
CharDham Yatra Health Guidelines: હિમાલયની પવિત્ર ગોદમાં આવેલા ચારધામની યાત્રા એ શ્રદ્ધા અને સાહસનું અદભૂત સંગમ છે. દર વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી લાખો ભક્તો કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શને જાય છે. જોકે, સમુદ્ર સપાટીથી આશરે 2700 મીટરથી વધુ ઊંચાઈ પર ઓક્સિજનની અછત અને હાડ થીજવતી ઠંડી જેવી પ્રાકૃતિક પડકારો રહેલા છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય વિભાગે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. યાત્રિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની શારીરિક ક્ષમતા અને વાતાવરણને સમજીને જ આગળ વધે જેથી યાત્રા સુખદ અને મંગલમય બની રહે.
યાત્રાના સફળ આયોજન માટે ‘3 P’ મંત્રનું પાલન
સરકારે યાત્રાને સરળ બનાવવા માટે ‘3 P’ એટલે કે આયોજન (Planning), તૈયારી (Preparedness) અને પેકિંગ (Packing) પર ભાર મૂક્યો છે. શ્રદ્ધાળુઓએ ઓછામાં ઓછા 7 દિવસની યાત્રાનું આયોજન કરવું જોઈએ જેથી શરીર ઊંચાઈ અને હવામાન સાથે અનુકૂળ થઈ શકે. મુસાફરી દરમિયાન દર એક કલાકના ટ્રેકિંગ પછી થોડો આરામ લેવો અત્યંત જરૂરી છે. શારીરિક તૈયારીના ભાગરૂપે અત્યારથી જ રોજ 20-30 મિનિટ ચાલવાની અને શ્વસન સંબંધિત કસરતો કરવાની સલાહ અપાઈ છે. ખાસ કરીને 55 વર્ષથી વધુ ઉંમરના અને અગાઉથી બીમારી ધરાવતા લોકોએ મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી જ પ્રસ્થાન કરવું હિતાવહ છે.
ઠંડી અને સ્વાસ્થ્ય સામે રક્ષણ માટે પેકિંગનું મહત્વ
પર્વતીય વિસ્તારોમાં ગમે ત્યારે હવામાન બદલાઈ શકે છે, તેથી પેકિંગમાં પૂરતી કાળજી લેવી જોઈએ. યાત્રાળુઓએ પોતાની સાથે પૂરતા ગરમ કપડાં, થર્મલ વેર, પફર જેકેટ, હાથમોજાં અને રેનકોટ જેવી વસ્તુઓ અચૂક રાખવી. સ્વાસ્થ્યની દેખરેખ માટે ડિજિટલ થર્મોમીટર અને પલ્સ ઓક્સીમીટર જેવા સાધનો સાથે રાખવાથી ઓક્સિજનના સ્તરની જાણકારી મળી શકે છે. આ ઉપરાંત, જો કોઈ યાત્રિક નિયમિત દવા લેતા હોય તો તેનો પૂરતો સ્ટોક અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે રાખવું જોઈએ જેથી કટોકટીના સમયે મુશ્કેલી ન સર્જાય.
યાત્રા દરમિયાન સાવચેતી અને ઈમરજન્સી સેવાઓ
યાત્રા માર્ગ પર ચાલતી વખતે જો કોઈને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા અથવા શરીર ઠંડુ પડી જવા જેવા લક્ષણો જણાય તો તેને હળવાશથી ન લેવા જોઈએ. આરોગ્ય વિભાગે આવા સમયે તાત્કાલિક નજીકના મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા સૂચના આપી છે. યાત્રા દરમિયાન શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પાણી પીવું અને કેફી પીણાં કે ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં સરકારની 104 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાય છે. ગર્ભવતી મહિલાઓ અને ગંભીર બીમારી ધરાવતા લોકોએ વિશેષ સાવધાની રાખવી જરૂરી છે જેથી કોઈ અણધારી આફતથી બચી શકાય.






