
Vadodara RSS ideology propaganda notebooks distribution: વડોદરાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય કેયૂર રોકડિયા દ્વારા “નારાયણ સેવા કાર્યાલય”ના બે વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે નારાયણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મારફતે આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું.
જોકે આ નોટબુકો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક કેશવ બલીરામ હેડગેવારની તસવીરો અને તેમના સંદેશા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીરો છપાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ શિક્ષણના નામે રાજકીય અને વૈચારિક પ્રચારનો વિવાદ ઉભો કર્યો છે.
આ પહેલાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે કેયૂર રોકડિયાએ વિદ્યાર્થીઓને આપવામાં આવતી શૈક્ષણિક કીટમાં RSSની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી અને તસવીરોનો સમાવેશ કર્યો હતો. આ બાબતે રાષ્ટ્રીય સ્તરે તીવ્ર વિરોધ થયો હોવા છતાં, રોકડિયાએ પોતાના નિર્ણય પર અડગ રહેવાનું પસંદ કર્યું. હવે, RSSની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના સમયે, આવું પુનરાવર્તન ફરી એકવાર શિક્ષણની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા કરે છે.
વધુમાં રોકડિયાએ વીર સાવરકર પ્રાથમિક શાળાને દત્તક લેવાનો નિર્ણય જાહેર કર્યો છે, જે શૈક્ષણિક સુધારણાને બદલે વૈચારિક એજન્ડાને આગળ ધપાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
RSSની વિચારધારા, જે હિન્દુ રાષ્ટ્રવાદ અને હિન્દુ સંસ્કૃતિના પ્રચાર પર કેન્દ્રિત છે, તેનો શાળાઓમાં આ રીતે પ્રસાર થવો એ બાળકોના મન પર એક ચોક્કસ વિચારધારા લાદવાનો પ્રયાસ ગણાય છે. આવા પગલાં શિક્ષણના મૂળ ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક, તટસ્થ અને નૈતિક શિક્ષણ આપવાનો ઉલ્લંઘન કરે છે.
આ ઘટનાએ વડોદરાના શૈક્ષણિક વર્તુળોમાં ગંભીર ચર્ચા જન્માવી છે. શાળાઓ, જે બાળકોના ભવિષ્યને ઘડવાનું પવિત્ર સ્થળ હોવું જોઈએ, તેને રાજકીય અને વૈચારિક પ્રચારનું માધ્યમ બનાવવું એ શિક્ષણની પવિત્રતા પર આંચ આણે છે. રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે આ મુદ્દે વિરોધ હોવા છતાં, આવા પગલાં ચાલુ રહેવા એ શિક્ષણ વ્યવસ્થાના રાજકીયકરણની ગંભીર સમસ્યાને ઉજાગર કરે છે. આ બાબતે સ્વતંત્ર તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે, જેથી શિક્ષણની નિષ્પક્ષતા અને બાળકોના હિતોનું રક્ષણ થઈ શકે.