ્ધાળુઓની લાગણીઓને ઊંડો આઘાત પહોંચાડ્યો હતો. મીડિયા અને સોશિયલ મીડિયા પર આ વિષયે એટલો વેગ પકડ્યો કે ભક્તોમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 12 જૂન 2026ના રોજ ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખીને સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. પરિણામે, 17 જૂન 2026ના રોજ રાજ્યના ગૃહ વિભાગે એક વિશેષ તપાસ દળ (SIT) ની રચના કરી. SIT ને ચોરીની પદ્ધતિઓ, જવાબદારોની ઓળખ અને ભવિષ્ય માટે સુધારાત્મક પગલાં સૂચવવાની જવાબદારી સોંપાઈ હતી. માત્ર છ દિવસના ટૂંકા ગાળામાં SIT એ પોતાનો નવ પાનાનો વચગાળાનો રિપોર્ટ અપર મુખ્ય સચિવને સોંપી દીધો છે, પરંતુ આ અહેવાલ ચોરીની પુષ્ટિની સાથે અનેક ગંભીર સવાલો પણ ઊભા કરી ગયો છે.
ગણતરી ખંડમાં ચાલી રહેલી ‘નિર્ંતર પ્રવૃત્તિ’
SIT ના રિપોર્ટનો સૌથી ચિંતાજનક ભાગ CCTV ફૂટેજનું વિશ્લેષણ છે. 27 એપ્રિલથી 5 જૂન 2026 વચ્ચેની ફૂટેજ તપાસતા સામે આવ્યું કે ગણતરી કર્મીઓ રોકડને પોતાના કપડાં, ખિસ્સા અને બૂટમાં છુપાવીને ચોરી કરતા હતા. આ કોઈ છૂટીછવાઈ ઘટના નહોતી, પરંતુ 40 દિવસમાં 70 વાર આ કૃત્ય થયું, જેને SIT એ ‘નિર્ંતર પ્રવૃત્તિ’ તરીકે વર્ણવી છે. SIT એ છ કર્મચારીઓ- અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે અને રમાશંકર મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની ભલામણ કરી છે. તપાસમાં કુલ 78.94 લાખ રૂપિયા અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જે સાબિત કરે છે કે ગણતરી ખંડમાં સુરક્ષાનો અભાવ જાણીજોઈને રાખવામાં આવ્યો હતો.
સુરક્ષા પ્રોટોકોલની જાણીજોઈને કરાયેલી અવગણના
કાગળ પર રામ મંદિરની ચડાવા ગણતરીની SOP અત્યંત મજબૂત દેખાઈ રહી હતી, પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત હતી. નિયમ મુજબ દરેક હૂંડીનો અલગ હિસાબ રાખવાનો હતો, પરંતુ કર્મચારીઓએ તમામ હૂંડીઓની રોકડ ભેળવી દીધી જેથી ચોરીનું સચોટ અનુમાન ન લગાવી શકાય. વધુ ગંભીર બાબત એ છે કે 6 ફેબ્રુઆરી 2025ના રોજ ટ્રસ્ટે સુરક્ષા નિયમોમાં ફેરફાર કરીને દરેક વ્યક્તિની અનિવાર્ય તલાશીના બદલે ‘રેન્ડમ તલાશી’ ની જોગવાઈ કરી દીધી. SIT એ આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરતા તેને તપાસનો ગંભીર વિષય ગણાવ્યો છે. ગણતરી ખંડમાં મોબાઈલ અને અંગત સામાન લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં તેનું પાલન થતું નહોતું, જેણે ચોરીને પ્રોત્સાહન આપ્યું.
ચાર વર્ષથી મળતી ચેતવણીઓ અને વહીવટી નિષ્ક્રિયતા
SIT રિપોર્ટનું સૌથી કાળું પાસું એ છે કે વર્ષ 2022થી 2026 સુધીના આંતરિક ઓડિટમાં વારંવાર ગંભીર ખામીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. તલાશી પ્રણાલી સુધારવી, દસ્તાવેજીકરણ મજબૂત કરવું અને CCTV રેકોર્ડિંગની સમયસીમા વધારવા જેવા મહત્વના સૂચનો ઓડિટ રિપોર્ટ્સમાં આપવામાં આવ્યા હતા. તેમ છતાં, ટ્રસ્ટના પદાધિકારીઓએ આ ચેતવણીઓને ગંભીરતાથી ન લીધી. આટલા લાંબા સમય સુધી ઓડિટની અવગણના કરવી એ માત્ર વહીવટી ખામી નથી, પરંતુ જવાબદારીમાંથી મુક્તિ લેવાનો એક સંગઠિત પ્રયાસ જણાય છે. કોણે આ ભલામણોને દબાવી રાખી અને કેમ તેના પર કાર્યવાહી ન થઈ, તે સવાલ આજે પણ અનુત્તરિત છે.
ટોચના નેતૃત્વની ભૂમિકા અને તપાસની મર્યાદા
રિપોર્ટમાં ટ્રસ્ટના ડો. અનિલ મિશ્રા અને સુભાષ શ્રીવાસ્તવની દેખરેખ સંબંધી નિષ્ફળતાઓનો ઉલ્લેખ છે, પરંતુ ટ્રસ્ટના વરિષ્ઠ પદાધિકારીઓ કે મહામંત્રી જેવા ટોચના નેતાઓની ભૂમિકા વિશે કોઈ સ્પષ્ટતા નથી. રામશંકર યાદવ (ટિન્નૂ) ની શંકાસ્પદ ભૂમિકા પણ સામે આવી છે, જેની પાસે કોઈ લેખિત આદેશ વગર ચાવીઓનું નિયંત્રણ હતું. SIT એ નાના કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળવાની સાથે કેટલીક બહુમૂલ્ય વસ્તુઓના મામલામાં ટ્રસ્ટને ક્લીનચિટ પણ આપી દીધી છે, પરંતુ શ્રદ્ધાળુઓની રસીદ ન મળવાની ફરિયાદોનું નિવારણ કેવી રીતે થયું, તેનો કોઈ નક્કર જવાબ રિપોર્ટમાં નથી. આખી તપાસ હજુ સુધી પદ્ધતિગત ખામીઓ સુધી જ મર્યાદિત રહી છે.
ભવિષ્યના પ્રશ્નો અને ન્યાયની અપેક્ષા
SIT નો આ વચગાળાનો રિપોર્ટ ભલે કેટલીક સચ્ચાઈઓ સામે લાવ્યો હોય, પરંતુ તે ઘણા મોટા પ્રશ્નો છોડી ગયો છે. કુલ કેટલી રકમનું ગબન થયું છે અને શું માત્ર જપ્ત કરાયેલી રકમ જ સત્ય છે? શું ટ્રસ્ટના ટોચના સ્તરે બેઠેલા લોકો આ સંસ્થાકીય નિષ્ફળતા માટે જવાબદાર નથી? જનતા આજે એ જાણવા માંગે છે કે શું આ ગબન માત્ર એક કર્મચારીનું કૌભાંડ હતું કે વર્ષોથી ચાલતું એક આખું રેકેટ? જ્યાં સુધી મંદિરની અંદરની નાણાકીય પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવામાં નહીં આવે, ત્યાં સુધી શ્રદ્ધાળુઓનો વિશ્વાસ પૂરી રીતે બેસવો મુશ્કેલ છે. આ રિપોર્ટ કદાચ માત્ર શરૂઆત છે, પણ સાચો ન્યાય ત્યારે જ મળશે જ્યારે આ આખી ઘટનાના મુખ્ય સૂત્રધારો સુધી તપાસ પહોંચશે.
આ પણ વાંચો:







