
- ઇમિગ્રેશન બિલ 2025: બંધારણ વિરોધી કે રાષ્ટ્રીય જરૂરિયાત?
ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 પર આટલો હોબાળો કેમ છે? વિપક્ષ તેનો વિરોધ કેમ કરી રહ્યું છે, શું આ બિલમાં બંધારણ વિરોધી જોગવાઈઓ છે? શું આ બિલ પણ CAA અને NRC ની જેમ વિવાદનો મોટો મુદ્દો બનશે?
અસલમાં કેન્દ્રએ લોકસભામાં ‘ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ 2025’ રજૂ કર્યું છે. તેનો હેતુ ભારતમાં પ્રવેશતા અને/અથવા બહાર જતા વ્યક્તિઓ માટે પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો અને વિદેશી નાગરિકોને લગતી બાબતોનું નિયમન કરવાનો છે. જોકે, આ બિલ રજૂ થતાંની સાથે જ વિપક્ષી પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી અને તેને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને તૃણમૂલ કોંગ્રેસના સૌગત રોય જેવા નેતાઓએ બિલનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં ‘ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025’ રજૂ કર્યું. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ઇમિગ્રેશન પ્રક્રિયાને મજબૂત બનાવવાનો અને વિદેશી નાગરિકોના પ્રવેશ, રોકાણ અને બહાર નીકળવાના નિયમન માટે સરકારને વધારાની સત્તાઓ આપવાનો છે.
આ બાબતે સરકારનો તર્ક છે કે આ બિલ રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે તે બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ સંસદના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને કોઈપણ દેશનો પોતાના ક્ષેત્રમાં વિદેશીઓના પ્રવેશને નિયંત્રિત કરવાનો સાર્વભૌમ અધિકાર છે. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશન અધિકારીઓ પાસે વિદેશીઓના પ્રવેશ અંગે નિર્ણય લેવાની સત્તા છે, અને સામાન્ય રીતે અપીલ કરવાની કોઈ જોગવાઈ નથી.
વિપક્ષનો વિરોધ – બંધારણના ઉલ્લંઘનના આરોપો
વિપક્ષે કહ્યું કે આ બિલ બંધારણના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ દલીલ કરી હતી કે આ બિલ બંધારણના ઘણા અનુચ્છેદોનું ઉલ્લંઘન કરે છે, ખાસ કરીને જે વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાનતાની ગેરંટી આપે છે. તેમણે કહ્યું કે આ બિલ સરકારને અનિયંત્રિત સત્તાઓ આપે છે, જે નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરી શકે છે. તિવારીએ માંગ કરી હતી કે તેને કાં તો પાછું ખેંચવું જોઈએ અથવા સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે JPC ને મોકલવું જોઈએ જેથી તેની સંપૂર્ણ તપાસ થઈ શકે.
તૃણમૂલ કોંગ્રેસના સૌગત રોયે પણ આ બિલનો વિરોધ કર્યો અને તેને ‘લોકશાહી વિરોધી’ ગણાવ્યું. વિપક્ષનું કહેવું છે કે આ બિલ અસ્પષ્ટ છે અને સરકાર દ્વારા અસંમતિને દબાવવા માટે તેની જોગવાઈઓનો દુરુપયોગ થઈ શકે છે.
વિપક્ષી નેતાએ એવો પણ આરોપ લગાવ્યો કે બિલ ઉતાવળમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હતો.
વિરોધ પાછળના કારણો
વિપક્ષના વિરોધના ઘણા કારણો છે, જે ફક્ત બિલની સામગ્રી સાથે સંબંધિત નથી પણ વર્તમાન રાજકીય વાતાવરણથી પણ પ્રભાવિત છે.
અધિકારો પર હુમલો?
વિપક્ષને ડર છે કે આ બિલ સરકારને અમર્યાદિત સત્તાઓ આપી શકે છે, જે વિદેશી નાગરિકો તેમજ ભારતીય નાગરિકોના અધિકારોને અસર કરી શકે છે. ખાસ કરીને એવી શંકા ઉભી થઈ રહી છે કે તેનો ઉપયોગ સરકાર વિરોધી અવાજોને શાંત કરવા માટે થઈ શકે છે.
પ્રક્રિયામાં ભૂલ?
વિપક્ષનું કહેવું છે કે બિલ રજૂ કરતા પહેલા પૂરતી ચર્ચા થઈ ન હતી. તેમનો આરોપ છે કે સરકાર બહુમતીના આધારે સંસદીય પ્રક્રિયાને નબળી બનાવી રહી છે.
રાજકીય મુદ્દો?
તાજેતરના વર્ષોમાં નાગરિકતા સુધારો અધિનિયમ એટલે કે CAA અને NRC જેવા મુદ્દાઓ પર વિપક્ષ અને સરકાર વચ્ચે તણાવ રહ્યો છે. વિપક્ષ આ બિલને એ જ શ્રેણીના ભાગ રૂપે જોઈ રહ્યો છે, જેને તે લઘુમતીઓ અને અસંમતિ સામેના હથિયાર તરીકે જુએ છે.
રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ વ્યક્તિગત સ્વતંત્રતા
સરકાર કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ જરૂરી છે, જ્યારે વિપક્ષ માને છે કે આ બહાનું વ્યક્તિગત સ્વતંત્રતાને દબાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.
શું આ ખરેખર બંધારણનું ઉલ્લંઘન છે?
આ બિલ બંધારણનું ઉલ્લંઘન કરે છે એમ કહેવું બહુ વહેલું ગણાશે, કારણ કે તેની જોગવાઈઓની બંધારણીયતા ફક્ત કોર્ટમાં જ ચકાસી શકાય છે. જોકે, વિરોધ પક્ષની કેટલીક દલીલો વિચારવા યોગ્ય છે. જો બિલમાં સ્પષ્ટ માર્ગદર્શિકા અને જવાબદારીની જોગવાઈઓનો અભાવ હોય તો તેના દુરુપયોગની શક્યતા નકારી શકાય નહીં. બીજી બાજુ સરકાર પાસે પણ એક મજબૂત દલીલ છે કે ઇમિગ્રેશન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર દેશની સાર્વભૌમત્વને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે.
ભૂતકાળના અનુભવો પર નજર કરીએ તો વિપક્ષે NIA સુધારા બિલ અને UAPA જેવા કાયદાઓ પર સમાન આરોપો લગાવ્યા હતા. આ કિસ્સાઓમાં પણ સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ વિપક્ષે તેને અધિકારોના ઉલ્લંઘન સાથે જોડ્યું હતું.
તો ઇમિગ્રેશન બિલ વખતે પણ વિપક્ષે અધિકારોના ઉલ્લંઘન અને મળતી સત્તાનો દુરૂપયોગની વાત કરી છે. તેથી આપણે જોઈ શકીએ છીએ કે, વર્તમાન સરકાર અને વિપક્ષ વચ્ચે વિશ્વાસનો અભાવ એક મુખ્ય મુદ્દો છે, જે દરેક બિલ પરની ચર્ચાને રાજકીય રંગ આપે છે.
‘ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025’ પર લોકસભામાં થયેલો હોબાળો ફક્ત આ બિલ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સરકાર અને વિપક્ષ વચ્ચેના ઊંડા વૈચારિક તફાવતોને દર્શાવે છે. સરકાર તેને સુરક્ષા અને સાર્વભૌમત્વનો મામલો કહી રહી છે, જ્યારે વિપક્ષ તેને લોકશાહી અને બંધારણીય અધિકારો પરના હુમલા તરીકે જોઈ રહી છે. આ બિલનું ભવિષ્ય હવે સંસદમાં ચર્ચા અને સંભવિત સુધારાઓ પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો- યુએસ કોર્ટે અદાણીને સમન્સ મોકલ્યો: કેન્દ્રએ કહ્યું ગુજરાતની કોર્ટને સમન્સ મોકલાવી દો
જો આ બિલને લઈને સરકાર દ્વારા ઉતાવળે પગલું ભરીને પસાર કરવમાં આવશે તો તેને ચોક્કસપણે અદાલતોમાં પડકારવામાં આવશે. તે પછી તેની વાસ્તવિક કસોટી બંધારણના પાયા પર થશે. આગામી દિવસોમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે સરકાર વિપક્ષની ચિંતાઓને દૂર કરવા માટે ફેરફારો કરે છે કે પછી બહુમતીના આધારે તેનો અમલ કરે છે.