
જીજ્ઞેશ મેવાણીના ખુલાસા; નકલી જેલ, કુપોષણ વચ્ચે ₹16000ના કાજુ-બદામ, 2.96 કરોડનું બિલ અને ચિકન બિલ
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગુજરાતની સમસ્યાઓને લઈને સરકાર સામે મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓ, કુપોષણ સહિત ચૂંટણી પંચના ખર્ચા બાબતે રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતા.
જીગ્નેશ મેવાણીએ ‘લોકસભા ચૂંટણીમાં પોરબંદર કલેક્ટર દ્વારા 20 લાખ રૂપિયાના ટેન્ડરની જગ્યાએ 2.96 કરોડ રૂપિયાના બિલ મુકવા બાબતે જામનગર કલેક્ટર દ્વારા ગાડીના બિલમાં એક ગાડીના દિવસના 90 લીટર ઇંધણના બિલ જેવા મુદ્દાઓ ટાંકીને આક્ષેપ કર્યા હતા.’
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં 40% બાળકો કુપોષિત હોય તે રાજ્યમાં અધિકારીઓ 16000 રૂપિયાના ડ્રાય ફ્રૂટ ખાઇ ગયા અને ચિકનના પૈસાના બિલ પણ સરકારમાં મંજૂરી માટે મૂકવામાં આવ્યા છે.’
તે ઉપરાંત જીગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં ચોંકાવનારી માહિતી જાહેર કરતાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ પકડાઈ છે ત્યાં નકલી જેલ પણ RERAના બિલ્ડિંગમાં ચાલતી હતી, જેમાં ગેરકાયદેસર રીતે બિલ્ડરોને ગોંધી રાખવામાં આવ્યા હતા.
તે ઉપરાંત જીગ્નેશ મેવાણીએ ગુજરાતમાં કરોડો રૂપિયાના ફાળવવામાં આવતા બજેટને લઈને કહ્યું કે, રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. પરંતુ પાછલા 30 વર્ષના શાસન દરમિયાન રાજ્યમાં એકપણ ઉચ્ચ લેવલની શિક્ષણની યુનિવર્સિટી કે સંસ્થા બનાવી શકી નથી.
હાલમાં રાજ્ય અને દેશમાં જેટલી પણ ઉચ્ચ શિક્ષણ આપતી યુનિવર્સિટીઓ શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહી છે, તેના પાછળ કોંગ્રેસના નેતાઓની મહેનત હોવાનું પણ જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું. તે ઉપરાંત તેમણે સફાઈ કામદારોના મૃત્યુને લઈને સરકારની ઝાટકણી કાઢી હતી.
તે અંગે તેમણે જણાવ્યું હતું કે, અન્ય દેશોએ સફાઈ કરવા માટે ટેકનોલોજી વસાવી લીધી છે પરંતુ આપણે હજું પણ મજૂરોને ગટરોમાં ઉતરવું પડી રહ્યું છે. પાછલા સાત વર્ષોથી સતત હું આ અંગે કહી રહ્યો છું પરંતુ સરકાર સફાઈ કામદારો માટે કોઈ જ ઈક્વિપમેન્ટ વસાવામાં આવ્યા નથી.
જિજ્ઞેશ મેવાણીએ રાજ્યમાં સરકારી આરોગ્ય વિભાગ ઉપર પ્રહારો કરીને તેની પણ પોલી ખોલી નાંખી હતી. સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોથી લઈને ઈક્વિપમેન્ટની અછત વિશેની માહિતી જીજ્ઞેશ મેવાણીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમના મતવિસ્તાર બનાસકાંઠાનો દાખલો આપીને આરોગ્ય વિભાગની દૂર્દશા વણવી હતી.
તેમણે જણાવ્યું કે અમારા બનાસકાંઠા મતવિસ્તારની 35 લાખની વસ્તી વચ્ચે એક કાર્ડિયોલિસ્ટ નથી, એક ગાયનેકોલોજિસ્ટ નથી, એક ઓન્કોલોજિસ્ટ નથી, એક યુરોલોજિસ્ટ નથી. ઉદાહરણ આપતા તેઓ કહે છે તે, સૂઈગામના કોઈ વ્યક્તિને કેન્સલ ડાઇગ્નોસ્ટ થાય તો તેને બાયોપ્સિ કરાવવા માટે સિદ્ધપુર જવું પડે અને જે દિવસે તે સિદ્ધપુરની હોસ્પિટલમાં જાય તે દિવસે ડોક્ટર હાજર નહોય, તેનાથી આગળ મહેસાણા જાવ તો ત્યાં તમને એમઆઆરઆઈ મશીન ન મળે, સિટી સ્કેન મશીન ન મળે એટલે પછી, એક નળાબેટના દર્દીને અમદાવાદ 200-300 કિલોમીટર લાંબા થવાનું અને ત્યાં જાય ત્યારે ખબર પડે કે લાંબી લિસ્ટના કારણે તેનો વારો ત્રણ મહિના પછી આવવાનો છે.
તો શું રાજ્યની સરકાર એવી ગેરંટી આપે છે કે, એકપણ પીએચસી, સીએચસીમાં જેટલા પણ મેડિકલ સ્ટાફ, જેટલી પણ મેડિકલ ફેસિલિટીની જરૂર છે, તે તમામે તમામ સવલતો કોઈ પણ સંજોગોમાં રાજ્યની સરકાર એક વર્ષમાં કે બે વર્ષમાં પૂરી કરશે. 2027ની વિધાનસભા ચૂંટણીનું ફોર્મ ભરાય ત્યાં સુધી રાજ્યનું એકપણ બાળક કુપોષિત નહીં હોય તેની ગેરંટી સરકાર આપે છે, એકપણ સફાઈ કર્મચારીને ગટરમાં ઉતરીને મરવું નહીં પડે તેવી ગેરંટી આપે છે.
જીજ્ઞેશ મેવાણીએ પોતાની સ્પીચમાં સરકાર સામે અનેક સમસ્યાઓનો ટોપલો ખોલી દીધો હતો. આ સમસ્યાઓ પાછલા 30 વર્ષમાં રાજ્ય ઉપર હાવી થઈ ગઈ છે. તો બીજી તરફ જનતાને હિન્દુ-મુસ્લિમનું ચૂરણ આપીને પોત-પોતાની સમસ્યાઓ સાથે છોડી મૂકવામાં આવી છે. મોંઘવારી સહિતની આર્થિક સમસ્યાઓના કારણે પરિવારના પરિવારો અત્યારે આત્મહત્યાઓ કરી રહ્યા છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરી રહ્યા છે.
રાજ્યમાં અનેક મુશ્કેલીઓથી જનતા પીડાઈ રહી છે. પરંતુ ગુલાબી ચિત્ર બતાવવામાં આવી રહ્યુ છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલે દરેક પરિવાર આર્થિક સમસ્યાથી લઈને અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. બેરોજગારી યુવકો માટે ખુબ જ મોટી સમસ્યા બની ગઈ છે. ભણેલા-ગણેલા યુવાઓનું ભવિષ્ય બર્બાદ થઈ રહ્યુ છે. પરંતુ સરકાર સાચી સમસ્યાઓ અને અસલી મુદ્દાઓને છોડીને તમામ રીતની ખોટી ચર્ચાઓ કરવા માટે તૈયાર રહે છે.
ગુજરાતી મીડિયા તો સાવ પંગુ થઈ ગયું છે. સરકાર સામે બોલવાની પોતાની રીઢની હડ્ડી ગુમાવી બેસ્યું છે. તેથી સરકાર સામે બોલવાની હિંમત એકાદ મેનસ્ટ્રીમ મીડિયા એટલે કે ગુજરાત સમાચાર કરી રહ્યુ છે. તે સિવાય સરકારની ખરાબ નીતિઓની ટીકા ગુજરાતનો એકપણ મીડિયા કરી રહ્યુ નથી. જમાવટ-નિર્ભયા જેવા નાના મીડિયા પોતાની શક્તિ પ્રમાણે સરકારની ખોટી નીતિઓને બતાવી રહ્યા છે.
આમ ગુજરાતમાં મેઈન સ્ટ્રીમ મીડિયાની ખામોશીના કારણે અન્ય મીડિયાઓનો જન્મ થઈ રહ્યો છે. જે રીતે મીડિયા સરકાર સામે બોલી શકી રહ્યું નથી, તેવી જ રીતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ બીજેપીના નેતાઓનો ખુલીને વિરોધ કરી શકતા નથી. આ અંગે રાહુલ ગાંધીએ પોતે જ ગુજરાત કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવી દીધા છે. તેથી ગુજરાતમાં મીડિયા-વિપક્ષ બધાની મિલીભગતના કારણે લોકશાહીને ખત્મ કરવાનું કામ થયું છે. તપાસ કરવામાં આવે તો લઘુમતી સમાજ સાથે અન્યાય કરવામાં આવતી એક નહીં અનેક ઘટનાઓ સામે આવી શકે છે.
ગુજરાતમાં તો પોલીસ ખાતાથી લઈને તમામ સરકારી ખાતાના અધિકારીઓ મુસ્લિમ સમાજને તો નાગરિક જ ન ગણતા હોય તેવી સ્થિતિનું જન્મ થઈ ચૂક્યું છે. આમ પાછલા 30 વર્ષમાં સરકારે લોકશાહીને ખત્મ કરવાનું કામ કર્યું છે. આ દરમિયાન લોકોની આવક ઘટી ગઈ છે તો ખર્ચાઓ વધી ગયા છે. તેમાંય વર્તમાન સમયમાં કામધંધાઓ પડી ભાગ્યા હોવાના કારણે લોકોની સમસમ્યાઓ વધી ગઈ છે.
આ તમામ સમસ્યાઓનું સમાધાન વર્તમાન સરકાર પાસે નથી. તેથી તેઓ સતત અન્ય મુદ્દાઓ ઉપર જનતાનું ધ્યાન બનાવી રાખવા માંગી રહી છે. રાજ્યની જનતાને જાગવું પડશે નહીં તો આગામી પેઢીનું ભવિષ્ય અંધકારમય બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ પણ વાંચો- કર્ણાટકમાં સેમ પિત્રોડા સામે FIR: વન વિભાગની જમીન પર તેમના NGOની હોસ્પિટલ