
Bilawal Bhutto: પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિ પર ધમકી આપી છે. પાકિસ્તાનની સંસદ નેશનલ એસેમ્બલીમાં બોલતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે જો ભારત સિંધુ સંધિનો અમલ નહીં કરે તો અમે બીજીવાર યુદ્ધ માટે તૈયાર છીએ. બિલાવલ ભુટ્ટોએ કહ્યું અમે આ યુદ્ધ જીતી લીધું છે. આ સાથે બિલાવલે કહ્યું કે અમે સિંધુ સંધિ માટે યુદ્ધ માટે તૈયાર છીએ અને ભારત પાસેથી તે ત્રણ નદીઓ પણ છીનવી લઈશું, જેમના પાણીનો ઉપયોગ કરવાની તેમને પરવાનગી છે.
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું, ‘ભારતે કહ્યું હતું કે સિંધુ સંધિ સમાપ્ત થઈ ગઈ છે. તેમણે તેને મુલતવી રાખી છે, પરંતુ આ ગેરકાયદેસર છે. સિંધુ જળ સંધિ પર વિશ્વ બેંક દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તેને ધમકી આપવી એ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની વિરુદ્ધ છે અને ભારત તેને સમાપ્ત કરી શકતું નથી. જો ભારત તેને સમાપ્ત કરે છે, તો આપણે બીજું યુદ્ધ લડીશું. તે યુદ્ધના પરિણામે આપણે ભારત પાસે રહેલી ત્રણ નદીઓ છીનવી લઈશું. પછી આપણી પાસે ત્રણ નદીઓનું નહીં પણ છ નદીઓનું પાણી હશે.’
‘ભારત પાસે બે વિકલ્પો’
પાકિસ્તાની નેતાએ કહ્યું કે જો આપણને યુદ્ધમાં જવાની ફરજ પાડવામાં આવે છે, તો આપણે જાણીએ છીએ કે આપણી વાયુસેના અને સેના ખૂબ જ મજબૂત છે. ભારત પાસે બે વિકલ્પો છે – કાં તો તે સિંધુ જળ સંધિ સ્વીકારે અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કાર્ય કરે. જો તેઓ સંમત ન થાય અને સિંધુના પાણી પર બંધ કે નહેરો ન બનાવે, તો પાકિસ્તાન યુદ્ધ કરશે અને અમે આપણા લોકોને 6 નદીઓનું પાણી પૂરું પાડીશું. ભારતે આતંકવાદનો દોષ પાકિસ્તાન પર નાખવાનો પ્રયાસ કર્યો છે. આ કિસ્સામાં પણ ભારત હારી ગયું છે.
‘પાકિસ્તાનનું નામ બદલીને ટેરરિસ્તાન રાખવું હતુ’
તેમણે કહ્યું કે ભારતનો પ્રયાસ પાકિસ્તાનને આતંકવાદી રાજ્ય જાહેર કરવાનો હતો. પાકિસ્તાનનું નામ બદલીને ટેરરિસ્તાન રાખવું હતુ. ભારતે ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને IMF પાસેથી આપણી લોન રોકવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ અંતે પાકિસ્તાન જીત્યું. અમેરિકામાં ભારતીય અને ઇઝરાયલી લોબીએ પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ત્યાં પણ, પાકિસ્તાન વિરુદ્ધની યોજનાઓ સફળ થઈ ન હતી. ભારત કહે છે કે પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે, પરંતુ ત્યાં પણ આપણે જીતી ગયા.