
Iran Israel War: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સાથે યુદ્ધવિરામ કરવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી નેતન્યાહૂએ યુદ્ધ બંધ કરવાની પુષ્ટિ કરી છે. ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું કે અમે ઈરાન સાથે યુદ્ધવિરામ કરી રહ્યા છીએ કારણ કે જે હેતુઓ માટે હુમલો કરવામાં આવ્યો હતો તે બધા જ લક્ષ્યો પૂર્ણ થઈ ગયા છે. નેતન્યાહૂએ પોતાના નિવેદનમાં ઈરાનને ચેતવણી આપી હતી અને એમ પણ કહ્યું હતું કે યુદ્ધવિરામના કોઈપણ ઉલ્લંઘનનો ઇઝરાયલ સખત જવાબ આપશે.
ઇઝરાયલી ન્યૂઝ વેબસાઇટ જેરુસલેમ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે યુદ્ધવિરામ કરાર પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી. કતાર ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટોમાં મધ્યસ્થી કરી છે.
ટ્રમ્પે સૌપ્રથમ યુદ્ધવિરામની જાહેરાત કરી
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી લડાઈ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ટ્વીટ કરીને જાહેરાત કરી કે મંગળવાર રાતથી યુદ્ધવિરામનું પાલન કરવામાં આવી રહ્યું છે. જોકે શરૂઆતમાં ઈરાને તેનો ઇનકાર કર્યો હતો અને ઇઝરાયલે પણ મૌન સેવ્યું હતું, થોડા કલાકો પછી બંને દેશો યુધ્ધ માટે સંમત થયા. આ પછી બંને પક્ષોએ યુદ્ધવિરામની પુષ્ટિ કરી.
13 જૂનની સવારે ઇઝરાયલે ઇરાનમાં ભીષણ હુમલા કર્યા. આ હુમલાઓમાં ઇરાની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને ઘણા પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા. ઇરાને આના પર યુદ્ધ જાહેર કર્યું અને બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા. ઇરાન તરફથી સતત મિસાઇલો છોડવામાં આવી રહી હતી. તે જ સમયે ઇઝરાયલ તરફથી પણ ઇરાનમાં હુમલા કરવામાં આવી રહ્યા હતા. આ12 દિવસના યુદ્ધમાં બંને દેશોમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે.
22 જૂને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના આ યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડ્યું. અમેરિકાએ ઈરાનમાં પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ પછી સોમવારે ઈરાને કતારમાં યુએસ લશ્કરી ઠેકાણા પર મિસાઇલો છોડી. આનાથી આ યુદ્ધ સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાશે તેવો ભય ઉભો થયો હતો. આવી સ્થિતિમાં આ યુદ્ધવિરામથી આરબ વિશ્વએ ચોક્કસપણે રાહતનો શ્વાસ લીધો છે.