આજે 8 એપ્રિલ 2025ના રોજ, અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠક સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ, શાહીબાગ ખાતે યોજાઈ રહી છે, જે કોંગ્રેસ પાર્ટીનું સર્વોચ્ચ નિર્ણય લેવાનું મંડળ છે. આ એક વિસ્તૃત બેઠક છે જેમાં પાર્ટીના મુખ્ય નેતાઓ અને સભ્યો ભાગ લઈ રહ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ બેઠકમાં ભાગ લીધો છે.
સરદાર સાહેબ કોંગ્રેસના પ્રમુખ: ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેઠકમાં કહ્યું જેમ ગાંધીજીના નેતૃત્વમાં ચંપારણ સત્યાગ્રહ સફળ થયો અને તેના કારણે દરેક ગામમાં કોંગ્રેસના મૂળિયા સ્થાપિત થયા, તેવી જ રીતે ગુજરાતમાં સરદાર પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહ અને અન્ય ખેડૂત આંદોલનો ઇતિહાસમાં અમર છે. આ વર્ષે 31 ઓક્ટોબરે સરદાર પટેલજીની 150મી જન્મજયંતિ છે. નેહરુ તેમને “ભારતની એકતાના સ્થાપક” કહેતા હતા. આપણે દેશભરમાં તેમની 150મી જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહથી ઉજવીશું. સરદાર સાહેબ કોંગ્રેસના પ્રમુખ હતા. તેમના નેતૃત્વ હેઠળ કરાચી કોંગ્રેસમાં પસાર થયેલા મૂળભૂત અધિકારો અંગેના ઠરાવો ભારતીય બંધારણનો આત્મા છે. સરદાર પટેલ બંધારણ સભાની મહત્વપૂર્ણ ‘મૂળભૂત અધિકારો, લઘુમતી અને આદિવાસી અને બાકાત વિસ્તારો પર સલાહકાર સમિતિ’ના અધ્યક્ષ હતા.
કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વધુમાં કહ્યું છેલ્લા ઘણા વર્ષોથી, ઘણા રાષ્ટ્રીય નાયકો સામે એક સુનિયોજિત ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે. દેશમાં 140 વર્ષથી સેવા અને સંઘર્ષનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. આ કામ એવા લોકો કરી રહ્યા છે જેમની પાસે પોતાની સિદ્ધિઓ બતાવવા માટે કંઈ નથી. સ્વતંત્રતાની લડાઈમાં યોગદાનને દર્શાવવા માટે કંઈ નથી. તેઓ સરદાર પટેલ અને પંડિત નેહરુ વચ્ચેના સંબંધને એવી રીતે દર્શાવવાનું કાવતરું ઘડે છે કે જાણે બંને નાયકો એકબીજાની વિરુદ્ધ હોય. જ્યારે સત્ય એ છે કે તેઓ એક જ સિક્કાની બે બાજુઓ હતા. ઘણી ઘટનાઓ અને દસ્તાવેજો તેમના સૌહાર્દપૂર્ણ સંબંધોના સાક્ષી છે.
સરદાર અને નેહરુના સંબંધો અંગે ખડેગેએ શું કહ્યું?
ખડેગેએ કહ્યું હું ખાસ કરીને 1937 માં ગુજરાત વિદ્યાપીઠમાં સરદાર પટેલના ભાષણનો ઉલ્લેખ કરવા માંગુ છું. તે સમયે નેહરુજી કોંગ્રેસના પ્રમુખ હતા અને ગુજરાતના યુવાનો ઇચ્છતા હતા કે નેહરુજીને પ્રાંતીય ચૂંટણીઓમાં પ્રચાર માટે બોલાવવામાં આવે.
સરદાર પટેલે 7 માર્ચ 1937 ના રોજ કહ્યું હતું કે, “જે દિવસે ગુજરાત આ ચૂંટણી ચળવળમાં વિજયી બનશે અને કોંગ્રેસ પ્રત્યેની વફાદારી સાબિત કરશે, ત્યારે આપણે કોંગ્રેસ પ્રમુખ નહેરુજીનું ફૂલોથી સ્વાગત કરીશું અને ખુલ્લા દિલે તેમનું સ્વાગત કરીશું.”
આના પરથી તમે સમજી શકો છો કે સરદાર નેહરુજીને કેટલો પ્રેમ કરતા હતા?
સરદાર પટેલની વિચારધારા RSS ના વિચારોથી વિપરીત હતી
ખડેગેએ RSS પરના પ્રતિબંધ પરની વાત કરતાં કહ્યું કે સરદાર પટેલની વિચારધારા RSS ના વિચારોથી વિપરીત હતી. તેમણે RSS પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ આજે તે સંગઠનના લોકો સરદાર પટેલના વારસાનો દાવો કરે છે તે હાસ્યાસ્પદ છે.
બંધારણની ટીકા કોણે કરી હતી?, મોદીએ કોનું અપમાન કર્યું?
ખડેગે કહ્યું હતુ કે જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે RSS એ ગાંધીજી, પંડિત નેહરુ, ડૉ. આંબેડકર અને કોંગ્રેસની ખૂબ ટીકા કરી. રામલીલા મેદાનમાં બંધારણ અને આ નેતાઓના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતુ. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંધારણ મનુવાદી આદર્શોથી પ્રેરિત નથી. મોદી સરકારે સંસદ પરિસરમાંથી ગાંધીજી અને બાબા સાહેબની ભવ્ય પ્રતિમાઓ હટાવીને અને તેમને એક ખૂણામાં મૂકીને તેમનું અપમાન કર્યું છે.
કોંગ્રેસનું ગુજરાતમાં અધિવેશન કેમ?

કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં 64 વર્ષ બાદ મોટું અધિવેશન મળ્યું છે. પાર્ટીની ભાવિ રણનીતિ, સંગઠનાત્મક મજબૂતી, રાજકીય, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા AICC અધિવેશનમાં રજૂ થનારા પ્રસ્તાવો પર પણ વિચાર-વિમર્શ થશે.
કોંગ્રેસે બેઠકો સાથે રણનીતિ ઘડવી જરુરી
આ અધિવેશન ત્યારે જ ફળશે જો કોંગ્રેસ વ્યવહારિક રણનીતિ ઘડે, આંતરિક એકતા દર્શાવે અને લોકો સાથે જોડાણ સ્થાપિત કરે. નહીં તો તે માત્ર એક પ્રતીકાત્મક કાર્યક્રમ બની રહેશે, જેની લાંબા ગાળાની અસર ઓછી હશે.
આ પણ વાંચોઃ વડોદરામાં વિદ્યાર્થિનીનું મોત, ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારી | Vadodara
આ પણ વાંચોઃ આખરે આરોગ્યકર્મીઓએ કેમ હડતાળ સમેટી?, આરોગ્યકર્મીઓ પાછી પાની કરી | Health workers
આ પણ વાંચોઃ Jaipur Hit And Run: કારે રસ્તામાં જે કોઈ આવ્યા તેને કચડી નાખ્યા, બાઈકચાલકને દૂર સુધી ઢસડ્યો, 3ના મોત