
- અમરેલી લેટરકાંડ અંગે કોંગ્રેસ-બીજેપી વચ્ચે થઇ ગયું ઇલું-ઇલું: રાહુલ ગાંધી સાચા ઠર્યા
ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને આડેહાથે લીધી છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ગુજરાત કોંગ્રેસ નિષ્ફળતા વિશે વાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ગુજરાત કોંગ્રેસમાં રહીને બીજેપીને મદદ કરતાં રહ્યા છે. હવે આ વાત બે દિવસ બાદ જ સાબિત થઈ જતી દેખાઈ રહી છે. વાત જાણે તેમ છે કે ગુજરાતમાં ચગેલો ગંભીર મુદ્દો અમરેલી લેટરકાંડ બાબતે વિધાનસભામાં કાચું કાપવામાં આવ્યું છે.
અમરેલી લેટરકાંડની ચર્ચા ગુજરાત વિધાનસભામાં થવાની હતી. આ મુદ્દે પ્રશ્ન પૂછવાના હતા. પરંતુ થયું શું? પ્રશ્ન પૂછનારા વિપક્ષના નેતાઓ જ ગેરહાજર રહ્યા. સત્ય વાત તે છે કે, જો આ મુદ્દા વિશે વિસ્તારપૂર્વક ગૃહમાં ચર્ચા થઈ હોત અને યોગ્ય પ્રશ્ન પૂછવામાં આવ્યા હોત ઘણા બધા ગંભીર પ્રશ્નોના જવાબ સામે આવી શક્યા હોત. પરંતુ અંતે અમરેલી લેટરકાંડ પર ભીનું સંકેલી લેવામાં આવ્યું છે.
આમ રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસ-ભાજપની મિલીભગતની વાત કરી છે, તો તેમની હાજરી વખતે જ ગૃહમાં ધારાસભ્યો હાજર નરહીને તેમની વાતને સાચી સાબિત કરી દીધી છે. તો બીજી તરફ બ્હાનું પણ રાહુલ ગાંધીની હાજરીનું જ આપી રહ્યા છે.
અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની દશાની પોલ ખોલતાં કહ્યું કે, ‘કોંગ્રેસના કેટલાંય નેતા ભાજપ સાથે ભળેલાં છે.’ રાહુલ ગાંધીની આ વાત સાચી ઠરી હતી કેમ કે, વિવાદાસ્પદ અમરેલી લેટરકાંડ મુદ્દે વિધાનસભા ગૃહમાં સરકારને ઘેરવા માટે તક હતી.
લેટરકાંડમાં ખરેખર શું થયું ? તેનો જવાબ જાણવા માટે કોંગ્રેસના નવેક ધારાસભ્યોએ સવાલ પૂછ્યા હતાં. સરકારે એક રટણ રટ્યું કે, તપાસ ચાલુ છે. જો કે, એ વાતનો કોઇ ઉલ્લેખ ન હતોકે, નિલિપ્તરાયના રિપોર્ટમાં શું છે? આવા અનેક સવાલોનો જવાબ જાણવા માટે વિપક્ષ પાસે તક હતી.
એવો ગણગણાટ છે કે, રાહુલ ગાંધીના આગમનનુ બહાનુ ધરીને બધાય ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્યો કહી રહ્યાં હતાંકે, જો વિપક્ષે સ્ટ્રેટેજી ઘડીને ધારાસભ્યોને હાજર રખાયા હોત તો, લેટરકાંડની ઘણી વિગતો બહાર આવી શકી હોત. પાટીદાર દિકરીના નામે વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ રાજકીય લાભ મળવી શકી હોત. પણ એવુ થયુ નહીં. ગૃહ મંત્રીના ઇશારે કોંગ્રેસના એક ધારાસભ્ય તો હાજર હોવા છતાંય ગૃહમાં જ આવ્યા નહીં.
આમ, લેટરકાંડ મામલે ભાજપ-કોંગ્રેસે ગોઠવણ પાડી હતી જેથી વિધાનસભામાં લેટરકાંડની ચર્ચા થઈ નહીં. પ્રજાના પ્રશ્નો માટે ગૃહમાં આક્રમકતાથી લડીશું એવી વિપક્ષની વાતનો તો ફિયાસ્કો થયો હતો.
આ પણ વાંચો- રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે બે યુવતીઓની આત્મહત્યા