
- ચાલો, વિશ્વગુરુ થવા મનુસ્મૃતિ અપનાવો અને મને રાજા બનાવો!
હેમંતકુમાર શાહ; આ કોણે આવું બંધારણ બનાવ્યું? બહુ નડે છે મને. બાકી મારે તો રાજા થવું છે! હું તો રાજા થવાને લાયક છું. તો જ આ દિવ્ય અને ભવ્ય દેશ પુન: વિશ્વગુરુ બનશે!
તો ચાલો, મનુસ્મૃતિને બંધારણ બનાવીએ.
કેમ? મનુ પૃથ્વી પરનો પહેલો રાજા હતો. એના જમાનામાં આ ભવ્ય ભારત વિશ્વગુરુ હતો.
એ પછી દેશને વિશ્વગુરુ બનાવવાની જવાબદારી હજારો વર્ષોં પછી સીધી મારા પર આવી પડી છે. એ જ મારું દૈવ છે. કારણ કે મને લાગે છે કે હું દિવ્ય પુરુષ છું.
બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વ્યક્તિનું ગૌરવ જેવી જે વાહિયાત વાતો લખી છે તેનાથી કંઈ વિશ્વગુરુ ન થવાય! મનુના સમયમાં આવું બધું હતું જ નહિ. મનુ જે કહેતા હતા તે જ કાયદો હતો. રામના જમાનામાં પણ આવું બધું હતું જ નહિ. એટલે તો ત્યારે રામરાજ્ય હતું. એટલે હું જે કહું તે જો કાયદો થાય તો જ વિશ્વગુરુ થવાશે.
આ લોકશાહી જેવી ફાલતુ વાત વિદેશી છે, હિન્દુ નથી; એ તો મલેચ્છ લોકોની કહાની છે. જો કે, હું એ મલેચ્છ લોકોની કંપનીઓને ભારતમાં લાલ જાજમ બિછાવી બોલાવું છું તેનો એક જ ઉદ્દેશ છે અને તે ભારતને ભવ્ય બનાવવાનો. હું એ વિદેશી લોકોએ બનાવેલા ₹ ૮૦૦૦ કરોડના વિમાનમાં ઉડ્યા કરું છું તે પણ તમને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે જ.
આ પણ વાંચો- બજેટ 2025: ગરીબો સીતારામ સીતારામ ભજે!
હે મારાં ભાઈઓ અને બહેનો જેવી પ્રજાઓ, સમજો જરા, આપણે જ જગતમાં શ્રેષ્ઠ પ્રજા છીએ. ભગવાન મનુ અને રામ પછીના જમાનામાં આપણે એ વિસરી ગયા છીએ કારણ કે વચ્ચે હજારેક વર્ષ સુધી મલેચ્છ લોકોએ રાજ કર્યું.
આ આંબેડકર આંબેડકર શું કરો છો? આંબેડકર, ગાંધી, જવાહરલાલ અને સરદાર એ ચારેય જણા એ મલેરછ લોકોના મુલકમાં જઈને તેમની યુનિવર્સિટીઓમાં ભણેલા અને સમાનતા, ન્યાય, વ્યક્તિનું ગૌરવ, લોકશાહી જેવી વાહિયાત બાબતો શીખી આવ્યા હતા; અને તેમણે એ બધી ચીજો ભગવાન રામના વંશજ એવા આપણા પર ઠોકી બેસાડી છે. આપણે તો નાલંદા અને તક્ષશિલાને યાદ રાખવાની છે. ભલે, અત્યારે આપણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં કે ચીનના વુહાનમાં ભણવા જતા હોય. એ વિશ્વગુરુ થવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે એમ હું કહું છું.
જરા જુઓ, રામાયણ કે મહાભારતમાં ક્યાંય લોકશાહી હતી? છતાં ભારત વિશ્વગુરુ હતું કે નહિ?
તો ચાલો, મનુસ્મૃતિ અપનાવીશું અને હું રાજા થઈશ તો જ આપણે વિશ્વગુરુ થઈશું. બોલો, મને ક્યારે રાજા બનાવશો અને ધન્ય થઈને વિશ્વગુરુ થવાના સાક્ષી બનશો? આ ધન્ય ઘડી ફરી નહિ આવે. તમારો જન્મારો મને રાજા બનાવીને સફળ બનાવો, નહિ તો ૮૪ લાખ ફેરા ફરી ફરવા જ પડશે.
આ પણ વાંચો- Banaskantha: આબુરોડ-પાલનપુર હાઇવે પર ટ્રેલરમાં લાગી આગ, જુઓ વિડિયો