
ડૉ. જયનારાયણ વ્યાસ
India-China: ભારત અને ચીન 21 મી સદીની મહાસત્તાઓ છે. બંનેએ સાથે રહીને આવનાર સમયમાં વિશ્વ સાચા અર્થમાં બહુપરિમાણીય બને અને તે રીતે પશ્ચિમી આધિપત્યના વિકલ્પ તરીકે ઉપસવું જોઈએ.
થોડા દિવસ પહેલાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અર્થવ્યવસ્થાને ‘dead-મૃત’ ગણાવી હતી. આમ તો ટ્રમ્પના આ વિધાનને એના બીજા બધાં અર્થહીન ઉચ્ચારણોની માફક જ ધ્યાન પર ન લીધું હોત પણ જ્યારે સમગ્ર દેશ સામે આ પ્રકારનો આક્ષેપ દુનિયાની અત્યંત તાકાતવર લોકશાહી એવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરફથી કરવામાં આવતો હોય ત્યારે એને તટસ્થ રીતે તપાસવો જરૂરી બને જ.
ઔદ્યોગિક કાયદા, સુધારણા, સરળીકરણ/ઉદારીકરણ પહેલાના સમયગાળા (1961-1990) દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા સરેરાશ 4.3 ટકા પ્રતિવર્ષના દરે વધી, જેને ‘હિન્દુ રેટ ઑફ ગ્રોથ’ કહેવામાં આવે છે. ઉદારીકરણ બાદના કાળખંડમાં એટલે 1991 થી 2024 સુધી એ સરેરાશ 6.6 કરતાં વધારે દરે વધી છે. RBIની મોનીટરી પૉલિસીની મિટિંગ તાજેતરમાં મળી, જેના તારણોમાંનું એક એવું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ધાર્યા મુજબનો 7થી 8 ટકા વચ્ચેનો વૃદ્ધિદર ભારતીય અર્થવ્યવસ્થા હાંસલ નહીં કરે પણ પ્રમાણમાં નરમ કહી શકાય એવો 6.5 ટકાનો વૃદ્ધિદર ભારતીય અર્થવ્યવસ્થા હાંસલ કરશે. ભારતીય અર્થવ્યવસ્થા આમ સતત પ્રગતિ કરતી અને મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા છે, જે આ વિગતો પરથી જોઈ શકાશે.
પ્રો. જેફ્રી સેસ એક ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ, કોલંબિયા યુનિવર્સિટી ખાતે કાર્યરત છે. ટેપ વૈશ્વિક આર્થિક નીતિઓ અને તેમજ તેના બહુકોણીય પરિમાણોના ક્ષેત્રે એક પ્રતિષ્ઠાપાત્ર અને આધારભૂતિ નિષ્ણાત ગણાય છે. પ્રો. જેફ્રી અમેરિકાની વિદેશનીતિના એક અભ્યાસુ ટીકાકાર છે. તેમણે તાજેત૨માં ‘ધી સન્ડે ગાર્ડિયન’ સાથેની વાતચીતમાં ભારતની વૈશ્વિક ભૂમિકા, અમેરિકાના ચીન સાથેના સંબંધો તેમજ ભાગીદારી અને બ્રિક્સ જેવા વિષયે વાતચીત કરી આજના ભૂ-રાજકીય પડકારો બાબતે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. પ્રો. જેફ્રીના મત મુજબ એક સમયે અમેરિકાએ ચીનને રશિયા સામેની પોતાની લડાઈમાં વ્યૂહાત્મક સાથી તરીકે વાપર્યું હતું પણ લગભગ 2010 માં જ્યારે ચીન વૈશ્વિક ફલક પર એક અત્યંત સફળ અર્થવ્યવસ્થા બનીને ઉભરી આવ્યું ત્યારે અમેરિકાએ ચીન સામે મોરચો માંડ્યો હતો.
હવે અમેરિકા ભારતને પોતાની ચીન સાથેની લડાઈમાં વ્યૂહાત્મક દેશ તરીકે વાપરવા માંગે છે. જો ભારત પણ એક સફળ અર્થવ્યવસ્થા અને દેશ બનીને ઉભરશે તો એક દિવસ અમેરિકા ભારતની સામે પણ પડશે અને આ બાબતે ભારતે કાળજી રાખવી જોઈએ. છેલ્લા કેટલાક સૈકાઓથી એંગ્લોઅમેરિકન આધિપત્ય ભોગવતા જૂથનું અમેરિકા અત્યારે અગ્રીમ તબક્કે છે. એનો અર્થ એ ન થાય કે ભારતે અમેરિકાની સાથે દુશ્મની વહોરી લેવી જોઈએ પણ પ્રો. જેફ્રીના મત પ્રમાણે ભારતે અમેરિકાની ચીન અને રશિયા સામેની લડાઈમાં અમેરિકાની તરફેણમાં નહીં રહેવું જોઈએ. જોકે પ્રો. જેફ્રીના મત પ્રમાણે તો અમેરિકાએ જ ચીન તેમજ રશિયા સાથેનો સંઘર્ષ ઊભો નહીં કરવો જોઈએ.
આ સંયોગોમાં ચીન અને ભારત વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ તે બાબતે પણ પ્રો. જેફ્રીનો મત જાણવો રસપ્રદ થઈ પડશે. તેમના મતે ભારત અને ચીન ૨૧મી સદીની મહાસત્તાઓ છે. બંનેએ સાથે રહીને આવનાર સમયમાં વિશ્વ સાચા અર્થમાં બહુપરિમાણીય બને અને તે રીતે પશ્ચિમનું આધિપત્ય જે લગભગ 300 વર્ષથી ચાલે છે પણ હવે અંત તરફ જઈ રહ્યું છે, તેના વિકલ્પ તરીકે ભારત અને ચીને ઉપસવું જોઈએ. ચીને મજબૂતાઈથી ભારતને યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલના કાયમી સભ્ય તરીકે સ્થાન મળે તે માટે પ્રયત્ન કરવો જોઈએ અને ભારતે પોતાની રાજનીતિને ચીન સાથે રહી આ ધ્યેય સિદ્ધ કરવા માટે વાપરવી જોઈએ.
ચીન અને ભારતને એકબીજાનો ભય રાખવાની કોઈ જરૂર નથી. બેમાંથી એકેય દેશ નિર્ણાયક રીતે સામા પક્ષને યુદ્ધમાં હરાવી શકે તેમ નથી. યુદ્ધના રસ્તે પોતાની સર્વોચ્ચતા સ્થાપિત કરવાને બદલે આ બંને દેશોએ ડીપ્લોમસી (કૂટનીતિ), વ્યાપાર, રોકાણ તેમજ વિશ્વશાંતિના બહુપરિણામીય હેતુઓને સિદ્ધ કરવા માટે એક થઈને કામ કરવું જોઈએ. આ સંદર્ભમાં આપણે વિચારીએ તો ખ્યાલ આવશે કે અમેરિકાએ એના ચલણ ડૉલરનો બે રીતે હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. અમેરિકાએ પહેલા મુદ્દા તરીકે રશિયા, વેનેનઝુએલા, અફઘાનિસ્તાન, ક્યૂબા, ઇરાન, ઉત્તર કોરિયા અને સીરિયા જેવા દેશોની ડૉલર અસ્ક્યામતો ઉ૫૨ કાબૂ જમાવ્યો છે.
બીજું, SWIFTના માધ્યમ થકી અમેરિકા ગ્લોબલ બેન્કિંગ સિસ્ટમ ઉપર પોતાનો મજબૂત કબજો રાખવા માગે છે, જેથી જે દેશો અમેરિકાના પ્રતિબંધોને ન ગાંઠે તેમની બૅન્કોને સ્વિફ્ટ ક્લિયરીંગ સિસ્ટમમાંથી બહાર ફેંકી દઈને તેમના આંતરરાષ્ટ્રીય નાણાવ્યવહારોને તેમજ વ્યાપાર ધંધાઓને ઠપ્પ કરી દઈ શકાય.
એલ્વીન ટોફલરના મત પ્રમાણે આજનો યુગ જ્ઞાનનો યુગ છે અને જે ટેક્નોલૉજી તેમજ જ્ઞાન પર કબજો જમાવશે તે દુનિયા પર રાજ કરશે. આ બાબતને ધ્યાનમાં લેતાં ભારતે જો વિશ્વમાં પોતાનો સિક્કો જમાવવો હોય તો ઘરઆંગણાની શિક્ષણ વ્યવસ્થાનામાં આમૂલ પરિવર્તનો લાવવા પડશે અને સાચા અર્થમાં એને ગુણવત્તાસભર બનાવવી પડશે.
કમસેકમ હાયર સેકન્ડરી એટલે કે 12 મા ધોરણ સુધીનું શિક્ષણ ખૂબ જ કડક ગુણવત્તા નિયંત્રણ સાથેનું હોવું જોઈએ અને તે દરમિયાન દરેક વિદ્યાર્થીએ ફરજિયાત રીતે કોઈ પણ એક સ્કીલ – કૌશલ્ય અથવા નિપુણતા ઉપર વૈશ્વિક કક્ષાનું જ્ઞાન મેળવવું જોઈએ. આની સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રની અગત્યતા સમજીને એ ક્ષેત્રની દરેક ક્ષેત્રે શું ભૂમિકા હોઈ શકે તે પણ સમજવું પડશે. ભારતમાં કૉલેજનું સ્નાતક કક્ષાનું શિક્ષણ ખૂબ આકરાં ગુણવત્તા નિયંત્રણો માગી લે છે. મર્સર રિપોર્ટના તારણો મુજબ માત્ર ૪૨ ટકા જેટલા જ સ્નાતકો નોકરીલાયક પાત્રતા ધરાવે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. સ્નાતકોત્તર શિક્ષણમાં સંશોધન અને વિકાસનું મહત્ત્વ તેમજ તેના ઉપર આધારિત પેટન્ટ વધારેમાં વધારે સંખ્યામાં લેવાતા થાય તે દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.
એલવીન ટોફલર કહે છે કે, ‘જ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસની ગતિ કેટલી પ્રચંડ હશે કે, તમે રાત્રે સૂઈ જાવ અને સવારે જાગીને તમારી જાતને અપડેટ નહીં કરો તો તમે વિશ્વથી પાછળ રહી જશો.’ વિશ્વની પહેલી 200 યુનિ.ઓમાં ભારતની માત્ર ચાર જ યુનિવર્સિટી છે, જેમાં 225 મા ક્રમે ભારતની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ-બેંગલોર, 233 મા ક્રમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, આઈઆઈટી- મુંબઈ, ૨૫૫મા ક્રમે આઈઆઈટી દિલ્હી અને 285 મા ક્રમે આઈઆઈટી-મદ્રાસ છે. ૨૦૨૫માં પહેલી 200 યુનિ.માં ભારતની એક પણ યુનિ. નથી.
ચીનની વાત કરીએ તો પેકિંગ યુનિવર્સિટી-14, સિંગુવા યુનિવર્સિટી-20, ખુદાન યુનિવર્સિટી-૩૯, ઝેઝિયાંગ યુનિવર્સિટી-44, સાંઘાઈ ઝીઆઓ ટોંગ યુનિવર્સિટી-51, યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી ઑફ ચાઇના-77, નાનજીંગ યુનિવર્સિટી-114, વુહાન યુનિવર્સિટી 157, ટોંગજી યુનિવર્સિટી-169, હરબીન ઇન્સ્ટિ. ઑફ ટેક્નોલૉજી-192, સુન યાત સેન યુનિવર્સિટી-194, બેઇજિંગ નોર્મલ યુનિવર્સિટી-198 માં ક્રમે આવેલી છે. આમ વિશ્વની પહેલી 200 યુનિવર્સિટીમાં ભારતની એક પણ નથી જ્યારે ચીનની 12 યુનિવર્સિટી આવે છે. આ વિગતો 2025 ના યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ મુજબની છે.
આટલી મોટી પછડાટનું કારણ શું હશે તે વિચાર માગી લેતી બાબત છે. ચીન રિસર્ચ અને ડેવલોપમેન્ટ એટલે કે સંશોધન અને વિકાસના ક્ષેત્રે જંગી રોકાણ કરી રહ્યું છે. તે સામે ભારત પોતાના કુલ જીડીપીનો માત્ર 0.7ટકા વાપરે છે. ગ્રેજ્યુએટને નોકરી મળવાની દૃષ્ટિએ આઈઆઈટી, મુંબઈ દેશમાં પ્રથમ ક્રમે આવે છે. ભારતીય યુનિવર્સિટીનું વિદેશી યુનિવર્સિટી સાથે ભાગીદારી મર્યાદિત છે અને ત્યાં ભણાવતી વિદેશની ફેકલ્ટી પણ નગણ્ય છે. આમ, ભારતે આવતી કાલની ચિંતા કરવી હશે તો શિક્ષણ ક્ષેત્ર ઉપર ખૂબ ધ્યાન આપવું પડશે તેમજ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ખૂબ મોટા રોકાણને પ્રોત્સાહ આપવું પડશે તે સમજી લેવું પડશે.
આમ, ભારતીય અર્થવ્યવસ્થા ધાર્યા મુજબ વધી-ઘટી રહી એ હકીકત છે, એના સામે મોંઘવારી, બેરોજગારી, વિશ્વભરમાં ચાલી રહેલ યુદ્ધોને પરિણામે રાજકીય અસ્થિરતા, ટ્રમ્પનું ટેરિફ વૉર, ભારતમાં નરેન્દ્ર મોદી સરકારની વિવિધ પક્ષોનું ગઠબંધન હોવાને કારણે ઘણી બધી મર્યાદાઓ, પાકિસ્તાન તેમજ ચીન બંને સરહદો ઉપરાંત બાંગલાદેશ પણ સરહદી સલામતીની દૃષ્ટિએ ભારત માટે શિરોવેદના રૂપ બને તે બધું જોતાં ભારતીય અર્થવ્યવસ્થા ધાર્યા મુજબનો વિકાસ સાધી નથી રહી એવું ખુદ ભારતીય રીઝર્વ બૅન્ક કહે છે. આમ છતાંય ભારતીય અર્થવ્યવસ્થા મૃત અવસ્થામાં છે એવું ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેટમેન્ટ હકીકતોથી સંપૂર્ણપણે વેગળું છે. ભારત આજે પણ વિશ્વની સૌથી ઝડપથી વિકાસ સાધી રહેલ મોટી અર્થવ્યવસ્થા છે પણ એણે જો ત્રીજા નંબરની મોટી અર્થવ્યવસ્થા બનવું હોય તો ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર આવનાર દાયકા માટે સાતત્યપૂર્ણ આઠથી દસ ટકા વચ્ચે રહેવો જોઈએ, જે સરળ નથી.
ટ્રમ્પનાં વિધાનો, રાજકીય પ્રેસર ઊભું કરવું અને એ રીતે સારામાં સારી ડીલ નેગોસિએટ કરવા માટે ના હોઈ શકે. આમ કરવા જતા એણે પાકિસ્તાનને ખોળે બેસાડ્યું છે, જે ચિંતાની બાબત છે.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ










