
- જમીન વિવાદમાં ભાજપ સરાકર પર સવાલ
- કોના કહેવાથી કરાયા પરિપત્રો?
- સરકારે ઓછી કિંમતે જમીન આપવામાં કેમ રસ દાખવ્યો?
Anand Land Issue: આણંદ જીલ્લામાં આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે 237 વીઘા જમીન માત્ર 37.48 કરોડમાં જ સરકારે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને શિક્ષણના હેતુથી આપી દેતાં વિવાદ થયો છે. રૂ. 113.76 કરોડ જેટલી મોટી રકમની જમીન માત્ર 37.48 કરોડમાં સરકાર જમીન વેચી દીધી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. જો જમીન ફાળવણીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલન કરવાની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. કહાનવાડી ગામે હાલ વહીવટદારનું સાશન છે. ત્યારે જમીન વિવાદને લઈ ગામમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.
જમીન મફતના ભાવે ફાળવી દેવાતાં વિવાદ
આંકલાવ તાલુકાના કહાનવાડી ગ્રામ પંચાયત ખાતે રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળના વ્યવસ્થાપક મહેસૂલ ભરવા આવ્યા હતા. જેની જાણ ગ્રામજનોને થઈ હતી. ગ્રામજનોએ પૂછપરછ કરતાં વ્યવસ્થાપકે આણંદ જિલ્લા કલેકટર અને જમીન માપણી વિભાગનો પરિપત્ર બતાવ્યો હતો. જેમાં કહાનવાડીની વિવિધ સરકારી પડતરની જમીન હેક્ટર 37-38-75 ચોરસ મીટર એટલે કે અંદાજિત 237 વીઘા જમીન શૈક્ષણિક હેતુ માટે સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવવામાં આવી હતી.
આ જમીનની કિંમત સરકારે રૂ. 37.48 કરોડ રૂપિયા જેટલી આંકી છે. જો કે તેની કિંમત વધુ થાય છે. ત્યારે ઓછી કિંમતમાં જમીન પધરાવી દેતાં ગ્રામજનો હવે લડી લેવાના મૂડમાં છે. ગ્રામજનોનો આરોપ છે કે સરકાર દ્વારા રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને શૈક્ષણિક કાર્ય માટે અંદાજિત 237 વીઘા જમીન બારોબાર ગ્રામજનોની મંજૂરી વિના ફાળવી દેવાઈ છે. જેનો પરિપત્ર સરકારમાંથી આવ્યો છે.
મોઘી જમીન મામૂલી રકમમાં વેચીઃ ગ્રામજનો
ગ્રામજનોના જણાવ્યાનુસાર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીના કોતરોમાં આવેલ જમીનના એક વીઘાનો 50થી 75 લાખ સુધીનો ભાવ ચાલી રહ્યો છે. ત્યારે સરકારે માત્ર વિઘાદીઠ 16 લાખમાં જમીન વેચી દીધી છે.
સમગ્ર મામલો બહાર કેવી રીતે આવ્યો?
જાણવા મળતી વિગતો અનુસાર મહેસુલ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: આરડી-એલએનડી-ઇ ફાઇલ-15-2023-15157 -એ, તા. 29 જાન્યુ.2025ના સંદર્ભ પત્ર સાથે તા.3 ફેબ્રુ.2025ના રોજ આણંદ કલેકટરને હુકમ મોકલાયો હતો. કલેકટરે નોંધ સાથે કરેલ આદેશનું ચીટનીશ ટુ કલેકટર દ્વારા પાલન કરીને સ્વામીનારાયણ ગુરુકુળ, રાજકોટના વ્યસ્થાપકને પત્ર લખીને જાણ કરી હતી. પત્રમાં જણાવ્યું હતું કે, કહાનવાડી ખાતેની સરકારી પડતર જમીન કુલ 37-38-65 ચો.મી. જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવતી દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઇ ગયાનું અને પરિપત્રમાં જણાવ્યા મુજબ 37.50 કરોડ દિન-30માં જમા કરાવીને કલેકટર કચેરીએ ચલણ રજૂ કરવું.આ પત્ર મળતાં મહેસુલ ભરવા રાજકોટ ગુરુકુળના વ્યવસ્થાપક કહાનવાડી ગ્રામ પંચાયત ખાતે આવતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો. ત્યાર બાદ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.
ભાજપ પર આરોપ?
કહાનવાડી ગામની આ રીતે જમીન ફાળવી દેવાતાં ભાજપ પાર્ટી પર સવાલો ઉભા થયા છે. આરપો છે કે કહાનવાડી ગામમાં વહીવટદારનું શાસન હોવાથી ભાજપે લાભ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી આણંદ કલેક્ટર અને જમીન માપણી વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે.
આ પણ વાંચોઃ SURAT: શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ ભભૂકી, ગઈકાલે 1 વ્યક્તિનું થયું હતુ મોત
આ પણ વાંચોઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા