
- શનિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં સેક્ટર 18 – 19 વચ્ચે આગ લાગી હતી.
- શ્રીરામ ચરિત માનસ સેવા પ્રવચન મંડળના શિબિરમાં આગ શરૂ થઈ હતી.
- મહાકુંભમાં અત્યાર સુધીમાં આ ચોથીવાર આગ લાગી હોવાની ઘટના બની.
Fir at Mahakumbh 2025 – ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભના મેળામાં શનિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં વધુ એકવાર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગને પગલે સેક્ટર 18 – 19 વચ્ચેના અનેક પંડાલ સળગી ગયાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, એક શિબિરમાં ચલણી નોટો ભરેલા 3 થેલાં આગમાં બળીને ખાખ થઈ ગયાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
મહાકુંભમાં ચોથીવાર લાગેલી આગ અંગે પ્રાપ્ત થતી વિગતો એવી છે કે, શનિવારે સાંજના સમયે સેક્ટર 18 – 19 વચ્ચે શ્રીરામ ચરિત માનસ સેવા પ્રવચન મંડળના શિવિરમાં આગ લાગી હતી. આગને પગલે ભારે ઉત્તેજના સાથે દોડધામ શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અન્ય પંડાલો પણ આગની ચપેટમાં આવી ગયાં હતાં.
આગ અંગે માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો લ્હાય બંબા સાથે દોડી આવ્યા હતાં. અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. હાલના તબક્કે આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થતી નથી. તેમજ આગ લાગવાના કારણ અંગે પણ કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. જોકે, ભારે ભીડને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં મોડું થયું હોવાનું જાણવા મળે છે.
તે સાથે એવી પણ વિગતો ચર્ચાઈ રહી છે કે, શ્રીરામ ચરિત માનસ સેવા પ્રવચન મંડળના શિબિરમાં આગ લાગતાં જ ત્યાં હાજર લોકો જીવ બચાવીને બહાર દોડી ગયાં હતાં. આગમાં ખુરશી, ટેન્ટ સહિત સામાન બળી ગયો હતો. શિબિરમાં ચલણી નોટો ભરેલાં 3 થેલાં રાખવામાં આવ્યા હતાં. જાણવા મળે છે કે, એક થેલાંને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતાં. પરંતુ, બે થેલાં આગમાં બળીને ખાખ થઈ ગયાં હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, થેલાં કેટલાં રૂપિયા હતાં તે અંગે કોઈ જાણકારી મળતી નથી.
મહાકુંભમાં અત્યાર સુધીમાં ચાર વખત લાગેલી આગની વિગતો
19 જાન્યુઆરી – સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી, એ દુર્ઘટનામાં 180 કોટજ સળગ્યા હતાં.
30 જાન્યુઆરી – સેક્ટર 22માં આગ લાગતાં 15 ટેન્ટ સળગી ગયાં હતાં.
7 ફેબ્રુઆરી – સેક્ટર 18માં શંકરાચાર્ય માર્ગ પર આગ લાગતાં 22 જેટલાં પંડાલ સળગી ગયાં હતાં.
15 ફેબ્રુઆરી – આજે સેક્ટર 18 – 19માં લાગેલી આગ હાલ ઓલવાઈ ગઈ છે, પરંતુ, હજી સુધી આ ઘટનામાં કેટલાં પંડાલ સળગ્યા એની વિગતો જાણવા મળથી નથી.