
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદન પછી ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડરની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. બાબા સાહેબની પ્રતિમાનું નોક તોડવામાં આવ્યું છે. હાલમાં ખોખરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કોઈ અસામાજિક તત્વો દ્વારા બાબા સાહેબની મૃર્તિ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર ખોખરા વિસ્તારમાં કે.કા.શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતિ વકીલની ચાલી આવેલી છે. ચાલીના બહારના ભાગે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થયા ત્યારે આંબેડકરની પ્રતિમા તોડી પાડવામાં આવી છે. પ્રતિમાના નાક-ચશ્મા સહિત મોઢાના ભાગ ઉપર નુકસાન પહોંચાડીને અપમાન કરવામાં આવ્યું હોવાને લઈને સ્થાનિક લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો જયંતિ વકીલની ચાલી બહાર પહોંચી ગયા હતા અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જે બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા ખોખરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોઈ અજાણી વ્યક્તિએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીને નુકસાન પહોંચાડ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. હાલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યાં છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. સ્થાનિક લોકોની માગ છે કે, જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહિ થાય ત્યા સુધી રસ્તા પરથી નહિ હટીએ. હાલમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.