
Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. રાજ્યમાં લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા અનેક મુદ્દાઓ સામે સરકાર અને વહીવટી તંત્રએ કડક કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો હતો.
13 વર્ષમાં 19 મોટા આંદોલનોનો ઉલ્લેખ
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા તે સમયગાળા દરમિયાન લગભગ 19 મહત્વપૂર્ણ આંદોલનો થયા હતા. આ આંદોલનોમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, આદિવાસી સમાજ, જમીન અધિકાર, પર્યાવરણ, અનામત, રોજગાર અને વિકાસ પ્રોજેક્ટ જેવા વિવિધ મુદ્દાઓ સામેલ હતા. આ તમામ આંદોલનો દરમિયાન અનેક વખત પોલીસ કાર્યવાહી અને બળપ્રયોગનો ઉપયોગ કરવામાં આવ્યો.
મહુવા નિર્મા વિરોધ આંદોલનને સૌથી મોટા લોકઆંદોલનોમાં સ્થાન
મહુવા ખાતે નિર્મા પ્રોજેક્ટ સામે થયેલા વિરોધને સૌથી મોટા લોકઆંદોલનોમાંનો એક ગણાવવામાં આવ્યો. ડૉ. કનુ કલસરિયાના નેતૃત્વમાં સ્થાનિક લોકો, ખેડૂતો અને સામાજિક કાર્યકરો દ્વારા ખેતીની જમીન, પર્યાવરણ અને સ્થાનિક હિતોના મુદ્દે લાંબો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલન વધુ મજબૂત બન્યું અને ત્યારબાદ પોલીસ કાર્યવાહી પણ થઈ હતી.
ખેડૂતોના પ્રશ્નોને લઈને અનેક વિરોધ પ્રદર્શનો
કોસંબા વીજ આંદોલન, માંડલ–બહુચરાજી ખેડૂત આંદોલન, નર્મદા કેનાલ સંબંધિત વિરોધ અને ધોલેરા વિસ્તારના પ્રશ્નો જેવા અનેક ખેડૂત આંદોલનોનો થાય હતા. ખેડૂતો દ્વારા જમીન સંપાદન, વળતર, સિંચાઈ અને ખેતી સંબંધિત મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. અનેક સ્થળોએ લાઠીચાર્જ, અટકાયત અને પોલીસ કાર્યવાહી થઈ હતી.
આદિવાસી વિસ્તારોમાં જમીન અને જંગલ બચાવવાના આંદોલનો
પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં ધોડી ડુંગર બચાવો સહિત અનેક આંદોલનો થયા હતા. જમીન અધિકાર, જંગલ, પર્યાવરણ અને વિસ્થાપનના મુદ્દે સ્થાનિક લોકો દ્વારા લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આ આંદોલનો દરમિયાન પણ પોલીસ કાર્યવાહી અને ધરપકડો કરવામાં આવી.
અનામત આંદોલન અને યુવાનોના પ્રશ્નો
પાટીદાર અનામત આંદોલનનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો. આંદોલન દરમિયાન અનેક સ્થળોએ હિંસક ઘટનાઓ બની હતી અને કેટલાક યુવાનોના મોત થયા હતા. ત્યારબાદ રાજ્યની રાજકીય પરિસ્થિતિમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા હતા.
શિક્ષણ અને રોજગારના મુદ્દાઓ પર વિરોધ
કોલેજ ફીમાં વધારો, યુનિવર્સિટીઓમાં ગેરરીતિઓ, ફિક્સ પે નીતિ, સરકારી ભરતીમાં વિલંબ, રોજગાર અને સરખી ભરતી જેવા મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા અનેક વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. કેટલાક પ્રસંગોએ પોલીસ બળપ્રયોગ, અટકાયત અને વિરોધીઓને હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી.
સરકારી કર્મચારીઓ અને મજૂર સંગઠનોના આંદોલનો
જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચની વિસંગતતાઓ, ફિક્સ પે નીતિ અને અન્ય કર્મચારી પ્રશ્નોને લઈને પણ મોટા પાયે આંદોલનો થયા હતા. મજૂર સંગઠનો દ્વારા પણ હડતાલો અને વિરોધ કાર્યક્રમો યોજાયા હતા. કેટલાક સ્થળોએ પોલીસ કાર્યવાહી અને સામૂહિક ધરપકડો કરવામાં આવી.
આંદોલનો સાથે જોડાયેલા આગેવાનોના નામો સામે આવ્યા
વિવિધ આંદોલનોમાં ડૉ. કનુ કલસરિયા, જયેશ પટેલ, સાગર રબારી, લાલજી દેસાઈ, અરુણ મહેતા, પ્રફુલ્લ સેંજલિયા, જેઠાભાઈ પટેલ તેમજ કિસાન સંગઠનના કેટલાક આગેવાનોના નામોનો ઉલ્લેખ થયો. ખેડૂતો અને સામાજિક પ્રશ્નોને લઈને આ આગેવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
350 કિલોમીટરની પદયાત્રા
મહુવાથી ગાંધીનગર સુધી લગભગ 350 કિલોમીટરની પદયાત્રાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. ખેડૂતો, મહિલાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રાને રાજ્યના નોંધપાત્ર લોકઆંદોલનોમાં સ્થાન આપવામાં આવ્યું.
2001થી 2014 દરમિયાન અનેક નાના-મોટા વિરોધ કાર્યક્રમો
માહિતી અનુસાર 2001થી 2014 દરમિયાન રાજ્યભરમાં 300થી વધુ નાના-મોટા વિરોધ પ્રદર્શનો, ઘેરાવો, હડતાલો અને લોકઆંદોલનો થયા હતા. તેમાં ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, આદિવાસીઓ અને વિવિધ સામાજિક સંગઠનો જોડાયા હતા. 2010થી 2012 દરમિયાન મોટી સંખ્યામાં મજૂર હડતાલો પણ નોંધાઈ હતી.
હાલમાં પણ જમીન સંબંધિત આંદોલનો ચાલુ
જમીન સંપાદન અને વિકાસ યોજનાઓને લઈને હાલમાં પણ ગુજરાતમાં અનેક નાના-મોટા આંદોલનો ચાલી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતો અને સ્થાનિક લોકો દ્વારા જમીન બચાવવા માટે સતત વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
લોકશાહી અને વિરોધના અધિકાર પર ભાર
ચર્ચામાં લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના અધિકારને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો. લોકો પોતાની માંગણીઓ અને પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરે ત્યારે સંવાદ અને ચર્ચાના માધ્યમથી ઉકેલ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો. સાથે જ લોકશાહીમાં જનતાના અવાજને મહત્વ આપવાની પણ જરૂર હોવાનું જણાવાયું.








