
Chamoli Tunnel Accident: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 444 મેગાવોટ ક્ષમતાવાળા વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પ્રોજેક્ટની નિર્માણાધીન સુરંગમાં ગુરુવારે, 13 ઓગસ્ટે સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સુરંગમાં અચાનક પાણી અને કાટમાળનો પ્રવાહ ઘૂસી આવતાં સાત શ્રમિકોના મોત થયા છે, જ્યારે ત્રણ શ્રમિકો હજુ લાપતા હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે બચાવ અને રાહત કામગીરી માટે વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
સાંજે 7:05 વાગ્યે સુરંગમાં ઘૂસ્યું પાણી અને કાટમાળ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત સાંજે આશરે 7:05 વાગ્યે બે કિલોમીટર લાંબી ટેલ રેસ ટનલમાં થયો હતો. અહીં હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (HCC) દ્વારા બાંધકામનું કામ કરવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે તે સમયે સુરંગની અંદર ખોદકામની કામગીરી ચાલી રહી હતી. અચાનક શ્રમિકોએ મોટો અવાજ સાંભળ્યો અને ત્યારબાદ પાણી તથા કાટમાળનો ભારે પ્રવાહ અંદર આવી ગયો હતો.
22 શ્રમિકો તે સમયે સુરંગમાં હાજર હતા
અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, ઘટના બની ત્યારે સુરંગની અંદર કુલ 22 લોકો હાજર હતા. તેમની ડ્યૂટી બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીની હતી. પાણી અને કાદવના મિશ્રણનો પ્રવાહ અંદર આવતા સુરંગનો એક ભાગ અવરોધાઈ ગયો હતો. બચાવ કામગીરી દરમિયાન કેટલાક શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય શ્રમિકો કાટમાળ અને પાણી વચ્ચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
સુરંગની અંદર 1.4 કિલોમીટર દૂર ખાલી જગ્યા બન્યાની આશંકા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સુરંગની અંદર પ્રવેશદ્વારથી આશરે 1.4 કિલોમીટરના અંતરે એક ખાલી જગ્યા અથવા ખાડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આશંકા છે કે સુરંગની ઉપર થયેલા ભૂસ્ખલનના કારણે આ ખાલી જગ્યા બની હશે અને તેના માર્ગે પાણી તથા કાટમાળ સુરંગમાં પ્રવેશ્યા હશે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી અને સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વાસ્તવિક કારણસર માહિતી સામે આવશે.
પાણી બહાર કાઢવા માટે પમ્પ લગાવવામાં આવ્યા
THDCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સુરંગમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા માટે પમ્પ લગાવવામાં આવ્યા છે. બચાવકર્મીઓ માટે સૌથી મોટો પડકાર સુરંગની અંદર પહોંચીને કાટમાળ હટાવવાનો અને લાપતા શ્રમિકો સુધી પહોંચવાનો છે. પાણીનો સતત પ્રવાહ અને કાટમાળને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
મૃતક શ્રમિકોની ઓળખ સામે આવી
અકસમાતમાં જીવ ગુમાવનારા શ્રમિકોમાં ટિહરીના રહેવાસી 31 વર્ષીય પ્રદીપ સિંહ પંવાર, ચમોલીના મુકેશ, બિહારના દુલ્તમ શર્મા, ઝારખંડના 28 વર્ષીય વિજય અને જીતેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકેશ્વર અને મુનેશ્વર નામના બે શ્રમિકોના પણ મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ લોકેશ્વર અને મુનેશ્વરના મૂળ નિવાસસ્થાન અંગેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
બચાવવામાં આવેલા શ્રમિકોને હોસ્પિટલ ખસેડાયા
દુર્ઘટના બાદ બચાવવામાં આવેલા શ્રમિકોને ગોપેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બચાવાયેલા શ્રમિકોમાં સુનીલ જીવન (20), હવિલ ગુડિયા (27), નિસ્તાર મિજાર (24), વિનોદ રવાના (46), દીના બરલા (26), ખોટા રામ બિસરા (22), ઉદય સિંહ (45), તિલક રાજ (48), ચંદન કુમાર (39), અવધેશ, નંદલાલ, રોહિત પાંડે (20), પ્રેમ સિંહ (33) અને ગોવિંદનો સમાવેશ થાય છે. શરૂઆતની માહિતીમાં બચાવાયેલા શ્રમિકોની સંખ્યા અંગે અલગ આંકડા સામે આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં દાખલ કરાયેલા 14 શ્રમિકોની ઓળખ પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
સેના અને બચાવ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી
દુર્ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે ભારતીય સેના, ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત વિભાગો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે. મુખ્ય પ્રયાસ સુરંગમાં ફસાયેલા શ્રમિકો સુધી સુરક્ષિત રીતે પહોંચવાનો અને પાણી તથા કાટમાળ દૂર કરવાનો છે.
મુખ્યમંત્રી ધામીએ આપ્યા યુદ્ધના ધોરણે બચાવના આદેશ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચમોલીના પીપલકોટી સ્થિત THDC ટનલમાં પાણી અને કાટમાળ ઘૂસવાની ઘટનાને ગંભીર ગણાવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે ધામીએ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવા તથા જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામ સંબંધિત એજન્સીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી છે.
मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी ने जनपद चमोली के पीपलकोटी स्थित टीएचडीसी (THDC) टनल के भीतर मलबा एवं पानी आने की घटना पर गहरी चिंता व्यक्त करते हुए राहत एवं बचाव कार्यों को युद्धस्तर पर संचालित करने के निर्देश दिए हैं।
मुख्यमंत्री ने कहा कि घटना की गंभीरता को देखते हुए… pic.twitter.com/DLNvsIH8Gz
— CM Office Uttarakhand (@ukcmo) August 13, 2026
444 મેગાવોટના પ્રોજેક્ટમાં સુરક્ષા પર ફરી સવાલ
વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પ્રોજેક્ટની ક્ષમતા 444 મેગાવોટ છે અને તેના બાંધકામ દરમિયાન બનેલી આ દુર્ઘટનાએ પહાડી વિસ્તારોમાં સુરંગ નિર્માણની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. હાલ પ્રાથમિક તબક્કે ભૂસ્ખલન અને પાણીના રિસાવાને સંભવિત કારણ માનવામાં આવી રહ્યા છે. જોકે, સંપૂર્ણ તપાસ બાદ જ દુર્ઘટનાના કારણો, સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ અને બાંધકામ દરમિયાન અપનાવવામાં આવેલી તકેદારીઓ અંગે સ્પષ્ટ ચિત્ર સામે આવશે. હાલ સમગ્ર ધ્યાન લાપતા શ્રમિકોની શોધ અને સુરંગને સુરક્ષિત બનાવવાની બચાવ કામગીરી પર કેન્દ્રિત છે.







