
Ahmedabad Rath Yatra Elephant Video: અમદવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના એક દિવસ બાદ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જગન્નાથ મંદિરના હાથીને મહાવતએ ક્રૂર રીતે માર મારવામાં આવી રહ્યો હોવાનું દેખાય છે. આ વીડિયોના કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાએ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અને તેની સાથે જોડાયેલી સંવેદનશીલતાને લઈને ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જ્યારે મંદિર પ્રશાસને કહ્યું વાયરલ થયેલો વીડિયો જગન્નાથ મંદિરના ગજરાજના નિવાસસ્થાનનો નથી.
રથયાત્રા દરમિયાન બેકાબૂ બનેલો હાથી
RathYatra 2025: રથયાત્રામાં બેકાબુ થયા ગજરાજ#ahmedabad #RathYatra2025 #jagannath #lordjagannath #viralvideo #thegujaratreport pic.twitter.com/PRQtV5yyV3
— The Gujarat Report (@TGujarat_Report) June 27, 2025
27 જૂને હાથી રથયાત્રામાં બેકાબૂ થયો હતો
27 જૂન, 2025ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં હજારો ભક્તો ઉપરાંત 18 ગજરાજ પણ સામેલ થયા હતા, જે આ ઉત્સવનું એક આકર્ષણ રહ્યું હતું. જોકે, રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં એક હાથી અચાનક બેકાબૂ થઈ ગયો, જેના કારણે ભક્તોમાં નાસભાગ મચી હતી. આ ઘટના દરમિયાન કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને બેકાબૂ હાથીને રેસ્ક્યૂ કરીને જગન્નાથ મંદિરના પરિસરમાં ખસેડવામાં આવ્યો હતો.
વાયરલ વીડિયો અને રોષનો માહોલ
🚨This is reportedly from #Ahmedabad.
An elephant is thrashed badly by a mahout and his helper while he is tied in chains.
The elephant trunk is decorated so it seems a temple elephant or part of a religious procession.
Tagging @AhmedabadPolice for some action. 🙏🏼 pic.twitter.com/ESh1kxWq7e
— Kumar Manish (@kumarmanish9) June 29, 2025
વાઈરલ વીડિયોમાં એક મહાવત દ્વારા હાથીને લાકડી અને અન્ય સાધનો વડે નિર્દયતાપૂર્વક માર મારવામાં આવતો દેખાય છે. આ વીડિયોમાં હાથીની પીડા સ્પષ્ટ રીતે જોવા મળે છે, જેના કારણે પ્રાણીપ્રેમીઓએ આ ઘટનાની સખત નિંદા કરી છે. હાથીની ગર્જના પણ સંભળાઈ છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ ક્રૂરતા સામે કડક કાર્યવાહીની માગ કરી છે. ઘણા નાગરિકોએ આ ઘટનાને “અમાનવીય” અને “અસ્વીકાર્ય” ગણાવીને તેની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જો કે આ વીડિયોની ધ ગુજરાત રિપોર્ટ પુષ્ટી કરતું નથી.
પોલીસની કાર્યવાહી અને તપાસ
આ વાયરલ વીડિયોની ગંભીર નોંધ લેતાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જગન્નાથ મંદિર પ્રશાસન પાસેથી આ ઘટના અંગે વિગતવાર રિપોર્ટ માગ્યો છે. તેઓએ જણાવ્યું કે, આ તપાસમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓની ખરાઈ કરવામાં આવશે:
વીડિયો કયા સમયનો છે અને તેની સત્યતા શું છે?
માર ખાતો હાથી શું રથયાત્રા દરમિયાન બેકાબૂ બનેલો હાથી જ છે?
હાથીને મારનાર મહાવતની ઓળખ શું છે, અને તેની પાછળનું કારણ શું હતું?
પોલીસે એમ પણ જણાવ્યું કે, હજુ સુધી મંદિર પ્રશાસન તરફથી આ અંગે કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ અને વીડિયોની સત્યતા સ્થાપિત થયા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મંદિર પ્રશાસનનો દાવો
આ ઘટના અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી જગદીશ મહારાજે દાવો કર્યો છે કે, વાયરલ થયેલો વીડિયો જગન્નાથ મંદિરના ગજરાજના નિવાસસ્થાનનો નથી. તેમણે આ વીડિયોને મંદિર પ્રશાસનની બદનામી કરવાના પ્રયાસ તરીકે ગણાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મંદિર પ્રશાસન પ્રાણીઓની સુરક્ષા અને સંભાળ પ્રત્યે સંવેદનશીલ છે અને આવી કોઈ ઘટના મંદિર પરિસરમાં બની હોવાની શક્યતા ઓછી છે. જોકે, આ દાવાની પણ પોલીસ દ્વારા ખરાઈ કરવામાં આવશે.
સમાજમાં ચર્ચા અને માગ
આ ઘટનાએ સમાજમાં પ્રાણીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને તેમના અધિકારોની ચર્ચાને વેગ આપ્યો છે. પ્રાણીપ્રેમી સંસ્થાઓ અને નાગરિકોએ મહાવત સામે કડક કાર્યવાહીની માગ કરી છે. સોશિયલ મીડિયા પર #JusticeForElephant અને #StopAnimalCruelty જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે, જેમાં લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને પ્રાણીઓની સુરક્ષા માટે કડક કાયદાઓની અમલવારીની માગ કરી રહ્યા છે.
હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, અને વીડિયોની સત્યતા તેમજ તેની પાછળના સંજોગોની ખરાઈ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ રથયાત્રા જેવા પવિત્ર ઉત્સવની ભવ્યતા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે, કારણ કે હાથીઓનો ઉપયોગ આવા ઉત્સવોમાં થાય છે, પરંતુ તેમની સુરક્ષા અને સંભાળનો મુદ્દો હંમેશાં ચર્ચામાં રહે છે. આગામી દિવસોમાં પોલીસ તપાસના પરિણામો અને મંદિર પ્રશાસનના જવાબ પર લોકોની નજર રહેશે.
આ ઘટના એકવાર ફરીથી એ વાતનું રીમાઇન્ડર છે કે, પ્રાણીઓ પ્રત્યે માનવીય સંવેદના અને જવાબદારીની જરૂર છે, ખાસ કરીને જ્યારે તેઓ આપણા સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવોનો ભાગ હોય.