
Harsh Sanghvi: એક દીકરી કે જેને માતાપિતા ખૂબજ પ્રેમ કરતા હોય છે અને તેના સારા ભવિષ્યના સપના જોતા હોય છે પણ જ્યારે દીકરી કોઈ અજાણ્યા ઇસમની ‘પ્રેમ જાળ’માં ફસાઈને નાદાન ઉંમરમાં ઘર છોડી ભાગી જાય ત્યારે આ દીકરીઓનું જીવન બરબાદ થઈ જતું હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, કારણ કે નાદાન ઉંમરમાં તેનો નિર્ણય પરિપક્વ હોતો નથી અને છેલબટાઉ યુવાનો તેનો ફાયદો ઉઠાવે છે અને ઘણા કિસ્સામાં આવી દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી મોજમજા કર્યા બાદ વેચી મારવામાં આવતી હોવાના કિસ્સા પણ વ્યાપક બન્યા છે તેવે સમયે દિકરીઓનું જીવન બરબાદ થતું અટકાવવા દીકરીઓ જે કોઈ નિર્ણય લે ત્યારે વાત લગ્ન સુધી પહોંચે તો માતાપિતાની સંમતિ અનિવાર્ય હોવાની ઉઠેલી માંગ બાદ આખરે સરકારે તે દિશામાં ઠોસ પગલું ઉઠાવ્યું છે જેને તમામ સમાજે આવકાર્યું છે કારણ કે તે તમામ સમાજની દીકરીઓ માટે સેફ કદમ હોવાનું માનવામાં આવે છે.
સમાજમાં પણ સારા છોકરા હોય છે અને બધું બરાબર હોય અને દીકરીની સંમતિ બાદ લગ્ન થઈ શકે છે અને તેનું જીવન સુખી બને છે તેવું સમાજના આગેવાનો નું માનવું છે, આનાથી સમાજ વ્યવસ્થા પણ જળવાય અને સમાજમાં ઘટતી જતી દીકરીઓની સંખ્યા વચ્ચે સમાજના અગ્રણીઓનું માનવું છે કે સમાજમાં લગ્ન થાય તે જરૂરી છે.
દીકરીઓ હવે આ રીતે બહારની જ્ઞાતિમાં લગ્ન કરે તો હવેથી લગ્નની નોંધણી સમયે વર-વધુએ માતા-પિતાને જાણ કરી છે કે નહીં તેનું ડિક્લેરેશન આપવાનું રહેશે, માતા-પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવા પડશે.જે બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા 10 દિવસમાં માતા-પિતાને જાણ કરાશે.
લગ્ન નોંધણીની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલમાં મૂકાશે જેમાં સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ નંબરની વિગતો મૂકવામાં આવશે.
હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને રાખીને સરકાર એવા નિયમો બનાવવા માંગે છે કે જેથી કરીને સામાજિક માળખું જળવાઈ રહે અને કોઈ પણ પક્ષે અન્યાય ન થાય. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ડિજિટાઇઝેશન અને સ્થાનિક સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ સામાજિક વ્યવસ્થાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે,હવે 30 દિવસમાં આવનારા સૂચનો બાદ સરકાર ‘માતા-પિતાની સંમતિ’ ને કાયદાકીય સ્વરૂપ આપશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ મુજબ આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમરૂપ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દીકરીઓમાં વધેલા પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી અશાંતિ અને પીડામાં અનેક પરિવાર બરબાદ થઈ જતા હોય છે જે અંગે સામાજિક આંદોલન કરી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું ખાસ કરીને પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની સંસ્થાઓ દ્વારા માંગ હતી કે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન જે તે સ્થાનિક વિસ્તારમાં જ નોંધવા અંગેની માંગ ઉપર સરકારે વિચાર કરી આખરે તે વાત ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે.








