
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં દર વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લવાર શોનું આયોજન કરવામાં આવે છે. જોકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિહના અવસાન બાદ આયોજન 2 દિવસ મોડું થયું છે. આવતીકાલૈ 3 જાન્યુઆરીથી ફ્લવાર શો શરુ થશે.
આટલો ફરવાનો ચાર્જ ચૂકવો પડશે
ગત વર્ષ કરતા ફલાવર શો-2025ના આયોજન પાછળ મ્યુનિસિપલ તંત્ર 3 કરોડ રુપિયા વધુ ખર્ચ કરશે. ફલાવર શો જોવા માંગતા મુલાકાતીએ સોમવારથી શુક્રવાર 70 તથા શનિ અને રવિવારના રોજ રુ. 100 ચૂકવવા પડશે. ઉપરાંત સવારે 9થી 10 તથા રાત્રે 10 થી 11નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં આવ્યો છે. જેમાં પ્રતિ વ્યકિત રુપિયા 500 ટિકીટ દર રાખવામાં આવ્યા છે.
3 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફલાવરશોનો રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનના હસ્તે આરંભ કરાવશે. વર્ષ-2024માં ફલાવર શોનું આયોજન કરવા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા 11.44 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેની સામે આ વર્ષે રુ. 15 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ફલાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે.
ફલાવર શોમાં આઈકોનીક સ્કલ્પચર
ફ્લાવર શોમાં શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, કીર્તી સ્તંભ એક પેડ મા કે નામ ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ, ગરબા, મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર-ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જોવા મળવાની છે. જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની પ્રતિકૃતિ, જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.