Dudhsagar Dairy : મહેસાણાની દૂધસાગર ડેરી, જે એશિયાની સૌથી મોટી ડેરીઓમાંની એક છે, તે હાલમાં ગંભીર આરોપો અને વિવાદોના ઘેરામાં છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરી, જેઓ તાજેતરમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે, તેમના નેતૃત્વ હેઠળ દૂધસાગર ડેરી પર દેવું વધારવા, નાણાકીય ગેરવહીવટ અને ખરાબ સ્ટોક મેનેજમેન્ટના આરોપો લાગી રહ્યા છે. આ અહેવાલમાં અશોક ચૌધરીના વહીવટ હેઠળ દૂધસાગર ડેરી કેવી રીતે દેવામાં ડુબી અને અશોક ચૌધરીએ કેવા કેવા કૌભાંડો કર્યા તેના વિશે જાણો આ અહેવાલમાં.
અશોક ચૌધરીના નેતૃત્વમાં દૂધસાગર ડેરી દેવામાં ડૂબી
2020-21માં દૂધસાગર ડેરીનું દેવું 909 કરોડ રૂપિયા હતું, જે મે 2025 સુધીમાં 1749 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. એપ્રિલ 2025માં બાકી લોન 1804.11 કરોડ રૂપિયા હતી, જેમાંથી માર્ચ 2025માં GCMMF પાસેથી 922 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ લઈને લોનનો આંકડો ઓછો દર્શાવવામાં આવ્યો. આ રીતે, ચેરમેન અશોક ચૌધરીના નેતૃત્વ હેઠળ દેવામાં 92%નો વધારો થયો, જેના કારણે ડેરીની નાણાકીય સ્થિતિ ખરાબ થઈ.વધુમાં, જાન્યુઆરી 2025માં 550 કરોડ, ફેબ્રુઆરી 2025માં 491 કરોડ અને માર્ચ 2025માં 922 કરોડની એડવાન્સ રકમ GCMMF પાસેથી લેવામાં આવી, જે આખરે લોન તરીકે જ ગણાય. આ નાણાકીય વ્યવસ્થાપનની ગંભીર ખામીઓ દર્શાવે છે.
દુધસાગર ડેરીનો કરોડોનો માલ સ્ટોક પડી રહ્યો
સાગરપત્રિકા દૂધસાગર ડેરીના ગોડાઉનમાં 1230 કરોડ રૂપિયાનો માલ સ્ટોકમાં પડ્યો છે, જેમાંથી 500 ટન પાવડર એક્સપાયર થઈ ગયો. આ એક્સપાયર પાવડર ખાવા માટે અયોગ્ય હોવા છતાં, તેનો ફૂડ સેફટી ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. વધુમાં, 250 ટન માખણનો સ્ટોક પણ કોલ્ડ સ્ટોરમાં એક્સપાયર થઈ ગયો, પરંતુ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
પશુપાલકોની ચૂકવણીમાં ગેરવ્યવસ્થા
છેલ્લા 4.5 વર્ષમાં દૂધસાગર ડેરીએ પશુપાલકોને 461 કરોડ રૂપિયાની ઓછી ચૂકવણી કરી. 2020-21થી 2024-25 દરમિયાન દૂધના ઊંચા ભાવોની ચૂકવણીનો દાવો કરવામાં આવ્યો, પરંતુ વાસ્તવિક ચૂકવણીમાં ગંભીર ખામીઓ જોવા મળી. આ બાબતે પશુપાલકોમાં ભારે નારાજગી છે, જેનું પરિણામ સાબર ડેરીમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં પણ જોવા મળ્યું.
બિનજરૂરી ખર્ચ અને નવા પ્લાન્ટનો વિવાદ
2021થી 2025 દરમિયાન દૂધસાગર ડેરીએ 821 કરોડ રૂપિયાના બિનજરૂરી પ્રોજેક્ટો પર ખર્ચ કર્યો. આમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે નવો 120 ટનની ક્ષમતાવાળો પાવડર પ્લાન્ટ બનાવવામાં આવ્યો, જ્યારે ડેરી પાસે પહેલેથી જ 140 ટનની ક્ષમતાવાળો પ્લાન્ટ હતો. આ નવા પ્લાન્ટની જરૂરિયાત પર સવાલો ઉઠ્યા છે, કારણ કે દૂધની આવકમાં 25.35 કરોડ કિલોનો વધારો થયો હોવા છતાં, પાવડરનું ઉત્પાદન અને વેચાણ નુકસાનકારક રહ્યું. પાવડરની પડતર 325 રૂપિયા પ્રતિ કિલો હોવા છતાં, તે 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવે છે, જેનાથી 55 રૂપિયા પ્રતિ કિલોનું નુકસાન થાય છે.
વૈભવી ખર્ચ અને ખોટા આંકડા રજૂ કરવાના આરોપ
અશોક ચૌધરી પર આરોપ છે કે તેમણે જાજરમાન ઓફિસ, રેસ્ટરૂમ, પર્સનલ મિટિંગ રૂમ અને દિલ્હી તેમજ માનેસર ખાતે ગેસ્ટ હાઉસ બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, જેની કોઈ જરૂર ન હતી. આ ખર્ચને ગરીબ પશુપાલકોના પૈસાનો દુરુપયોગ ગણાવવામાં આવે છે. વધુમાં, નિયામક મંડળ સામે ખોટા આંકડા રજૂ કરવાના આરોપ પણ એમ.ડી. ધીરજ ચીધરી, પ્રવીણ ભામ્બિ અને અશોક ચૌધરી પર લાગ્યા છે.
આમ અશોક ચૌધરીના નેતૃત્વ હેઠળ દૂધસાગર ડેરીની નાણાકીય સ્થિતિ ખરાબ થઈ, દેવું 92% વધ્યું, એક્સપાયર પાવડર અને માખણના સ્ટોકથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા, અને પશુપાલકોને ઓછી ચૂકવણી થઈ. બિનજરૂરી ખર્ચ અને નવા પ્લાન્ટના નિર્ણયોએ ડેરીને નાણાકીય રીતે નબળી પાડી. આ મુદ્દાઓએ દૂધસાગર ડેરીના વહીવટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, અને GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધરીની નિમણૂકે આ વિવાદોને વધુ ઉગ્ર બનાવ્યા છે.
દૂધ સાગર ડેરીના વહીવટ બાબતે ખુલાસો કરવા માટે દૂધ સાગરના વાઈસ ચેરમેન યોગેશ પટેલ, ડિરેક્ટર કનુ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલે મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખ્યો હતો.



આ પણ વાંચોઃ
Modi government: ઉજ્જડ જમીન ઉદ્યોગોની જમીન! મોદીએ 11 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને ફંકી મારી
આખરે પત્રકાર Jagdish Mehta સામે નોધાઈ FIR, સહ આરોપી તરીકે ગોપી ઘાંઘરનો પણ સમાવેશ
SIR પ્રક્રિયા દ્વારા દેશના નબળા વર્ગો પાસેથી મતાધિકાર છીનવવાનો પ્રયાસ! ભાજપનો શું છે અસલી એજન્ડા?









