
Gopal Italia-Harsh Sanghavi: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય સત્રનો આજે અંતિમ દિવસ છે. સત્રના બીજા દિવસે વંદે માતરમના વિવાદ બાદ ગૃહ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર, પ્રવાસન, આદિજાતિ વિકાસ તેમજ ખાદી અને કુટિર ઉદ્યોગ જેવા વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થઈ. આ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે સીસીટીવીના મુદ્દે બોલાચાલી થતાં ગૃહમાં ગરમાગરમી જોવા મળી હતી.
સીસીટીવીના મુદ્દે ઇટાલિયા-સંઘવી વચ્ચે બોલાચાલી
પ્રશ્નોત્તરી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ બુટલેગરોને પકડવા માટે તેમના ઘરની બહાર સીસીટીવી લગાવવાની શક્યતા અંગે સવાલ કર્યો હતો. તેના જવાબમાં હર્ષ સંઘવીએ બંધારણની જોગવાઈનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે અંગત ઘરો પર સરકાર દ્વારા સીસીટીવી લગાવવાની પરવાનગી બંધારણ આપતું નથી. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મામલો થાળે પાડ્યો હતો.
પોલીસ ભાડે આપવાની નીતિનો મુદ્દો ગૃહમાં ગૂંજ્યો
ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં પોલીસને ખાનગી કંપનીઓ માટે ભાડે આપવાની સરકારની નીતિ અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ગૃહ વિભાગના જવાબમાં સરકાર દ્વારા પોલીસ બંદોબસ્તને પેમેન્ટના આધારે ખાનગી સંસ્થાઓ અને કંપનીઓને ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે આ વ્યવસ્થાને લઈને પોલીસની ભૂમિકા અને સરકારી સંસાધનોના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ઇટાલિયાના જણાવ્યા મુજબ, કચ્છ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત માટે કંપનીઓ પાસેથી રૂ. 17 કરોડ 21 લાખ 27 હજાર 621ની આવક થઈ છે, જ્યારે રૂ. 57 લાખ હજુ લેવાના બાકી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારના બંદોબસ્તથી રૂ. 7 કરોડ 4 લાખ 90 હજારની આવક થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમાં આશરે રૂ. 2 કરોડની રકમ હજુ વસૂલવાની બાકી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. બંને જિલ્લાઓના આંકડા આધારે તેમણે આશરે રૂ. 25 કરોડની આવકનો મુદ્દો ઉઠાવ્યો.
‘પેમેન્ટ ઓન બંદોબસ્ત’ અંગે સરકારની નીતિ પર સવાલ
ઇટાલિયાએ દલીલ કરી કે ખાનગી કંપનીઓ પોતાના કામ માટે પોલીસ બંદોબસ્ત મેળવતી હોય ત્યારે પોલીસ કર્મચારીઓ સરકારી કામગીરીને બદલે ખાનગી કામ માટે ઉપલબ્ધ થાય છે. તેમણે પોલીસની વર્દી, રાષ્ટ્રીય ચિહ્ન અને સરકારી સત્તાના પ્રતીકને ખાનગી ઉપયોગ સાથે જોડવાની વ્યવસ્થા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા.
તેમણે વ્યંગાત્મક રીતે સવાલ કર્યો કે જો પોલીસને ભાડે આપવાની વ્યવસ્થા ચાલુ રહેશે તો ભવિષ્યમાં મામલતદાર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી કે અન્ય સરકારી અધિકારીઓને પણ પૈસાદાર કંપનીઓ ભાડે લઈ શકે તેવી સ્થિતિ ઊભી થશે તો શું થશે? પોલીસ જેવી મહત્વપૂર્ણ જાહેર સંસ્થાની કામગીરીને લઈને સરકાર પાસે સ્પષ્ટ નિયમો અને મર્યાદા અંગે વધુ પારદર્શિતા હોવી જોઈએ તેવી માંગ પણ તેમણે કરી.
પાટીદાર અનામત આંદોલનના પુંજ કમિશનના અહેવાલનો મુદ્દો
વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહીની તપાસ માટે રચાયેલા જસ્ટિસ કે.એ. પુંજ કમિશનના અહેવાલને લઈને પણ સવાલ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, 25 અને 26 ઓગસ્ટ 2015ના આંદોલન દરમિયાન હિંસક ઘટનાઓ બની હતી અને પોલીસ કાર્યવાહી અંગે પણ ગંભીર આક્ષેપો થયા હતા.
સરકારે ત્યારબાદ નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ કે.એ. પુંજની અધ્યક્ષતામાં કમિશનની રચના કરી હતી. ઇટાલિયાના જણાવ્યા પ્રમાણે તેઓ પોતે પણ કમિશન સમક્ષ એફિડેવિટ દ્વારા સાક્ષી તરીકે રજૂ થયા હતા.
2020માં અહેવાલ મળ્યો છતાં કાર્યવાહી કેમ નહીં?
ગોપાલ ઇટાલિયાના જણાવ્યા પ્રમાણે ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભામાં જવાબ આપતાં જણાવ્યું કે જસ્ટિસ કે.એ. પુંજ કમિશને 8 જુલાઈ 2020ના રોજ સરકારને અહેવાલ સોંપ્યો હતો. સૌથી મહત્વની બાબત એ છે કે આ અહેવાલ મળ્યા બાદ સરકારે શું કાર્યવાહી કરી તે અંગે પૂછવામાં આવતા જવાબમાં ‘પગલાં લેવામાં આવ્યા નથી’ એવું જણાવાયું હોવાનું ઇટાલિયાએ કહ્યું.
આ મુદ્દે તેમણે સરકાર સામે સવાલ ઉઠાવ્યો કે જો કમિશને પોલીસ કાર્યવાહી, હિંસા અને તે સમયની ઘટનાઓ અંગે તપાસ કરીને અહેવાલ સોંપ્યો હોય તો તેને જાહેર કેમ કરવામાં આવ્યો નથી? અહેવાલમાં જો કોઈ અધિકારી અથવા પોલીસ કર્મચારીની જવાબદારી નક્કી કરવામાં આવી હોય તો તેમની સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? પાટીદાર સમાજના લોકો અને ખાસ કરીને આંદોલન સાથે જોડાયેલા યુવાનો દ્વારા પણ અહેવાલ જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે.
ત્રણ દિવસના સત્રને લઈને પણ ચર્ચા
વિધાનસભાનું સત્ર માત્ર ત્રણ દિવસનું હોવાથી 182 જેટલા ધારાસભ્યોને પોતાના મતવિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટે પૂરતો સમય મળે છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. પ્રથમ બે દિવસમાં વંદે માતરમના વિવાદ સહિત અનેક મુદ્દાઓને કારણે ગૃહમાં ચર્ચાનો મોટો સમય રાજકીય ગરમાગરમીમાં ગયો હતો. હવે અંતિમ દિવસે પ્રજાના પ્રશ્નો, સરકારના જવાબો અને મહત્વના મુદ્દાઓ પર કેટલી અસરકારક ચર્ચા થાય છે તેના પર સૌની નજર રહેશે.








