
સરકાર હરહંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણીસૃષ્ટીની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને સંવેદનશીલ પ્રાણીઓ જોવા મળે છે, જેમાં ભારતીય વરુનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં વરુના સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિવિધ સંરક્ષણલક્ષી પ્રવૃત્તિઓ અમલી બનાવવામાં આવી છે. જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદનું વાતાવરણ છે.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં આ પહેલ વધુ સુદ્રઢ અને મજબુત બની છે. જેના પરિણામે ગુજરાત વન વિભાગે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તાજેતરમાં વન વિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે.
સૌથી વધુ 80 વરુ ભાવનગર જિલ્લામાં
જેના પરિણામ વન વિભાગ દ્વારા વર્ષ 2023માં રાજ્યમાં વરુ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરુ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 80 વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 39 નર્મદા જિલ્લામાં, 36 બનાસકાંઠામાં, 18 સુરેન્દ્રનગરમાં, 12-12 જામનગર અને મોરબીમાં તેમજ 09 કચ્છ જિલ્લામાં વરુ જોવા મળ્યા છે. ઉપરાંત પોરબંદર, મેહસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરુનું અસ્તિત્વ નોંધાયું છે.
આ ઉપરાંત ‘ગીર’ ફાઉન્ડેશન અને ગુજરાત વન વિભાગના સહયોગથી રાજ્યમાં વરુ માટેના અનુકૂળ આવાસોને દર્શાવતા નકશાઓની એક નકશાપોથી (એટલાસ) – રાજ્યમાં ભારતીય વરુઓના નિવાસસ્થાનોનો એટલાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ એટલાસ ભારતીય વરુના સંરક્ષણના ચાલુ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે એક મુખ્ય પ્રજાતિ છે જે પર્યાવરણીય સંતુલન જાળવવા અને કૃષિ ટકાઉપણાને સમર્થન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વરુઓના રહેવા માટે સરકાર દ્વારા વ્યવસ્થા
‘ગીર’ ફાઉન્ડેશન ખાતે ઉપલબ્ધ રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ આ એટલાસ તારીખ 25 ડિસેમ્બર, 2024ના રોજ ‘સુ-શાસન’ના દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અને વન મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતમાં વરુના આવાસોનો એટલાસ વિમોચન કરવામાં આવ્યું છે.
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ એટલાસનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં વરુના અનુકૂળ આવાસોને ઓળખવાનો છે. જેથી જો વરુના અનુકૂળ આવાસોને સંરક્ષણ માટે પ્રાધાન્ય આપવામાં આવશે તો વરુનું અને અન્ય વન્યજીવોનું પણ સંરક્ષણ થશે અને પરિણામ સ્વરૂપ વરુની વસ્તીમાં પણ વધારો થશે. આ અનુકૂળ વિસ્તારો વિષેની વિસ્તૃત માહિતી આ એટલાસમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલ અભ્યાસમાં રાજ્યના 13 જીલ્લાઓમાં વરુની હાજરી અને તેના આવાસોના નકશાઓ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપલબ્ધ આવાસો અસરકારક સંરક્ષણ વરુના સંરક્ષણ દ્વારા તેની વધતી વસ્તીને અનુકૂળ વિસ્તારો પ્રાપ્ત થઇ શકે.
શૂળપાણેશ્વર અભ્યારણ્યના જંગલો પણ વરુનો વસવાટ
ઉપરાંત, કચ્છના નાના અને મોટા રણને પણ ભારતીય વરુ માટે મહત્વના નિવાસસ્થાનો તરીકે ઓળખવામાં આવ્યા છે. સાથોસાથ ભાલ વિસ્તાર, જેમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને ધોલેરાનો આસપાસનો પ્રદેશનો સમાવેશ થાય છે, તે બીજું એક મુખ્ય સ્થાન છે જ્યાં વરુ એ કુદરતી શિકારી તરીકે કાળિયારની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે, નર્મદા જિલ્લાના શૂળપાણેશ્વર અભ્યારણ્યના જંગલો પણ વરુના વસવાટ માટે પસંદગીનું સ્થળ બન્યું છે.
વરુની ઓળખ
વરુ (Wolf)એ પ્રકૃતિમાં પામેલા બુદ્ધિશાળી પ્રાણીઓમાંથી એક છે. આ પ્રાણીનું વૈજ્ઞાનિક નામ “Canis lupus pallipes” છે. વરુના શરીરનો માપ 03થી 05 ફૂટ લાંબો અને તેનો વજન 30 થી 80 કિલોગ્રામ સુધી હોય છે. તેના ચોખ્ખા શરીર, ચમકીલી આંખો અને લાંબી પૂંછડી તેને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. તેની રૂંવાટીમાં ભૂખરો, કાળો, સફેદ અથવા ખાખી જેવા રંગો હોય છે, જે તેને તેના પર્યાવરણમાં છુપાઈ રહેવા સહાય કરે છે.
વરુના સમૂહને “પેક” નામથી ઓળખાય છે. સામાન્ય રીતે એક સમૂહમાં 06 થી 15 વરુ હોય છે. જેમાં એક આલ્ફા નર અને આલ્ફા માદા જે આખા સમૂહના અગ્રણી હોય છે. તેઓ સાથે શિકાર કરે છે, ખોરાક વહેંચે છે અને પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે.
વરુ પ્રકૃતિના સંગઠનનું એક અનિવાર્ય
વરુ માત્ર એક શિકારી પ્રાણી નથી, પરંતુ તે પ્રકૃતિના સંગઠનનું એક અનિવાર્ય અંગ છે. તેની બુદ્ધિ, સામાજિક વ્યવસ્થાથી ભજવાતી ભૂમિકા અને પ્રકૃતિમાં તેનું સ્થાન માણસને પ્રકૃતિ સાથેના સંબંધને વધુ ગાઢ બનાવવાની પ્રેરણા આપે છે. ગુજરાતના ઇકોસિસ્ટમમાં વરુની શિકાર ટેવ અને તેમની તંદુરસ્ત વસ્તી પર્યાવરણના સંતુલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.