
Shankaracharya: પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શિબિરમાં બાળકોનું યૌન શોષણ કરાયું હોવાના ગંભીર આરોપ લાગ્યા બાદ હવે અકુદરતી સેક્સ માણવા મામલે પોલીસ કાર્યવાહી શરૂ થવાની ગતિવિધિ શરૂ થઈ છે, જાતીય શોષણનો આરોપ લગાવનારા બે બાળકોના નિવેદનો તા. 13 ફેબ્રુઆરીએ કોર્ટમાં નોંધવામાં આવ્યા જેની વીડિયો ગ્રાફી પણ કરવામાં આવી હતી.
દરમિયાન કોર્ટે તે દિવસે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો ત્યારબાદ ગત સાંજે કોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો, પ્રયાગરાજની POCSO સ્પેશિયલ કોર્ટે FIR નોંધીને જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી સામે જાતીય શોષણના આરોપમાં તપાસનો આદેશ આપ્યો છે.
કોર્ટના આદેશ બાદ હવે ઝુંસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવશે. શકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજે ભારતીય દંડ સંહિતાની કલમ 173 (4) હેઠળ અરજી દાખલ કરી હતી, જેમાં એફઆઇઆર નોંધવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ અને શાકુંભરી પીઠાધીશ્વરના પ્રમુખ આશુતોષ બ્રહ્મચારીએ આરોપ લગાવ્યો હતો કે માઘ મેળા દરમિયાન, એક સગીર અને એક પુખ્ત બાળકે તેમની પાસે આવીને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે તેઓ સાથે થયેલા જાતીય સબંધો અંગેના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિષ્યોએ તેમના ગુરુની સેવા કરવાના નામે આ બાળકો પર જાતીય સંબંધો બાંધવા દબાણ કર્યું હતું.
આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેઓએ પુરાવા સ્વરૂપે એક સીડી કોર્ટમાં સુપરત કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમને ન્યાય મળ્યો છે અને તેઓ સત્ય લોકો સમક્ષ રજૂ કરવા માટે પ્રયાગરાજથી વારાણસીના વિધા મઠ સુધી પગપાળા સનાતન યાત્રા કાઢશે.
આમ,અત્યાર સુધી યોગી સરકાર અને શંકરાચાર્ય વચ્ચેના વિવાદ બાદ હવે બાળકો ઉપર થયેલા જાતીય યૌન શોષણ સુધી મામલો પહોંચતા ભારે ચકચાર મચી ગઇ છે.








