
Waste Colonialism Madras HC: ભારતમાં વિદેશી કચરાના ગેરકાયદેસર પ્રવેશને લઈને એક મહત્વપૂર્ણ કેસમાં મદ્રાસ હાઈકોર્ટે કડક વલણ અપનાવતાં સ્પષ્ટ કર્યું છે કે વિકસિત દેશો પોતાના અનિચ્છનીય અને જોખમી કચરાનો નિકાલ વિકાસશીલ દેશોમાં કરી શકે નહીં. કોર્ટે આ પ્રથાને ‘વેસ્ટ કોલોનિયલિઝમ’ તરીકે વર્ણવી હતી અને પર્યાવરણ તેમજ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને કડક નિર્દેશો આપ્યા હતા.
આ સમગ્ર મામલો માર્ચ 2022નો છે, જ્યારે તમિલનાડુના વી.ઓ. ચિદમ્બરનાર બંદર પર પાંચ શિપિંગ કન્ટેનરો પહોંચ્યા હતા. દસ્તાવેજોમાં આ કન્ટેનરોમાં લગભગ 122 મેટ્રિક ટન વેસ્ટ પેપર હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ કાગળ તમિલનાડુની પેપર મિલો માટે રિસાયક્લિંગ હેતુસર આયાત કરવામાં આવ્યો હતો. પરંતુ કસ્ટમ તપાસ દરમિયાન તેમાં માત્ર કાગળ જ નહીં, પરંતુ વપરાયેલા કેન, પ્લાસ્ટિક બોટલો, તૂટેલા કાચ, કેળા અને શાકભાજીની છાલ સહિત મ્યુનિસિપલ ઘન કચરો પણ હોવાનું સામે આવ્યું હતું.
આયાતકારોએ આ માલ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને દાવો કર્યો કે તેઓએ માત્ર વેસ્ટ પેપર મંગાવ્યું હતું. ત્યારબાદ નિકાસ કરનાર દેશોએ ભૂલ સ્વીકારી અને કન્ટેનરો પાછા મોકલવાની વાત કરી, પરંતુ પરત મોકલવાનો ખર્ચ, જવાબદારી અને અન્ય કાનૂની મુદ્દાઓને કારણે આ કન્ટેનરો લગભગ ચાર વર્ષ સુધી બંદર વિસ્તારમાં જ પડ્યા રહ્યા. આ દરમિયાન પર્યાવરણ અને આરોગ્ય પર તેની અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
19 જૂન 2026ના રોજ મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ કેસમાં ચુકાદો આપતાં આ તમામ કન્ટેનરો બે મહિનાની અંદર મૂળ દેશોમાં પરત મોકલવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે આવેલા કચરાને કોઈ ત્રીજા દેશમાં મોકલવાને બદલે જ્યાંથી આવ્યો હોય ત્યાં જ પરત મોકલવો જોઈએ. સાથે જ લાંબા સમય સુધી કચરો પડ્યો રહેવાને કારણે થયેલા પર્યાવરણીય નુકસાન બદલ વળતર ચૂકવવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો.
કોર્ટે આયાતકારોને કરોડો રૂપિયાનું વળતર અને ડિટેન્શન ચાર્જ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. ચુકાદામાં ભાર મૂકાયો હતો કે આવા કિસ્સાઓ માત્ર વેપાર સંબંધિત મુદ્દા નથી, પરંતુ પર્યાવરણ અને દેશની સુરક્ષા સાથે પણ જોડાયેલા છે.
ચુકાદા દરમિયાન હાઈકોર્ટે ‘વેસ્ટ કોલોનિયલિઝમ’ શબ્દનો ઉપયોગ કરીને કહ્યું હતું કે કેટલાક વિકસિત દેશો પોતાના દેશમાં પ્રોસેસ કરવા ઇચ્છતા નથી તેવો જોખમી અથવા અનિચ્છનીય કચરો વિકાસશીલ દેશોમાં મોકલે છે, જે સ્વીકાર્ય નથી. કોર્ટે કેન્દ્ર સરકારને રાજદ્વારી સ્તરે પણ આ મુદ્દો ઉઠાવવા અને આવી ઘટનાઓ રોકવા માટે અસરકારક વ્યવસ્થા વિકસાવવા સૂચન કર્યું હતું.
ભારતમાં તમામ પ્રકારના કચરાની આયાત પર પ્રતિબંધ નથી. નિયમો અનુસાર વેસ્ટ પેપર, કેટલાક પ્રકારના મેટલ સ્ક્રેપ, એલ્યુમિનિયમ, કોપર, રબર વેસ્ટ, ચોક્કસ કેટેગરીના ટાયર્સ અને કેટલીક ઇલેક્ટ્રોનિક એસેમ્બ્લીઝ જેવી સામગ્રી નિયત શરતો હેઠળ આયાત કરી શકાય છે. પરંતુ મ્યુનિસિપલ ઘન કચરો અને જોખમી કચરાના પ્રવેશ પર કડક નિયંત્રણની જોગવાઈ છે.
ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, હેઝાર્ડસ એન્ડ અધર વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ) રૂલ્સ-2016 તેમજ આંતરરાષ્ટ્રીય બેઝલ કન્વેન્શન જેવા કાયદા અને કરારો અમલમાં છે. ભારતે બેઝલ કન્વેન્શનને સ્વીકાર્યું છે, જેના અંતર્ગત જોખમી કચરાના આંતરરાષ્ટ્રીય પરિવહન અને નિકાલ અંગે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ગેરકાયદેસર કચરો પરત મોકલવો પૂરતો ઉકેલ નથી. દેશમાં મજબૂત વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કચરાનું યોગ્ય વિભાજન (સેગ્રેગેશન), અસરકારક રિસાયક્લિંગ અને નિયમોના કડક અમલની પણ એટલી જ જરૂર છે.
ઉપલબ્ધ આંકડા મુજબ ભારતમાં દર વર્ષે મોટી માત્રામાં મ્યુનિસિપલ ઘન કચરો ઉત્પન્ન થાય છે. ઝડપી શહેરીકરણ અને વધતી વસ્તીને કારણે આગામી વર્ષોમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. આ સ્થિતિમાં સ્થાનિક સ્તરે કચરા વ્યવસ્થાપન વધુ અસરકારક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
અગાઉ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) દ્વારા પણ ગેરકાયદેસર રીતે આવેલા જોખમી કચરાના કન્ટેનરો લાંબા સમય સુધી બંદરો પર પડ્યા રહેવાની બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં વર્ષો સુધી આવા કન્ટેનરોનો નિકાલ ન થતા નિયમોના અમલમાં રહેલી ખામીઓ સામે આવી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક દેશોએ પોતાના નિયમો કડક બનાવ્યા છે. ચીને 2017 પછી મોટા પાયે સોલિડ વેસ્ટની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારબાદ વિયેતનામ, મલેશિયા તથા થાઈલેન્ડ જેવા દેશોએ પણ સમાન પગલાં લીધાં હતા.
તાજેતરના વર્ષોમાં વેસ્ટ ટાયર્સની આયાતને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક અહેવાલોમાં દર્શાવવામાં આવ્યું છે કે વિદેશથી આવતા વપરાયેલા ટાયર્સના રિસાયક્લિંગ દરમિયાન પર્યાવરણ અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. ઉદ્યોગ સંસ્થાઓએ દલીલ કરી છે કે દેશમાં જ પૂરતા પ્રમાણમાં સ્ક્રેપ ટાયર્સ ઉપલબ્ધ હોવાથી વિદેશી વેસ્ટ ટાયર્સની આયાત પર વધુ નિયંત્રણ લાવવાની જરૂર છે.
મદ્રાસ હાઈકોર્ટના આ નિર્ણય બાદ ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે ભારતને કાયદાકીય જોગવાઈઓની સાથે તેના અસરકારક અમલ પર વધુ ભાર મૂકવાની જરૂર છે, જેથી દેશ કોઈપણ પ્રકારના ગેરકાયદેસર વિદેશી કચરાના ડમ્પિંગ માટેનું સ્થળ ન બને અને પર્યાવરણ તથા જાહેર આરોગ્યનું વધુ સારા રીતે રક્ષણ થઈ શકે.







