
- આપણા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?
રમેશ સવાણી: 4 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે વતનમાં જવા અમદાવાદથી નીકળ્યો. 6.00 વાગ્યાની આસપાસ ધંધુકા પાસે જૈન સાધુ/ સાધ્વીઓ પદયાત્રા કરતા જોવા મળ્યાં. અંધારું હતું. સાધ્વીઓ હવે સફેદ રીફ્લેકટર રાખે છે એટલે દૂરથી વાહન ચાલકને દેખાય છે. આટલા સુધારાથી વાહન અકસ્માતમાં જૈન સાધુ/ સાધ્વીઓના જીવ બચશે.
જૈન સાધુ/ સાધ્વીઓને ધન્યવાદ આપવા પડે. ભૌતિક સુવિધાઓનો ઉપયોગ ઓછામાં ઓછો કરે છે. ચાલીને જ જાય. ઉંમરને કારણે ચાલી ન શકે તેમના માટે રેંકડી-ગાડી હોય.
એક તરફ આ જૈન સાધુ/ સાધ્વીઓ છે, બીજી તરફ પ્લેન/ હેલિકોપ્ટર/ લકઝરી કાર મારફતે પ્રવાસ કરનારા બાબાઓ/ કથાકારો/ સાધુઓ/ સ્વામિઓ/ મહારાજો/ મહંતો છે. એવા પણ મહંતો છે જે અમિત શાહને 5 કરોડનું ડોનેશન આપે છે ! એવા પણ ભગવાધારી સંતો છે જે હત્યાઓ કરે/ કરાવે છે ! એવા પણ સ્વામિઓ છે જે સજાતીય સંબંધો રાખે છે. એવા પણ બાબાઓ છે જે સગીર બાળાઓનું શોષણ કરે છે !
આ પણ વાંચો- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવા-જૂનીના એંધાણ; શું કહે છે રાજકીય વિશ્લેષક અરૂણ શર્માનું મૂલ્યાંકન
ધર્મ/ આધ્યાત્મિકતાના ઉપદેશો આપનારા ભૌતિક સુવિધાઓ/ વૈજ્ઞાનિક સુવિધાઓ વિના એક ક્ષણ જીવી શકતા નથી. અપરિગ્રહની વાત કરે/ માયાનો ત્યાગની વાત કરે અને પરિગ્રહ અને માયામાં રચ્યા પચ્યા રહે. દેશ-વિદેશમાં આશ્રમો/ મંદિરો ઊભા કરે ! ધર્મ-આધ્યાત્મિક એમના માટે ઈન્ડસ્ટ્રીઝ જ છે. તેઓ લોકોને ઉપદેશ આપે છે કે ‘ધન સુખ આપી શકતું નથી !’ પરંતુ તેઓનું અંગત જીવન જોઈએ તો લાગે કે પૈસો જ એમના માટે પરમેશ્વર છે ! તેઓ ધનપતિઓ અને સત્તાપક્ષના નેતાઓની હદ વગરની ચાપલૂસી પણ કરે છે.
મહાકુંભમેળામાં સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ માટે VIP સુવિધાઓ છે. તેમની સુવિધાઓ સાચવવા પોલીસ ખડેપગે રહે છે. જ્યારે સામાન્ય શ્રદ્ધાળુઓ કચડાઈને મરી રહ્યા છે. બાબાઓ સંવેદનાહીન બની નફટાઈપૂર્વક કહે છે કે ‘કચડાઈને મરનારાઓને મોક્ષ મળી ગયો !’ સૌ સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ સરકારની-સત્તાની ચાપલૂસી કરે છે, શ્રદ્ધાળુઓની હાલાકી અંગે કોઈ બોલતું નથી !
સનાતન ધર્મના નામે વૈભવી જીવન જીવનારા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?
(રમેશ સવાણી પૂર્વ આઈપીએસ અધિકારી છે, તેમનું એક્સહેન્ડલ @RameshSavani10 છે. વ્યક્ત કરેલા વિચાર વ્યક્તિગત છે)
આ પણ વાંચો- વાર્ષિક 12 લાખ રૂપિયાની આવક પર INCOME TAXની છૂટથી ભગતરામને શું ફાયદો!